Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 292
________________ ર૨૮ | શ્રી આવશ્યક સૂત્ર પ્રતિકમણનો ઈતિહાસ - જૈન ધર્મની જેમ પ્રતિક્રમણની સાધના અનાદિકાલીન છે. જ્યારથી જૈન ધર્મ છે, જ્યારથી સાધુ અને શ્રાવકની સાધના છે, ત્યારથી તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ પણ છે. આ દષ્ટિથી પ્રતિક્રમણ અનાદિ છે. તીર્થકરો તીર્થની સ્થાપના કરે, તે દિવસથી જ પ્રતિક્રમણની આવશ્યકતા પડે છે. તીર્થસ્થાપનાના દિવસે જ તીર્થકરોના અર્થરૂપ ઉપદેશના આધારે ગણધર ભગવંતો દ્વાદશાંગી સહિત આવશ્યક સૂત્રની રચના કરે છે અને તે દિવસથી ગણધર સહિત સર્વ સાધુ-સાધ્વીઓ પ્રતિક્રમણની આરાધના કરે છે. આ રીતે આવશ્યક સૂત્ર ગણધર રચિત છે તે સહજ રીતે સિદ્ધ થઈ જાય છે, તેથી જ ચતુર્વિધ સંઘ શ્રદ્ધાપૂર્વક નિર્વિવાદપણે તેની આરાધના કરી રહ્યા છે. વર્તમાન કાળચક્રમાં ચોવીસ તીર્થંકર થયા છે. તેમાં પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનના લોકો કાળના જડ પ્રકૃતિના છે, તેઓ સતત જાગૃત રહેતા નથી, તેથી તેમને દોષ લાગે કે ન લાગે પરંતુ તેમને માટે નિયમિત રીતે પ્રતિક્રમણ કરવાનું વિધાન હોવાથી તેઓના માટે ધ્રુવ પ્રતિક્રમણ કલ્પ હોય છે. પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓ ગમનાગમન, ગોચરી, પ્રતિલેખન આદિ ક્રિયાઓ કરીને તેનું તુરંત પ્રતિક્રમણ કરે છે અને દિવસમાં ઉભયકાલ પણ અવશ્ય પ્રતિક્રમણ કરે છે. તે ઉપરાંત તેઓ દેવસી, રાત્રિક, પાખી, ચોમાસી અને સાંવત્સરિક, આ પાંચે પ્રતિક્રમણની આરાધના અવશ્ય કરે છે. મધ્યના બાવીશ તીર્થકરોના સમયમાં સાધકો સરળ, પ્રજ્ઞાવાન, વિવેકનિષ્ઠ અને જાગરૂક હોય છે, તેથી તેઓ જ્યારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરે છે અને તેથી તેમના શાસનમાં અધ્રુવ પ્રતિક્રમણ કલ્પ હોય છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ પણ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે सपडिक्कमाणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥१२४४॥ પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મ છે અને મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં પાપરૂપ કારણ ઉપસ્થિત થાય, ત્યારે પ્રતિક્રમણ કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં પરંપરાનુસાર હંમેશાં બાવીસ તીર્થકરોના જેવું જ જિનશાસન વર્તે છે. ત્યાં પણ દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરી લેવામાં આવે છે. ત્યાં ઉભયકાળ પ્રતિક્રમણ નથી, તેથી ત્યાં પણ અધ્રુવ પ્રતિક્રમણ કલ્પ હોય છે. ૨૪ તીર્થકરોના શાસનમાં શ્રાવકોના પ્રતિક્રમણ સંબંધી કેવી સ્થિતિ હતી તે સપ્રમાણ સ્પષ્ટ નથી, પરંતુ એટલું કહી શકાય કે સાધુઓ પ્રમાણે શ્રાવકો પણ પોત પોતાના શાસનમાં યથાકાળ ધ્રુવ અને અધ્રુવ પ્રતિક્રમણ કરતા હશે. પ્રતિકમણનો સમય - દિવસની સમાપ્તિ થતાં દેવસી પ્રતિક્રમણ અને રાત્રિ પૂર્ણ થતાં પહેલાં રાત્રિક પ્રતિક્રમણ હોય છે. મહિનામાં બે વાર અર્થાત્ શુક્લ પક્ષ પૂર્ણ થતાં અને કૃષ્ણ પક્ષ પૂર્ણ થતાં, પાક્ષિક પ્રતિક્રમણ હોય છે. ચાતુર્માસિક પ્રતિક્રમણ વર્ષમાં ત્રણ વખત કરવાનું હોય છે, તે (૧) અષાઢી પૂર્ણિમાના દિવસે, (૨) કાર્તિક પૂર્ણિમાના દિવસે અને (૩) ફાગણ પૂર્ણિમાના દિવસે. સાંવત્સરિક પ્રતિક્રમણ વર્ષમાં એકવાર ભાદ્રપદ શુક્લ પંચમીના દિવસે સંધ્યાકાળે કરવામાં આવે છે. પાખી-પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ તે તે દિવસ પૂર્ણ થતાં સંધ્યાકાળે થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬મા અધ્યયન પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સાંજે દિવસના ચોથા પહોરના ચોથા ભાગમાં અસ્વાધ્યાય કાલમાં શય્યાભૂમિ અને ઉચ્ચાર ભૂમિનું પ્રતિલેખન કર્યા બાદ પ્રારંભ કરવું

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326