________________
સો દલીલ તારી, એક હુકમ મારો
સુરેશ દલાલની આ પંક્તિઓઃ આવડો મોટો ભારો, અહમનો આવડો મોટો ભારો એક પલકમાં હડસેલીને, અહમૂને કરી મૂકો નોધારો ફાંકો કે ફિશિયારી એવું કશું ન કરવા જેવું આપણે આપણાં દર્પણ સામે, લાગે મરવા જેવું દૂરનો તારો કરી રહ્યો છે, આગમ તણો અણસારો માન અને અપમાનના શાને ઘૂંટવા અક્ષર કાળા? કોઈના શાને ચૂંથી નાખવા તણખલાના માળા પાંખો પરનો ભાર ખંખેરી નભમાં આંખ પ્રસારો.
ફેક્ટરી તમે છત્રીની નાખો અને ઉપરવાળો વરસાદ ન જ વરસાવાનો નિર્ણય કરી બેસે. છત્રીની ફૅક્ટરીમાં તમે કરેલું રોકાણ બધું જ નકામું જાય.
મુંબઈ-પૂના એક્સપ્રેસ હાઈ-વે પર તમે ૧૪૦ ની ગતિએ ગાડી ભગાવીને બે જ કલાકમાં પૂના પહોંચી જવાના મનમાં અભરખા સેવો અને ઉપરવાળો એક્સિડન્ટમાં તમને ઉપર જ બોલાવી લે. તમારા બધા જ અભરખાઓ પર પૂર્ણવિરામ મુકાઈ જાય.
મહિનાઓના મહિનાઓ સુધી કોર્ટમાં દલીલો કરીને વકીલ સહુને સ્તબ્ધ કરી દે અને ન્યાયાધીશ એક જ પળમાં એની દલીલોને રદબાતલ કરી નાખતો ચુકાદો આપી દે. અસીલ પોકે પોકે રડતો રહે.
ટૂંકમાં, માત્ર પુરુષાર્થ તમારા હાથમાં, પરિણામ તમારા હાથમાં નહીં જ. કલ્પના કરવાની તમને છૂટ, સપનાંઓ સેવવાની તમને છૂટ, અરમાનોમાં વિહરવાની તમને છૂટ, અભરખાઓ વ્યક્ત કરવાની તમને છૂટ પણ એ કલ્પના વગેરેને સફળ બનાવવાનું તમારા હાથમાં નહીં જ.
આ વાસ્તવિકતાને આપણે સતત આંખ સામે રાખવાની જરૂર એટલા માટે છે કે આપણે સમાધિના સ્વામી બન્યા રહેવાનું છે અને સમાધાનવૃત્તિના સ્વામી બની
ગયા વિના સમાધિ ટકાવી રાખવામાં આપણને કોઈ કાળે સફળતા મળવાની નથી.
તપાસી જાઓ મનને. એ જ્યારે જ્યારે પણ અસમાધિનું શિકાર બન્યું હશે ત્યારે ત્યારે એના કેન્દ્રમાં પરિણામ અંગેનો અસંતોષ જ મુખ્ય રહ્યો હશે. ‘મેં આવું તો નહોતું જ ધાર્યું’ ‘પરિણામ આવું આવશે એની તો મને કોઈ કલ્પના જ નહોતી”
શું ધાર્યું હતું અને શું થઈ ગયું?’ ‘પરિણામ આવું આવશે એની મને જો ખબર હોત તો હું આમાં પડ્યો જ ન હોત.'
આ શું? પુરુષાર્થ પછી જે પરિણામ આવ્યું એને સ્વીકારી લેવાની મનની કોઈ જ તૈયારી નહીં. આ તો એવું થયું કે ‘પરીક્ષામાં હાથમાં આવેલ પ્રશ્નપત્રના જવાબો તો હું લખું જ પરંતુ એ જવાબોના માર્ક પણ હું જ મૂકું .”
આ શક્ય છે ખરું ? ના, જો સ્કૂલના પ્રશ્નપત્રની બાબતમાં પણ માત્ર જવાબો લખવાનું જ આપણા હાથમાં હોય છે, માર્ક્સ મૂકવાનું નહીં તો જીવનના પ્રશ્નપત્રમાં પણ આપણા હાથમાં માત્ર પુરુષાર્થ કરવાનું જ છે. એનું પરિણામ આપણી અપેક્ષા મુજબ લાવવાનું આપણા હાથમાં નથી જ.
આ સત્ય આપણને જેટલું વહેલું સમજાઈ જાય એટલે આપણા આત્માના હિતમાં છે. એનાથી મનની પ્રસન્નતા પણ જળવાઈ રહેશે, શરીરની સ્વસ્થતા પણ ટકી રહેશે તો સાથોસાથ જીવો પ્રત્યેનો સદ્ભાવ પણ ઊભો રહી શકશે અને અશુભ કર્મબંધથી પણ આત્મા બચતો રહેશે. પરલોકની સદ્ગતિનિશ્ચિત થઈ જવામાં પછી કોઈ પણ પરિબળ આપણાં માટે પ્રતિબંધક નહીં બની શકે.