________________
શબ્દસંનિધિ
ચાલે. તે ઊર્મિકવિહૃદયમાં ઘૂંટાઈને આવિષ્કાર પામતી હોવાથી લાઘવયુક્ત સચોટતા દાખવે છે. કાવ્યમાં ઊર્મિ એક જ છે, પણ તે જુદે જુદે રૂપે અભિવ્યક્ત થઈને અનેક ચિત્રો સર્જે છે. આમ દરેક શ્લોકને પોતાનું આગવું સૌંદર્ય છે. છતાં બધા શ્લોક માનસપટ પર એક સમગ્ર છાપ ઉપસાવે છે. આ રીતે આ કાવ્યમાં એકતા (unity) સુંદર રીતે જળવાયેલી છે. આખા ય કાવ્યની ઇમારતમાંથી એક શબ્દકાંકરી પણ ખસે તેવી નથી.
આ કવિ પાસે કલ્પનાથી પરકાયાપ્રવેશ કરવાની આગવી હથોટી છે. કવિએ યક્ષની વિશિષ્ટ ભાવસ્થિતિ સાથે કેવું ગાઢ તાદાત્મ્ય સાધ્યું છે ! કાવ્યનો ગાયક યક્ષ પ્રણયવીર છે. તે વિવેકી તો છે જ, પરંતુ અત્યારે પ્રિયામાં તન્મય છે અને તેનું હૃદય પ્રિયા સાથેના યોગનાં સ્મરણોથી ભરેલું છે. આ સ્મરણો વિરહમાં ચૂંટાઈને પ્રગટે છે. પોતાના પ્રણયભાવોની ધારા અસ્ખલિતપણે ચાલુ રાખવા અને તે પ્રણયને ચિરંજીવ રાખવા માટેના તેના ઉદ્ગારો તે જ મેઘને આપેલો સંદેશ. આથી જ એની વાણીમાં રંગદર્શિતા અનુભવાય છે. બધે પ્રિયતમપ્રિયતમાનું જ દર્શન થવું તેને માટે સ્વાભાવિક છે; ને હૃદયના તે ભાવોનું કથન કરવામાં પણ તેને સંકોચ નથી. આ પ્રણય એ કોઈ કામી કે રોગિષ્ઠ માનસ ધરાવનારાનો પ્રણય નથી. યક્ષના પ્રણયમાં માનવચિત્તનો ઉદાર ભાવ પ્રગટ થાય છે. આમાં માત્ર કામભાવ નથી, બલ્કે સાહજિક વિનય, જન્મજાત નમ્રતા અને ચિત્તની મૃદુતા આરંભથી અંત સુધી દેખાય છે.
વિરહની વેદનાએ યક્ષના ચિત્તને કઠોર બનાવ્યું નથી. પોતાને પ્રિયતમાથી વિખૂટો પડવાનું બન્યું એથી બીજાની પણ એવી દશા થાય એવો કટુભાવ યક્ષ ધરાવતો નથી. એના બદલે પોતાના સંદેશાના અંતે મિત્ર મેઘને માટે યક્ષ પ્રાર્થે છે કે તારો એક ક્ષણ પણ વીજળીથી વિયોગ ન થાય.
૧૧૪
‘મેઘદૂત’ની ભાવસૃષ્ટિ
પ્રણયી યક્ષની શિવભક્તિ પણ સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એના વિરહજનિત સંદેશામાં એનો ભક્તિભાવ સતત ડોકિયાં કરે છે. માનવી પ્રેમી બને એટલે ભક્ત મટી જતો નથી. એ તો મેઘને કહે છે કે એ કોઈ પણ સમયે મહાકાળ પહોંચે તો એણે સૂર્યાસ્ત સુધી રોકાઈ જવું અને શિવની સાયંપૂજામાં નોબતનું પ્રશસ્ય કામ બજાવવું. વળી માર્ગમાં આવતાં શિવનાં પગલાંની ભક્તિનમ્ર બનીને પ્રદક્ષિણા કરવાનું કહે છે.
મેઘ સાથે યક્ષે આત્મીયતા સ્થાપી છે. અને પોતાનો ભાઈ માને છે, વિરહિણી યક્ષ-પત્નીને દિયરની નજરથી જુએ એ રીતે આત્મીયજન બનાવ્યો છે. યક્ષના હૃદયની સુષ્મા એમાં પણ પ્રગટ થાય છે કે એ ક્યાંય પોતાને શાપ આપનારા સ્વામી કુબેરની નિંદા કરતો નથી અથવા એનું સહેજે ઘસાતું બોલતો નથી. સ્વામીની ફરજના અનુસંધાનમાં થયેલી પોતાની ભૂલને સ્વીકારીને શાપ માથે ચડાવી લે છે અને આ અવસરને વિરહવ્રતમાં પલટી નાખે છે. વિયોગની વેદનાને પ્રણયત્તપમાં પરિવર્તિત કરે છે અને પોતાના પ્રેમને સ્થિર રૂપ આપે છે. યક્ષ કહે છે: स्नेहानाहुः किमपि विरहे ध्वंसिनस्ते चभोगादिष्टे वस्तुन्युपचितरसा: प्रेमराशीभवन्ति ।
[કોઈ પણ કારણથી વિરહમાં સ્નેહ ઓછો થાય છે એમ કહેવાય છે, પણ વણભોગવ્યો રહેવાથી અને પ્રિય વસ્તુ તરફ રસ ભેગો થવાથી તે પ્રેમપુંજ બને છે.]
વિરહી યક્ષને પોતાની પ્રિયા પર અવિચલિત શ્રદ્ધા છે, આથી જ મેઘને કહે છે કે ચક્રવાકવિહોણી ચક્રવાકી જેવી યક્ષપત્નીનું રૂપ કરમાયેલી કમલિનીના જેવું હશે. અવિરત રુદનને કારણે એની આંખો સુજી ગઈ હશે; ઊના નિશ્વાસોથી હોઠ ફિક્કા થઈ ગયા હશે અને અસ્તવ્યસ્ત વાળને કારણે મુખચંદ્ર મલિનકાંતિ દીસતું હશે. કાં તો યક્ષની છબી ચિતરતી હશે અથવા ખોળામાં વીણા લઈને યક્ષનું નામ
૧૧૯