Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
મહારાજશ્રીની ભાવના અનુસાર આણંદજી કલ્યાણજીની પેઢીએ અમદાવાદથી અને પાલિતાણાથી દોઢસોથી વધુ જિનપ્રતિમાઓ પંજાબનાં જિન મંદિરોના નિર્માણ માટે મોકલી આપી. પંજાબનાં કેટલાંક મુખ્ય નગરોમાં એમના હસ્તે જિન પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. પંજાબમાં આનંદોલ્લાસનું એક મોજું ફરી વળ્યું.
વિ. સં. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધીનાં સાત વર્ષમાં પંજાબમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં તેમણે ઘણી જાગૃતિ આણી. આત્મારામજી મહારાજ ઉદાર દૃષ્ટિના હતા, સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હતા. એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યાં. એટલું જ નહિ જૈન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચાર ધર્મના લોકો વચ્ચે પણ પ્રેમ અને બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેરઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો ન હતા, હિન્દુ, મુસલમાન અને શીખ કોમના કેટલાય માણસો પણ એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા.
એમના ઉપદેશથી કેટલાયે લોકોએ માંસાહાર, દારૂ અને શિકારનો ત્યાગ કરી દીધો હતો અને ભવિષ્યમાં તેમ ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. એમનામાં સામી વ્યક્તિને સમજાવવાની શક્તિ ઘણી સારી હતી. તેઓ પોતાના વર્તનમાં અભિમાન દાખવતા નહિ. તેઓ વ્યવહારકુશળ અને સ્વતંત્ર પ્રકૃતિના હતા. તેમનામાં ગજબની વિનોદવૃત્તિ પણ રહેલી હતી. પોતાના શિષ્યો પાસે જેમ કડક શિસ્તપાલન, સંયમપાલન કરાવતા તેમ પોતે વિનોદવૃત્તિ દાખવી હળવા બનતા અને બીજાઓને હળવાશનો અનુભવ કરાવતા.
પંજાબ અને રાજસ્થાનમાં એ દિવસોમાં જૈન સાધુઓ કરતાં જૈન યતિઓનું જોર ઘણું મોટું હતું. ગૃહસ્થાશ્રમી યતિઓ જુદાં જુદાં રાજ્યોમાં રાજાઓનો આશ્રય પામવાને કારણે જ્યોતિષ, આયુર્વેદ, મંત્ર-તંત્ર ઈત્યાદિ વડે રાજાઓનાં મન જીતી લઇને એમની પાસે ધાર્યું કરાવતા. રાજ્ય પાસેથી કેટલીક સત્તા ધર્મના ક્ષેત્રે તેઓ મેળવતા. એથી કેટલાંક નગરોમાં યતિઓની આજ્ઞા વગર સાધુઓથી ચાતુર્માસ થઈ શકતું નહિ. યતિઓના નિવાસસ્થાન પાસેથી પસાર થતાં સાધુઓએ યતિઓને વંદન કરવા જવું પડતું. સામૈયા કે ઉજમણાના પ્રસંગો માટે પણ યિતઓની આજ્ઞા મેળવવી પડતી અથવા રાજની આજ્ઞા યતિઓની સંમતિ મળ્યા પછી જ મળતી. આત્મારામજી મહારાજે પોતાની પ્રકાંડ વિદ્વત્તાથી કેટલાક રાજવીઓને જૈન સાધુપરંપરાનું ગૌરવ સમજાવીને નીડરતાથી લોકોના પ્રેમભર્યા સહકારથી અને રાજાઓની સંમતિથી યતિઓનો સામનો કરી એમનું જોર ઘણું નરમ કરી નાખ્યું હતું. સાધુઓને માથે ચડી બેઠેલી યતિ-સંસ્થાના પાયા આત્મારામજીએ હચમચાવી નાખ્યા હતા. આ પણ એમની જેવી તેવી સિદ્ધિ નહોતી. બીજી બાજુ, જે યતિઓ સમજદાર અને શાસ્રજ્ઞાતા હતા તેમને મહારાજશ્રી સામેથી મળવા જતા અને તેમની સાથે સુમેળ
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
૫૭ www.jainelibrary.org