Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 77
________________ જ ૩૯ છે મુનિવર ભુવનતિલક ! ધનદ તમારા પિતાનું નામ છે. તમારી માતાનું નામ છે પદ્માવતી અને તમારું નામ છે ભુવનતિલક. માતાપિતા તમારા રાજા-રાણી છે. તમે રાજકુમાર છો. યુવાવસ્થામાં તમારો પ્રવેશ થઈ ચૂક્યો છે. પિતા તમારે યોગ્ય કન્યાની તપાસમાં છે અને એવામાં એક દિવસ રાજવી અમરચન્દ્રનો પ્રધાન રાજસભામાં આપની સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છે. ‘રાજન, અમારા રાજા અમરચન્દ્રની પુત્રી યશોમતી ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ હતી. ત્યાં વિદ્યાધરીઓના સમૂહથી ગવાયેલા તમારા પુત્ર ભુવનતિલકકુમારના ગુણ સમૂહનું એણે શ્રવણ કર્યું છે અને મનોમન એણે ભુવનતિલકકુમાર સાથે જ લગ્ન કરવાનો નિર્ધાર કરી લીધો છે. હું અમારા રાજાના આદેશથી આપની પાસે એ વાત મૂકવા આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આ પ્રસ્તાવને આપ સ્વીકારી જ લેશો.' અને રાજકુમાર ભુવનતિલક, તમારા પિતાજીએ રાજવી અમરચન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને એક શુભ દિવસે મંત્રી અને સામંત રાજાઓ સહિત તમે યશોમતી સાથે લગ્ન કરવા પ્રયાણ કર્યું છે. પણ, વચ્ચે આવ્યું છે સિદ્ધપુર નામનું એક ગામ અને ત્યાં તમે રથમાં ને રથમાં જ મૂચ્છ ખાઈને ઢળી પડ્યા છો. આંખો અને વાચા, બંને તમારી બંધ થઈ ગયેલ છે. તમને બોલતા કરવાના દરેકના દરેક પ્રયાસો નિષ્ફળ જ જતા એ સહુ આજુબાજુથી માંત્રિકોને બોલાવી લાવ્યા છે. એમના જાતજાતના પ્રયાસોને જ્યારે નિષ્ફળતા જ સાંપડી છે ત્યારે મંત્રી વગેરે સહુ ભયભીત થઈ ગયા છે. હવે કરવું શું?' પણ, ત્યાં એમના કાને સમાચાર આવ્યા છે કે એક કેવળી ભગવંત સુવર્ણના કમળપત્ર પર બેસીને દેશના આપી રહ્યા છે... અને મંત્રી વગેરે સહુ તુર્ત જ કેવળીના દેશના સ્થળ પર પહોંચી ગયા છે અને ચાલુ દેશનામાં જ કેવળીને એમણે પ્રશ્ન પૂછ્યો છે. હે ભગવંત! અમારા રાજકુમાર ભુવનતિલક પર અણધાર્યું જે દુઃખ આવ્યું છે એની પાછળ કારણ શું છે?” અને ભુવનતિલક, કેવળી ભગવંતે એ સહુ સમક્ષ અસંખ્યકાળ પહેલાંના તમારા એક ભવની દાસ્તાન રજૂ કરી દીધી છે. ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ભવનાગાર નામનું નગર છે. ત્યાં એક દિવસ એક આચાર્ય ભગવંત પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. એ આચાર્ય ભગવંતના શિષ્યોમાં એક વાસવ નામનો શિષ્ય છે કે જે હંમેશાં દુર્વિનયરૂપ સમુદ્રમાં જ નિમગ્ન રહે છે. ગુરુ ભગવંત સહિત સહુ મુનિઓને હેરાન કરતા રહેવાનો જાણે કે એણે જીવનમંત્ર બનાવી લીધો છે. એક દિવસ તો આચાર્ય ભગવંતે એને વિનયના લાભો અને અવિનયનાં નુકસાનો અંગે સારી એવી હિતશિક્ષા પણ આપી છે પરંતુ સર્પના મોઢામાં જતું દૂધ પણ જેમ ઝેરરૂપ બની જાય છે તેમ આચાર્ય ભગવંતની હિતશિક્ષા એના માટે વિપરીત પડી છે. એ ભારે આવેશમાં આવી ગયો છે અને એણે ગુરુદેવ સહિત તમામ સાધુઓને ખતમ કરી નાખવા પ્રાસુક જળમાં તાલપુટ વિષ ભેળવી તો દીધું છે પણ પકડાઈ જવાના ભયે ત્યાંથી નાસી જઈને કોક જંગલમાં જઈને સૂઈ ગયો છે. ૭૬

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100