Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 92
________________ ગૌતમ, ગતજન્મમાં ત્રિશલાનો જીવ દેરાણી તરીકે હતો અને દેવાનંદાનો જીવ જેઠાણી તરીકે હતો. બંને વચ્ચે સ્ત્રીસુલભ ઈર્ષાભાવ સતત ધબકતો રહેતો હતો. એમાં એક દિવસ કોણ જાણે શું થયું, જેઠાણીના મનમાં લોભ જાગ્યો અને એણે દેરાણી પાસે રત્નોની જે ડાબલી હતી એમાંથી કેટલાંક કીમતી રત્નો ચોરી લીધા. કોક અવસરે દેરાણીએ એ ડબ્બી ખોલી અને એને ખ્યાલ આવી ગયો કે આ ડબ્બીમાંથી થોડાંક રત્નો ચોરાયા છે અને એ રત્નો જેઠાણીએ જ ચોર્યા હોવા જોઈએ. જેઠાણી સાથે એણે ઝઘડો કર્યો. શરૂઆતમાં તો જેઠાણીએ રત્નો મેં લીધા જ નથી' એવી વાત પકડી જ રાખી પણ દેરાણી પોતાની વાતમાં મક્કમ રહેતા આખરે થોડુંક સમાધાન થયું. જેઠાણીએ થોડાંક રત્નો પાછા તો આપ્યા પણ જેઠાણી દ્વારા થયેલ આ અન્યાયથી ત્રાસી જઈને દેરાણીએ એને શ્રાપ આપી દીધો. ‘તમને સંતાન થશે જ નહીં” ગૌતમ, જેઠાણી તરીકેના એ ભવમાં બાંધેલ કર્મ દેવાનંદાના આ ભવમાં ઉદયમાં આવ્યું છે અને એ કર્મે જ એના માટે આ સ્થિતિ સર્જી છે કે એના ગર્ભમાં હું આવ્યો ખરો પણ જભ્યો નહીં' પ્રભુ, એની પાછળનું કારણ પણ સમજાતું નથી” ‘ગૌતમ, એ મારો મરીચિ તરીકેનો ત્રીજો ભવ હતો કે જેમાં એક વાર ચક્રવર્તી ભરત મહારાજા કે જે મારા પિતા હતા એમણે પરમાત્મા ઋષભદેવને પ્રશ્ન પૂછ્યો હતો કે “પ્રભુ, આ સમવસરણમાં એવો કોઈ આત્મા હાજર છે ખરો કે જે આત્મા તીર્થંકરનો જીવ હોય?” ‘ભરત, આ તારો પુત્ર મરીચિ કે જે ત્રિદંડી છે, એ આ અવસર્પિણી કાળનો ચોવીસમો તીર્થંકર થવાનો છે.' પ્રભુનો આ જવાબને સાંભળીને ભરત મહારાજાએ મારી પાસે આવીને મને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કર્યા હતા. અને એ વખતે મેં ‘મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પોતે ભાવિનો વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર ! કમાલ ! કમાલ !' આ વિચાર સાથે કુળનો મદ કર્યો હતો અને એ કુળમદથી બંધાયેલ અશુભકર્મ ખપતાં ખપતાં ૮૨ દિવસનું બાકી રહ્યું હતું. એ ૮૨ દિવસ મેં દેવાનંદાની કુક્ષિમાં વિતાવ્યા અને જ્યાં એ કર્મ ખતમ થઈ ગયું, હરિણંગમિષી દેવ દ્વારા હું ત્રિશલાની કુક્ષિમાં મુકાયો અને ત્રિશલાની કુક્ષિમાં જે જીવ હતો એ દેવાનંદાની કુક્ષિમાં મુકાયો. ગૌતમ, જે દેવાનંદાના ગર્ભમાં મેં ૮૨ દિવસ વિતાવ્યા છે એ માતા દેવાનંદા અને પિતા ઋષભદત્ત સંયમજીવન અંગીકાર કરીને મોક્ષમાં જવાના છે અને જે ત્રિશલાએ મને જન્મ આપ્યો છે એ માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ બારમા દેવલોકમાં જવાના છે' દેવાનંદા, પ્રભુ વીરના મુખે તમારી આ દાસ્તાન સાંભળીને તમે સ્તબ્ધ થઈ ગયા છો. જડ એવાં રત્નોની કરેલ ચોરીની કર્મસત્તાએ તમને જે સજા કરી છે એ સજાના ખ્યાલે તમારી આંખોમાંથી બોર બોર જેટલાં આંસુઓ પડી ગયા છે. કરમ ! તારી આ કુટિલતા? પ્રભુ, દારૂના નશા કરતાં ય નિદ્રા હજી ઓછી ખરાબ. કારણ કે નિદ્રામાં માણસ ખીસામાં રહેલ પૈસા ફેંકી ન દે જ્યારે દારૂના નશામાં તો માણસ હાથમાં રહેલ કીમતી રત્નો ય ફેંકી દે. મને એમ લાગે છે કે હું મોહના નશામાં જ છું. મહામૂલા આ જીવનની કીમતી પળોને વિષય-કષાયની ગટરમાં ફેંકી રહ્યો છું. તું મને થપ્પડ લગાવીને ય નશામુક્ત ન કરી દે?

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100