________________
" મારી નિસબત છે
કચ્છપ્રદેશના સંતકવિ દાદા મેંકણે લુહારની કોઢના ઘરગથ્થુ દૃષ્ટાંતથી આપેલા ઉદાહરણનું સ્મરણ થાય છે :
ખુશીએ જો ખુરો કરે, ધમણ ધોંણ મ લાય;
ફૂડજી ગારે કેકરી, સચો સોન પાય. ખુશીઓની ભઠ્ઠી સળગાવી, ધમણની ફૂંકને તું બંધ ન કરતો; જૂઠાણાંની કાંકરીને ઓગાળીને સત્યનું સોનું તું પ્રાપ્ત કરી શકીશ.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આપેલું વક્તવ્ય.
તા. ૨૪-૧૨-૨૦૦૬
આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નિરખતો, પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો બાપ પામવાની.
પ્રકૃતિમાં જે પસંદ એ જ પ્રવૃત્તિમાં પસંદ. એક ક્ષેત્રની સીમાઓમાં બંધાઈ રહેવાને બદલે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘુમવાનું ગમે અને એ રીતે *વ્યાપ'નો મનભર, વિચારસમૃદ્ધ અનુભવ થાય. સદ્ભાગ્યે આકાશસમગ્રને આંખમાં ભરી લેવાની એક દૃષ્ટિ મળી અને તે છે મૂલ્ય સાથેની નિસબત. સંકીર્ણતાનો ત્યાગ કરીને વ્યાપક ભૂમિકા પર વિચાર કરવાની વૃત્તિ જાગી અને એની સાથે મુલ્યને કેન્દ્રમાં રાખીને જીવનના આચાર-વિચાર ઘડાય એવી પ્રતીતિ થઈ. મૂલ્ય સાથેની નિસબતે જીવન અને સાહિત્ય વચ્ચેની દિવાલ દૂર કરી. જીવનની નિસબત એ જ સાહિત્યની નિસબત બની ગઈ. આ મૂલ્ય-દૃષ્ટિએ આકાશમાં કેટલાંય મેઘધનુષ રચ્યાં. પ્રવૃત્તિઓના કેટલાય આનંદ રંગો રેલાવ્યા અને એથી જ આફ્રિકાના નાટ્યકાર સોયન્કા કે ઑસ્ટિન બુકન્યાની સાથોસાથ સચિનના ડ્રાઈવ અને રોનાલ્ડોના ગોલ માણવાની મજા માણી. ઉપનિષદ, ગીતા અને જૈનદર્શનોનું સારતત્ત્વ પામવાનો આનંદ મળ્યો. વર્તમાન સમયમાં શ્રીમદ્ રાજચંદ્રની મહાત્મા ગાંધીની વિચારધારા પર અસર કરનારી જીવનકથા ગમી ગઈ. શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓના અધ્યાપન ઉપરાંત એમની જીવનશૈલીનો વિચાર કરતો થયો. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૂંગે મોંએ ઘસાઈને ઊજળા થવાનો આનંદ આવ્યો.
પિતાશ્રી લેખક હોવાથી સાહિત્ય અને સાહિત્યકારોની વચ્ચે બાળપણ વીત્યું. ઝવેરચંદ મેઘાણી રાણપુરમાં વસતા હતા ત્યારે મારા મામાના ઘરની સાવ નજીકમાં. એમનો ‘કાં ભાઈ નો લહેકો આજે ય કાનમાં ગૂંજે છે. ‘ધૂમકેતુ’ આવે ત્યારે ખિસ્સામાં ચોકલેટ હોય જ. ઘરમાં બેસતાં પહેલા