Book Title: Aajno Aapno Padkar
Author(s): Kumarpal Desai
Publisher: Vishva Vikas Trust

View full book text
Previous | Next

Page 15
________________ દુનિયા બદલવાનો અભિનિવેશ લઈને નીકળે છે. એનું કામ બદલવાનું નહીં પણ સમજાવવાનું છે, આથી અમુક પક્ષ પર ઝોક મૂકીને ચાલતો સર્જક પ્રચારક બની જાય છે. સાહિત્યની મુખ્ય નિસબત શું હોવું જોઈએ તેના કરતાં શું છે તેની સાથે છે. આથી સાહિત્ય એ ક્રાંતિસર્જક હોતું નથી, પરંતુ કાંતિપ્રેરક હોય છે. એ માનવચિત્તને પરિવર્તિત કરે છે, જે ચિત્ત સમય જતાં ક્રાંતિનું સર્જન કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગાંધીવિચાર વિશે કવિતા કે નવલકથા સર્જનાર આપણો લેખક પણ ‘ગાંધીવાદીની છાપ ધારણ કર્યા વિના સર્જન કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉમાશંકર જોશી આનાં બે મોટાં ઉદાહરણો ગણાય. વળી જેમણે જીવનમાં ગાંધીવિચાર અપનાવ્યો એમણે પણ સાહિત્યમાં ગાંધીવાદનો પ્રચાર કરવાનું રાખ્યું નથી. કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને સ્વામી આનંદ તેનાં સારાં ઉદાહરણો છે. સમાજની સાહિત્યાભિમુખતા આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજનું સાહિત્ય, સાહિત્યકારો અને સાહિત્યિક સંસ્થાઓ વર્તમાન સમાજને સાહિત્યાભિમુખ કઈ રીતે કરી શકે ? વિશ્વમાં શિક્ષણનું પ્રમાણ વૃદ્ધિ પામે છે. આજના યુગમાં સર્વાધિક માનવસંખ્યા શિક્ષિત હોવા છતાં આવનારી પેઢીની સાહિત્ય-અભિમુખતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. ઈશ્વરને માટે એમ કહેવાય છે કે - રમતે - તે એકલો ૨મતો નથી, એમ ભાવક વગરના સર્જકનો આનંદ પણ ફિક્યું હોય છે. સર્જક સર્જન વેળાએ ભાવકને દૃષ્ટિ સમક્ષ રાખે નહીં, તે સમજી શકાય, પણ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અને ‘કલા ખાતર કલા'ના સિદ્ધાંતની વાત કરતા પાશ્ચાત્ય સાહિત્ય- મીમાંસકો પણ સ્વીકારે છે કે આસ્વાદ વગર સર્જનનો શ્રમ મિથ્યા છે એટલે સાહિત્યકારે પ્રજાના રુચિતંત્રને ઘડે તેવું સાહિત્ય રચવું પડે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં હોટલમાં પ00 રૂપિયા ખર્ચનાર પચાસ રૂપિયાનું પુસ્તક ખરીદશે નહીં. શિક્ષણના ક્ષેત્રમાં આ જ રીતે પાઠ્યપુસ્તક કરતાં ત્રણ ગણી કિંમતની ગાઇડો ખરીદવાનું વિદ્યાર્થીઓનું વલણ જોવા મળે છે. આ પ્રકારની નિમ્ન રુચિ પ્રત્યે તિરસ્કાર કેળવવો જોઈએ. તેને માટે નાની પણ સુઘડ વાર્તારસ ધરાવતી રચનાઓ પ્રજામાં પ્રસરતી કરવી જોઈએ . ૧૯૩૦ના દાયકામાં ગુજરાત વિદ્યાપીઠે, દક્ષિણામૂર્તિ સંસ્થાએ તથા બીજી કેટલીક સંસ્થાઓએ આવું કાર્ય કર્યું. કમાણી કરવાને બદલે એની પાછળ શુદ્ધ સાત્ત્વિક સાહિત્ય પીરસવાની ભાવના રાખી. છેલ્લા બે દાયકાથી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી આ કામ કરી રહ્યા છે. તેમની શાંત-મૂક સાહિત્યસેવાને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. ઇચ્છા તો એવી છે કે ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં એક-એક મહેન્દ્ર મેઘાણી સાત્ત્વિક સુરુચિપૂર્ણ અને રસદાયક સાહિત્યના ફેલાવા માટે પુરુષાર્થ કરે અને એ માટે આપણી સંસ્થાઓ જરૂરી પ્રબંધ કરે. ગુજરાતી સાહિત્યમાં ગીત અને ગઝલનો પ્રભાવ આજે વિશેષ રૂપે જોવાય છે. આ ગીત અને ગઝલનો ઉપયોગ આપણી વાતને લોકો સુધી પહોંચાડવા માટે કરવો જોઈએ. બધા કવિઓ ગાયક હોતા નથી અને બધા ગાયક કવિ હોતા નથી, પરંતુ સુગમ સંગીતના કલાકારોનો લાભ લઈને કવિઓની કવિતાને વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડવી જોઈએ અને એ જ રીતે વાર્તાઓનું પઠન નાનાં-નાનાં કેન્દ્રોમાં થતું રહે તો નવી વાર્તાની ખૂબીઓ લોકોના ધ્યાનમાં આવતી રહેશે. મારો અનુભવ એવો છે કે જે કૃતિ લોકોને પસંદ પડે છે તે ખરીદવામાં પછી સાહિત્યરસિક વર્ગને સંકોચ થતો નથી. સમાજની રુચિ કેળવવી જોઈએ એ માટે ઊંચા બળનું સાહિત્ય લખાય અને સમજાય તે જરૂરી છે. એવો ભાવક વર્ગ તૈયાર થાય કે જેને ઉચ્ચ કોટિના સાહિત્યની અભિરુચિ જાગે. ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્ય સર્જકોને પ્રોત્સાહન આપવાનું છે. મૂળ સર્જનનું બળ હોવું જોઈએ. એનું પોષણ કરવાનું અને સહાય કરવાનું કામ પરિષદ અને એના જેવી અન્ય સંસ્થાઓનું છે. આથી સૌથી મહત્ત્વની બાબત તો સર્જકશક્તિ છે. આવો સર્જ કઉન્મેષ મેળવવા માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી ભાષા અને સાહિત્યને પહોંચાડવાં પડશે. સર્જકે એની સમર્પણશીલતાથી આ કાર્ય કરવાનું છે. આજે રાષ્ટ્ર અને સમાજ માં સંવેદનશીલતા સતત ઘસાતી જાય છે. પ્રજાનો મોટા ભાગનો વર્ગ રીઢા રાજકારણીની ખુશામતમાં અને વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં ડૂબેલો છે. સાહિત્યકાર પણ એમાંથી કઈ રીતે બાકાત રહી શકે ? એક જમાનામાં સાહિત્ય માટે ફનાગીરી નહીં, તો ઓછામાં ઓછું સ્વાર્થનો ત્યાગ કરવાની વૃત્તિ અને

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27