________________
સૂત્રસંવેદના અંગે મારું સંવેદના
સંવેદન શબ્દ સાંભળતાં જ મનની હાજરી પુરવાર થાય છે. જ્ઞાન-બોધ ગમે તેટલો હોય પણ તે તે બોલાતા શબ્દો સાથે મન ન ભળે તો સંવેદના જાગૃત થતી નથી ! સંવેદન માટે મનને હાજર રાખવા ઉપરાંત નવ રીતે એ મનને કેળવવું પડે છે.
જ્ઞાનમગ્ના સા. શ્રી પ્રશમિતાશ્રીજીએ સૂત્રસંવેદના ભા. ૧નાં લખાણો સુધારવા મને આપેલાં ત્યારે મારા તારણહાર ગુરુદેવની માનસિક પ્રસન્નતા અને પરમસમાધિ સાથેની શારીરિક માંદગી આદિના કારણે એ સુધારવાનું કાર્ય પૂરું કરી શક્યો નહોતો. આ વર્ષે પૂ. ગુરુદેવના પરમસમાધિમય નિર્વાણ (વિ.સં. ૨૦૫૯, ચે. સુ. ૬) બાદ મને તેઓએ સૂત્રસંવેદના ભા. રનાં લખાણ સુધારવા માટે વિનંતી કરી, મેં હા પાડી. લખાણો વાંચતો ગયો, સુધારતો ગયો, કેટલેક ઠેકાણે સૂચનો લખતો ગયો. સાધ્વીજી મહારાજે લખાણ કરવામાં મહેનત ઘણી કરી છે, એ ચોક્કસ સ્વીકારવું પડશે.
ભાવિકોને જ્ઞાનરુચિ વધી છે, ત્યારે આગળનાં સૂત્રોની પણ આ રીતે સંવેદનાઓ પ્રગટ થાય તે જરૂરી અને આવશ્યક છે.
ગુરુકૃપાથી ખીલેલા મારા અલ્પ ક્ષયોપશમ મુજબ મેં ભા. રનું લખાણ સાધંત તપાસ્યું છે. શક્ય બધા જ દોષો દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાંક સ્થાનોમાં લખાણ ઉમેરવા જણાવેલું, કેટલીક સ્પષ્ટતા કરવા સૂચવેલું, જે સંજોગાનુસાર શક્ય અમલ કરવા તેમણે પ્રયત્ન કર્યો છે.
આ લખાણ વાંચતા મને પણ સંવેદનાઓ સારી થઈ છે. અનેક જૂની યાદો તાજી થઈ ! હજી આ સંવેદનાઓમાં તત્ત્વજ્ઞાન, કર્મગ્રંથાદિના પદાર્થો ભેળવવામાં આવે તો વધુ અસરકારક બની શકશે, એમાં બેમત નથી. ભવિષ્યની આવૃત્તિમાં તે માટે પણ લક્ષ્ય રાખવામાં આવે તો વધુ લોકોપયોગી બનશે.
ચાલુ શાંતિનગરના ચાતુર્માસમાં બે-બે વાચનાઓ, પ્રવચનો વગેરેની અનેકવિધ જવાબદારીના યોગે લખાણ તપાસી આપવામાં વિલંબ થયો છે. તેને જ કારણે પ્રસ્તુત પ્રકાશન વિલંબિત બન્યું છે. છદ્મસ્થતાના યોગે કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય તો વાચકો જણાવે, એ જ વિનંતિ.
આવી સંવેદનાસભર નિત્યનૈમિત્તિક ક્રિયાઓ કરવા દ્વારા ભવ્યજીવો વિપુલ કર્મનિર્જરા સાધી ભાવધર્મના સ્વામી બનવા પૂર્વક શાશ્વત પદના ભોક્તા બને, એ જ શુભાભિલાષા.
૧૭, ટોળકનગર, મહાલક્ષ્મી, પાલડી, અમદાવાદ-૭ વિ. સં. ૨૦૫૯, આ. વ. ૧૧
દ. અપ્રમત્તજ્ઞાનોપાસક પૂજ્યપાદ ગુરુદેવ આ. ભ. | વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાનો પ્રાપ્તકૃપા
લવલેશ શિષ્ય મુનિ ભવ્યદર્શનવિજય ગણી