________________
જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગ, સ્વાધ્યાય-સંયમ, વિનય-વિવેક...કઈ બાબતમાં હું ઉણો છું ?
પણ, માલિકનો માલિક કોણ ? આ તો સ્પષ્ટ પક્ષપાત છે ! આટલા બધા ઇન્દ્રો, દેવો, શ્રેણિક રાજા અને વિશાળ પર્ષદા-બધાના મન પર મારી કેટલી ખરાબ છાપ પડે !
અને, કદાચ ધન્નાનું જ નામ આપવું હતું તો આમ જાહેરમાં થોડું અપાય ! શ્રેણિકને કહી દેવું જોઇએ કે, બધા પ્રશ્નોના જવાબ જાહેરમાં ન અપાય, આનો જવાબ ખાનગીમાં મળશે.
અને, શ્રેણિકને ય અક્કલ નથી. આવા પ્રશ્નો જાહેરમાં પૂછાતા હશે?
કેટલો વિનય રાખીએ, કેટલા જ્ઞાની બન્યા, છઠ્ઠને પારણે છઠ્ઠ કરીએ, તેમને ખાતર ઘસાઇ જઇએ અને તૂટી મરીએ. પણ ગુરુને કોઇ કદર જ ન હોય !
આવો વિકલ્પોનો ઝંઝાવાત મારા મનમાં તો હુંકાયા વગર ન જ રહે.
અને, સ્વમાનપ્રેમ કહો તો સ્વમાનપ્રેમ અને નબળી કડી ગણો તો નબળી કડી, આપણને જાહેરમાં કોઇ ઉતારી પાડે કે અવમૂલ્યન કરે તો આપણાથી સહન ન થાય.
અને, આ પ્રોબ્લેમ મને ઘણી વાર થાય. જ્યારે નવાસવા દીક્ષિતને લઇને આવું અને હું સહુથી પહેલાં વંદન કરવાનો વિવેક શીખવાડું ત્યારે ગુરુ ભરસભામાં ધડ દઇને મને ટોકે. ગૌતમ, કેવલીની આશાતના ન કર...આ થોડું વ્યાજબી છે?
આપણને થોડી ખબર હોય કે તેમને કેવળજ્ઞાન થઇ ગયું છે ? શિષ્યોએ પહેલેથી જ મને કહી દેવું જોઇએ કે, ગુરુદેવ, અમને કેવલજ્ઞાન થયું છે. અને, કાં તો સમવસરણમાં પહોંચતાવેંત પ્રભુએ કાનમાં મને કહી દેવું જોઇએ કે આ તારા નવા શિષ્ય કેવલી બની ગયા છે. તેવું કરવાને બદલે જાહેરમાં મને ઉતારી પાડે તે ઠીક ન કહેવાય. પણ, વિનયી અને સમર્પિત તરીકેની છાપ ટકાવી રાખવા આપણે મૂંગે મોઢે બધું સહન કરી લેવું પડે !
જુઓ, પેલા હાલિકના પ્રસંગમાં કેવું થયું ? એ ગમાર જેવાને મે કેવી રીતે