Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| કર્મ સિદ્ધાંત - ચિંતન
.
[ ૨૦૫ ]
ભારતનાં ભિન્ન ભિન્ન દર્શનોમાં માયા, અવિધા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દેવ, ભાગ્ય આદિ શબ્દોનો પ્રયોગ થયેલ છે. વેદાંત દર્શનમાં માયા, અવિદ્યા અને પ્રકૃતિ શબ્દોનો પ્રયોગ થયેલ છે. મીમાંસાદર્શનમાં અપૂર્વ શબ્દ પ્રયુક્ત થયો છે. બૌદ્ધદર્શનમાં વાસના અને અવિજ્ઞપ્તિ શબ્દનો પ્રયોગ થયો છે. સાંખ્યદર્શનમાં "આશય" શબ્દનો, ન્યાયવૈશેષિકદર્શનમાં અદષ્ટ, સંસ્કાર અને ધર્માધર્મ શબ્દનો સવિશેષ પ્રયોગ થયો છે. દૈવ, ભાગ્ય, પુણ્ય, પાપ વગેરે અનેક શબ્દો છે જેનો પ્રયોગ સામાન્ય રૂપે સર્વદર્શનોમાં થયેલ છે. ભારતીય દર્શનોમાં એક ચાર્વાકદર્શન જ એવું દર્શન છે કે, તેને કર્મવાદમાં વિશ્વાસ નથી, કારણ કે તે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી માનતા. તેથી તેઓ કર્મ અને તેના દ્વારા થતાં પુનર્ભવ, પરલોક આદિને પણ માનતા નથી.
ન્યાયદર્શનના મત પ્રમાણે રાગ, દ્વેષ અને મોહ; આ ત્રિદોષથી પ્રેરિત થઈ જીવોમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ થાય છે અને તેથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થાય છે. આ ધર્મ અને અધર્મ સંસ્કાર કહેવાય છે.
વૈશેષિકદર્શનમાં ચોવીસ ગુણ માન્યા છે. તેમાં એક અદષ્ટ પણ છે. આ ગુણ સંસ્કારથી ભિન્ન છે અને ધર્મ-અધર્મ બંને તેના ભેદ છે. આ પ્રમાણે ન્યાયદર્શનમાં ધર્મ, અધર્મનો સમાવેશ સંસ્કારમાં કહેલ છે. તે જ ધર્મ-અધર્મને વૈશેષિકદર્શનમાં અદષ્ટની અંતર્ગત લીધેલ છે. રાગ આદિ દોષો અને તે દોષોથી પુનઃ સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવોની સંસાર પરંપરા બીજાંકુરવત્ અનાદિ છે.
સાંખ્ય-યોગદર્શનના મતાનુસાર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેષ; આ પાંચ લેશોથી ક્લિષ્ટવૃત્તિ ઉત્પન્ન થાય છે. તે ક્લિષ્ટવૃત્તિથી ધર્માધર્મરૂપી સંસ્કાર ઉત્પન્ન થાય છે. સંસ્કારને આ વર્ણનમાં બીજાંકુરવતુ અનાદિ માનેલ છે.
મીમાંસાદર્શનનો અભિપ્રાય છે કે મનુષ્ય યજ્ઞ આદિ અનુષ્ઠાન કરે છે તેનાથી અપૂર્વ નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે અને તે અપૂર્વ જ સર્વકર્મોનું ફળ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો વેદ દ્વારા નિરૂપિત કર્મથી ઉત્પન્ન થનારી યોગ્યતા અથવા શક્તિનું નામ અપૂર્વ છે. ત્યાં અન્ય કર્મજન્ય સામર્થ્યને અપૂર્વ કહેલ નથી .
વેદાંતદર્શનનું મંતવ્ય છે કે અનાદિ, અવિદ્યા અથવા માયા જ વિશ્વવૈચિત્ર્યનું કારણ છે. ઈશ્વર સ્વયં માયાજન્ય છે તે કર્મ પ્રમાણે જીવને ફળ પ્રદાન કરે છે, તેથી ફળપ્રાપ્તિ કર્મથી નહીં પરંતુ ઈશ્વરથી થાય છે.
બૌદ્ધદર્શનનો અભિપ્રાય છે કે, મનોજન્ય સંસ્કાર વાસના છે અને વચન તથા કાયજન્ય સંસ્કાર અવિજ્ઞપ્તિ છે. લોભ, દ્વેષ અને મોહથી કર્મની ઉત્પત્તિ થાય છે. લોભ, દ્વેષ અને મોહથી પ્રાણી મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ કરે છે અને તેથી પુનઃ લોભ, દ્વેષ અને મોહને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે અનાદિકાળથી આ સંસારચક્ર ચાલે છે. (૯) જૈનદર્શનમાં કર્મનું સ્વરૂપ :
અન્ય દર્શનકારો કર્મને જ્યાં સંસ્કાર અથવા વાસના રૂપે માને છે ત્યાં જૈનદર્શન તેને પૌલિક