Book Title: Sanyamni Sahachari Gochri Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ ૮૪ જિનતત્ત્વ વિહાર કરતાં રહેવાને કારણે તથા રોજ જુદા જુદા વિસ્તારનાં જુદાં જુદાં ઘરોમાંથી થોડો થોડો આહાર વહોરી લાવવાને લીધે જેન સાધુ-સાધ્વીઓને સ્થળ, સંઘ કે વ્યક્તિઓ સાથે રાગદ્વેષનાં નિમિત્તો ઓછાં રહેવાથી સમાજને તેમના પ્રત્યે પૂજ્યભાવ રહે છે. ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તો ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક એવો વિવિધ પ્રકારનો આહાર, માણસથી ખાઈ શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં, સ્વાધીનપણે મળે; પરંતુ એવા રાજવૈભવનો ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વેચ્છાએ સંન્યાસ સ્વીકારી, એક ઘરેથી બીજા ઘરે ફરીને લુખ્ખો-સૂકો આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેહભાવ કરતાં તેમનો આત્મભાવ કેટલો ઊંચો હશે તેની પ્રતીતિ થાય છે. ભગવાન મહાવીરે લગભગ સાડા બાર વર્ષ આવું કઠિન તપસ્વી જીવન વિતાવ્યું. સંનિષ્ઠ બ્રહ્મચર્યમય સંયમી જીવન જીવવા માટે આહારની જરૂર ઘણી ઓછી રહે છે એ ભગાવન મહાવીરે પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું. લગભગ સાડા બાર વર્ષના તપશ્ચર્યામય જીવનમાં એમણે કુલ જેટલા ટંક આહાર કર્યો એનો જો સરવાળો કરીએ તો લગભગ એક વર્ષ જેટલો સમય થાય, એટલે કે જુદા જુદા દિવસો મળીને આશરે ૧૧ વર્ષ જેટલો સમય એમણે આહાર વગર ચલાવ્યો એમ કહી શકાય. આ અત્યંત વિરલ કહી શકાય એવી સિદ્ધિ છે. માણસનો સૌથી મોટો ઉદ્યમ ઉદરભરણને કાજે હોય છે. ઉદરપોષણ અટકે તો જીવન અટકે. એટલે જ ઉદરપોષણ અર્થે કરાતી કમાણી માટે આજીવિકા” શબ્દ વપરાય છે. કેટલાક એમ માને છે કે માણસને જો પેટ ન હોત તો આ સંસારમાં ઘણી શાંતિ હોત, કારણ કે પેટ માટે માણસને જે ધાંધલ-ધમાલ કે ઢસરડા કરવા પડે છે તે કરવા ન પડત. બીજા કેટલાક એમ માને છે કે માણસને જો પેટ ન હોત તો કદાચ સંસારમાં બહુ ક્લેશ, કંકાસ, કલહ અને અશાંતિ હોત, કદાચ યુદ્ધો પણ વધુ થતાં હોત, કારણ કે પેટ માટેના ઉદ્યમમાંથી નવરો પડેલો નિશ્ચિત માણસ ખોટી દિશામાં પોતાની બધી શક્તિ વાપરતો થયો હોત. મનુષ્યને પેટ છે માટે જ તે આટલો બધો રોકાયેલો રહે છે અને છતાં પેટ નથી એમ સમજીને આહારનો જે વ્યવહાર કરે છે તેવા સંયમી માણસો સાચી શાંતિ અનુભવી શકે છે અને આસપાસ પ્રસરાવી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7