Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ - ૪૮ - ૪૯ તમારી સાચી ઓળખ આપતો ફોટોગ્રાફ છે ? ચિંતા તમને બાંધે છે કે તમે ચિંતાને ? તમારા મનની ચિંતાઓનો તમે વિચાર કરશો તો ખ્યાલ આવશે કે ચિંતાગ્રસ્ત મન તમને જંપીને જીવવા દેતું નથી. આનું કારણ એ છે કે તમે સતત ચિંતાના ઘેરામાં જીવો છો. મન પર કામના બોજ કરતાં ચિંતાનો બોજ વધુ સવાર થયેલો હોય છે. ઘણી વાર તો વ્યક્તિ કામ કરવાને બદલે માત્ર ચિંતા ન કરતી હોય છે. આવી ચિંતાઓ કરી-કરીને એ કામને પાછું ઠેલતી હોય છે અને પછી વિલંબને કારણે એ કામ એવું ગંભીર અને સમસ્યાપૂર્ણ રૂપ લે છે કે માનવી નાસીપાસ થઈ જાય છે. કામ કરવા કરતાં ચિંતા કરવી વધુ હાનિકારક છે. પહેલું કામ એ કરીએ કે કામની ચિંતા કરવાને બદલે કામનું આયોજન કરીએ. બીજું એવું કરીએ કે કેટલીક ચિંતાઓને છોડી દઈએ. તમે જે કરી શકતા નથી, એની ચિંતાઓ છોડી દો. તમે જે બદલી શકતા નથી, તેને સ્વીકારી લો. આમ નહીં કરો, તો તમને ચિંતા સતત પરેશાન કરશે. જેને તમે બદલી શકતા નથી તેને બદલવાનો પ્રયત્ન મૂર્ખાઈયુક્ત જ ગણાય. ચિંતા પ્રસન્નતાની ઘાતક છે. મૌલિક વિચારની અવરોધક છે. ચહેરા પર લીંપાયેલી ઉદાસીનતા છે. મન પરનો ભારે મોટો બોજ છે. એ ચિતા માનવીના ચિત્તને સતત બાંધી રાખે છે. ભોજન સમયે કે શયન સમયે ચિંતામુક્ત રહી શકતો નથી. આપણને થતી પીડાની સીમા હોય છે. માથે આવતાં દુ:ખોની મર્યાદા હોય છે. જીવનના ઝંઝાવાતો સઘળું ખેદાનમેદાન કર્યા પછીય શાંત થઈ જતા હોય છે, જ્યારે ચિતાને કોઈ બંધને બાંધી શકતું નથી. સમય અવરોધી શકતો નથી કે પરિસ્થિતિ પલટાવી શકતી નથી. એને વિશે જેમ વિચારશો તેમ એ વધુ બળવત્તર બને છે. ચિતાની આ સતત ચાલતી મન-પ્રવૃત્તિને બંધક બનાવવી મુશ્કેલ છે, જે એને બંધનમાં બાંધી શકે છે, તેને જીવન અને જગત વશ વર્તે છે. તમારી પાસે તમારો ફોટોગ્રાફ છે ખરો ? હા, બીજાએ એના કૅમેરાથી લીધેલા આપણા ઘણા ફોટોગ્રાફ આપણી પાસે છે, પરંતુ આપણી પાસે આપણે પોતે લીધેલો આપણો પોતાનો ફોટોગ્રાફ નથી. જીવનમાં મુખ્યત્વે આપણે અન્યને સારા દેખાઈએ એવા ફોટોગ્રાફ માટે પ્રયત્ન કરીએ છીએ. આને માટે આપણા સાચા ચહેરા પર ટાપટીપ કરીએ છીએ. હોઠ પર હાસ્ય ચોંટાડીએ છીએ. વાળ ગોઠવીએ છીએ. સ્ટાઇલથી ઊભા રહેવાની અદાકારી કરીએ છીએ. બીજાની નજરે આપણું જીવન ઘડવા અને ગાળવા પ્રયાસ કરીએ છીએ. આવી વ્યક્તિ સ્વને ઓળખીને જીવતી હોતી નથી. પરિણામ એ આવે છે કે અન્ય વ્યક્તિને સારો લાગે, તે માટે એ નિજસ્વરૂપથી સાવ ભિન્ન એવો દેખાવ રચે છે. મનમાં ગમે તે વિચારતો હોય, પણ બહાર અમુક પ્રકારનું વર્તન કરે છે. આમ કરવા જતાં એના વિચાર અને આચારમાં દંભ, આડંબર ને કૃત્રિમતા આવી જાય છે. જેમજેમ આ આવરણો એના વ્યક્તિત્વ પર લપેટાતાં જાય છે, તેમતેમ એ પોતાના વ્યક્તિત્વથી, પોતાના ખ્યાલોથી, જીવનની મસ્તીથી અને સહજ નિજાનંદથી દૂર ચાલ્યો જાય છે. આમ વ્યક્તિ પાસે પોતાના ચિત્તનો ફોટોગ્રાફ હોવો જોઈએ અને એ ફોટોગ્રાફ પ્રમાણે એણે એની જાતને ઓળખવી જોઈએ. એના પોતાના સ્વભાવને પારખવો જોઈએ. તો જ એ એની ઇચ્છાઓને સમજતો જશે અને એની નબળાઈઓને પણ જાણી શકશે. વ્યક્તિ પાસે પોતાનો આવો ફોટોગ્રાફ હશે, તો પછી એ પોતાના જીવનના નિર્ણયો પોતાની દૃષ્ટિએ અને પોતાની પ્રકૃતિ અનુસાર લઈ શકશે, જ્યારે અન્યની અપેક્ષાએ ચાલનાર પોતાની જાતને ભૂલી જાય છે અને એ રીતે જીવનમાં અવળે રસ્તે ભટકી જાય છે. 50 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 51

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82