________________
અષ્ટમ પલ્લવઃ
૨૦૩
નાસિકા વિજ્ઞાની થા અને પૃથ્વીચારી થઈ જા. તારું અહીં આગમન વિરામ પામો. આ પ્રમાણે તારા પ્રમાદનું ફળ તું ભોગવ.' મેં ઇંદ્રના ચરણમાં પડીને વિજ્ઞપ્તિ કરી કે—મારી ઉપર ક્ષમા કરી અને હે દેવેંદ્ર ! પ્રસન્ન થઈને કહો કે આ શાપનો અનુગ્રહ ક્યારે થશે ?' ઇન્દ્રે કહ્યું કે ‘નરમાંસનું ભક્ષણ કરનારી તું થઈશ. તે પ્રસંગમાં જે સાહસિક પુરુષ તને પૂછશે કે તારી નાસિકા કોણે છેદી ? તે વખતે તારા શાપનો અંત આવશે.' તે દિવસથી હું નરમાંસભક્ષણ કરનારી થઈ. આ આખી નગરીના તમામ મનુષ્યોનું મેં ભક્ષણ કર્યું અને સ્ત્રીઓ તથા અશ્વોવડે છેતરીને બીજા પણ ઘણા મનુષ્યોનું ભક્ષણ કર્યું. એ રીતે ભક્ષણ કરાયેલા મનુષ્યોના મસ્તકોથી એક યોજન પ્રમાણ પૃથ્વી પુરાઈ ગઈ. પણ તેમાંથી તારા વિના કોઈએ મને મારી નાસિકા કોણે કાપી ? એમ પૂછ્યું નહીં હે વત્સ ! આજે તેં પૂછ્યું, તે ઉપરથી મારી ઉપરનો શાપ દૂર થયો અને મારી નાસિકા નવી આવી. હે નરોત્તમ ! તેં મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે. તું ચિરંજીવ થા, તું મારે સ્થાનકે રહે, અહીંનો રાજા થા, આ નગર વસાવ અને આ સ્ત્રીઓ તથા અશ્વોનો યથારૂચિ લાભ મેળવ.' આ પ્રમાણે કહી તે નગરી વસાવવાની સગવડ કરી આપીને તે સ્ત્રી વૈતાઢ્ય પર ગઈ અને પ્રથમની જેમ ઇન્દ્રની સાથે આનંદ કરવા લાગી.
અહીં મનોરમપુરમાં ધૃષ્ટક બળવાન્ રાજા થયો અને તેના છ મિત્રો તેના મંડળિક રાજાઓ થયા. તે સારી રીતે રાજ્ય પાળતો હતો. એક દિવસ ઉદ્યાનપાળે આવીને કહ્યું કે– ‘આપણા ઉદ્યાનમાં આચાર્ય મહારાજા પધાર્યા છે.' તે સાંભળીને ધૃષ્ટક (સૂર) રાજા સર્વ સામગ્રી સાથે વંદન કરવા ગયો અને પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક ગુરુને વાંદીને દેશના સાંભળવા બેઠો. સૂરિભગવંતે ગંભીર વાણીવડે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો, તેમાં કહ્યું કે—જેઓ ધર્મિષ્ઠ હોય તેમને જ સત્ પુરુષ જાણવા બીજાને કાપુરુષ સમજવા. મનુષ્યજન્મને પામીને જે અધમપુરુષ ધર્મ કરતા નથી તે રોહિણાચલ પર્વતને પામીને ચિંતામણી રત્નને તજી દે છે.'
દેશનાને અંતે સૂરરાજાએ પૂછ્યું કે—હે પ્રભુ ! મેં પૂર્વભવે શું પાપ કર્યું હતું કે જેથી આ ભવમાં વારંવાર શાકિનીના સંકટમાં પડ્યો ?' સૂરિએ કહ્યું કે—‘તે જાણવાનું કૌતુક છે તો સાંભળ—‘પૂર્વે પ્રતિષ્ઠાનપુરમાં તું હરિભ્રમ નામનો વિપ્ર હતો. તે મંત્રમંત્રના પ્રયોગવડે શાકિનીઓની કદર્થના કરતો હતો. તે જ્યાં મંડળ આલેખતો હતો ત્યાં તેને મદદગાર બીજા છ પુરુષો થતા હતા. એક દિવસ કોઈ મુનિએ તેમને ધર્મમાર્ગનો બોધ આપ્યો. તેથી ધર્મ પામીને ધર્મમાં રક્ત થઈ બહુ વર્ષ સુધી ધર્મ પાળ્યો. પ્રાંતે અનશનવડે મરણ પામીને તું સૂર થયો અને છ મદદગાર હતા તે તારા માંડલિક રાજાઓ થયા. પૂર્વભવે બાંધેલા કર્મથી તું આ ભવમાં શાકિનીના સંકટમાં પડ્યો. પાછળથી ધર્મનું આરાધન કર્યું હતું તેથી તું આ ભવમાં પાછો રાજા થયો. પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે ભોગવવું જ પડે છે, કેમકે વિધાતા બળવાન્ છે.”
આ પ્રમાણે ધર્મ તથા પૂર્વભવ સાંભળીને સૂરરાજાને જાતિસ્મરણ થયું, તેથી પ્રતિબોધ પામી પોતાના પુત્રને રાજ્યપ૨ સ્થાપન કરી તેણે દીક્ષા લીધી અને સારી રીતે પાળીને સ્વર્ગે ગયો.’’