Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
૧૮૦
જિનતત્વ બકરી, બળદ), એમ પોતાના પરિગ્રહ-પરિમાણને વિશે જે કંઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું.'
પરિગ્રહ – પરિમાણનું વ્રત શ્રાવકે લેવું જોઈએ. પરંતુ અનુભવી ગૃહસ્થો અને સાધુ ભગવંતો કહે છે કે શ્રાવકે પોતાની જરૂરિયાત અને જવાબદારીનો અને ભવિષ્યમાં વધતા જતા ખર્ચનો પરિપક્વ વિચાર કરીને પછી જ પરિગ્રહની મર્યાદાનું વ્રત લેવું જોઈએ. પોતે બાંધેલી મર્યાદા કરતાં માણસે વધુ ન કમાવું જોઈએ અને કમાણી થવાની જ હોય તો તે ધર્માર્થે વાપરવી જોઈએ એવી સમજણથી કેટલાક માણસો પરિગ્રહ પરિમાણનું વ્રત લે છે ખરા, પણ પછી વેપારધંધો છોડી શકતા નથી અને મર્યાદા કરતાં વધારે આવક થાય છે ત્યારે તે સ્વજનોના નામે ચડાવી દે છે, પણ વસ્તુતઃ તે પોતાની જ હોય છે અને એના ઉપર તેઓ સત્તા ભોગવતા રહે છે. કેટલાક બીજાના નામથી વેપાર કરી એ પ્રકારે મેળવેલી આવકને સાધનસંપત્તિમાં પરિવર્તિત કરી પોતે જ ભોગવતા રહે છે. આ એક પ્રકારનો માયાચાર છે, દોષ છે. અન્ય પક્ષે કેટલાક પોતાની આવક અને સંપત્તિની મર્યાદા બાંધી દીધા પછી અચાનક થયેલા નુકસાનને કારણે, અણધાર્યા મોટા ખર્ચને કારણે કે વધતી જતી મોંઘવારીને કારણે જીવનનિર્વાહ બરાબર ન થતાં પોતે લીધેલું વ્રત તોડે છે, એમાંથી છટકબારી કે અપવાદ શોધે છે અથવા વ્રત માટે વારંવાર અફસોસ કરતા રહે છે. એટલા માટે જ પરિગ્રહ પરિમાણનું વ્રત શ્રાવક, સ્વજનોની, અનુભવીઓની સલાહ લઈને ટૂંકા કે લાંબા ગાળાની સમયમર્યાદા અનુસાર એવી રીતે લેવું જોઈએ કે જેથી વ્રતભંગનો કે સૂક્ષ્મ દોષનો પણ અવકાશ ન રહે અને ઉમંગભેર વ્રત પાળી શકાય. અલબત્ત, માણસે વ્રતભંગની બીકે વ્રત લેતાં અટકવું ન જોઈએ.
કોઈ માણસ વર્ષે પચ્ચીસ હજાર રૂપિયા પણ કમાતો ન હોય અને તે પરિગ્રહ-પરિમાણનાં એવાં પચ્ચખ્ખાણ લે કે પોતે વર્ષે પાંચ લાખથી વધારે ન કમાવા. તો આવું પચ્ચખ્ખાણ શું મજાક જેવું હાસ્યાસ્પદ ન લાગે? અલબત્ત, એ માટે એમ કહેવાયું છે કે માણસે પોતાની શક્તિ અને સંજોગોનુસાર ઔચિત્યપૂર્ણ પચખાણ લેવું જોઈએ. પરંતુ કોઈ અવાસ્તવિક લાગે એવી મર્યાદા રાખવા ઇચ્છતો હોય તો ભલે રાખે. શાસ્ત્રકારો કહે છે કે મર્યાદા ન રાખવા કરતાં મર્યાદા રાખવી એ ઉત્તમ છે. એથી ઇચ્છાનું પરિમાણ થશે, ઇચ્છા સંયમમાં રહેશે, પોતાના પચ્ચખાણ માટે સભાનતા રહેશે અને તે કરતાં વધુ મેળવવાની ઇચ્છા રહેશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org