Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
અનર્થદંડ વિરમણ
૨૯૭ કુમારપાલના બનેવી, શાકંભરીના રાજા આનાક પોતાની રાણી સાથે ચોપાટ રમતાં, અમુક સોગઠીને મારતી વખતે “માર મુંડિયાને' (જૈન સાધુને) એવું વચન બોલતાં. રાણી સાથે ઝઘડો થતાં સમગ્ર વાત ઠેઠ કુમારપાલ સાથેના યુદ્ધમાં પરિણમે છે અને રાજા આનાકને પરાજિત થઈ કુમારપાળની અને પોતાની રાણીની માફી માગવી પડી હતી અને એની જીભ ખેંચી કાઢવાના પ્રતીકરૂપે એના પોતાના રાજ્યમાં પાઘડીનો એક છેડો જીભની જેમ લટકતો રાખવાની રાજા કુમારપાળની આજ્ઞા માનવી પડી હતી.
સંયુક્તાધિકરણ એટલે અધિકરણોને સંયુક્ત રાખવાં અર્થાતુ સાધનોને જોડેલાં રાખવાં. જૂના વખતમાં અને હજુ પણ ગામડાંઓમાં આદિવાસી પ્રદેશોમાં ખાંડણીમાં પરાળ મૂકી રાખવી, ખાયણાંમાં સાંબેલું મૂકવું, હળ સાથે તેનું ફળું જોતરી રાખવું, ધનુષ્ય સાથે બાણ ચડાવી રાખવું, ઘંટીના પડ સાથે બીજું પડ પણ ચડાવી રાખવું, કુહાડી સાથે હાથો જોડી રાખવો, ગાડાં સાથે બળદ જોડી રાખવા વગેરે સંયુક્તાધિકારણ જોવા મળે છે. તરત જડે અને વાર ન લાગે એટલા માટે તૈયાર જોડેલાં સાધનો અનર્થ પણ કરાવી શકે. સાધનો જોડેલાં હોય તો બીજા માગવા આવે ત્યારે સરળતાથી આપી દેવાય છે, એટલું જ નહીં, પોતાને પણ એ કારણ વગર, પ્રયોજન વિના તરત વાપરવાનું મન થાય છે. એથી અજાણતાં અનર્થદંડનો દોષ લાગવાનો સંભવ છે. આ જૂના વખતની ગામડાંઓની વાત છે. વર્તમાન જીવનમાં એ રીતે અનર્થ થાય એવાં ઉપકરણોમાં સાવધ રહેવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે, “હે ભગવંત! જે મનુષ્ય ધનુષ ગ્રહણ કરે અને એમાં બાણ ચડાવીને ફેંકે તો એમાં એને કેટલી ક્રિયા લાગે ?' ભગવાને કહ્યું, “હે ગૌતમ ! એ મનુષ્યને પાંચ ક્રિયા લાગે છે. એટલું જ નહીં પણ તે ધનુષ- બાણ જે જીવોનાં મૃતકલેવરોનું બન્યું છે તે (ઍવી ગયેલા) જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. આ પાંચ ક્રિયા તે કાયિકી, અધિકરણી, પ્રાàષિક, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી છે.”
ભોગોપભોગમાં અતિરિક્ત રહેવું એટલે ભોગોપભોગમાં વધુ પડતા આસક્ત બનવું. ભોગપભોગનાં અનેક સાધનો છે અને વિવિધ પ્રકારો છે. પાંચે ઇન્દ્રિયોના સ્વાદ અનુભવવા જીવ લલચાય છે. નાટક, ચેટક, ખેલ-તમાશા, સંગીતના જલસો, ખાણીપીણીની મહેફિલો, ભાતભાતનાં પકવાન અને વિવિધ વાનગીઓ આરોગવામાં તલ્લીન બનવું, તેલ, અત્તર, પાવડર, લિપસ્ટિક,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org