Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પુષ્પિકા વર્ગ-૪ : અધ્ય.-૧
ચોથો વર્ગ પુષ્પચૂલિકા
૧૩૫
પરિચય :
આ વર્ગમાં દસ અધ્યયન છે. તેમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં "પુષ્પચૂલા" નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત થયેલી દસ સ્ત્રીઓનું કથાનક છે. તેથી આ વર્ગનું નામ "પુષ્પચૂલિકા" છે.
અધ્યયન—૧ : શ્રીદેવી :– એકદા પ્રથમ દેવલોકની શ્રીદેવી પ્રભુ મહાવીરના સમવસરણમાં આવી, નાટયવિધિનું પ્રદર્શન કરી, સ્વસ્થાને ગઈ. શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો.
=
પૂર્વભવ : ૐ ભૂતા :– રાજગૃહી નગરીમાં સુદર્શન નામના ધનાઢય શેઠ રહેતા હતા. તેને 'પ્રિયા' નામની પત્ની અને 'ભૂતા' નામની સુપુત્રી હતી. ભૂતા અલ્પવયમાં પણ વૃદ્ધ અને જીર્ણ શરીરવાળી દેખાતી હતી. તેના દરેક અંગોપાંગ શિથિલ હતા, જેથી તેને કોઈ વર મળતો ન હતો.
એક દિવસ પાર્શ્વનાથ ભગવાન તે નગરીમાં પધાર્યા. ભૂતા દર્શન–વંદન કરવા ગઈ. ઉપદેશ સાંભળી તેણી સંયમ લેવા તત્પર બની. માતા પિતાની આજ્ઞાપૂર્વક ભગવાને તેને દીક્ષા આપી અને પુષ્પચૂલા આર્યાને શિષ્યારૂપે સોંપી. ભૂતા સાધ્વી પુષ્પચૂલા આર્યાના સાંનિધ્યમાં સંયમ—તપથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી.
કાલાંતરે તે ભૂતા આર્યા શરીરની સેવા–શુશ્રુષા કરવા લાગી અને શુચિધર્મનું આચરણ કરવા લાગી અર્થાત્ વારંવાર હાથ, પગ, મુખ, શીષ, કાંખ, સ્તન અને ગુપ્તાંગને ધોવા લાગી. બેસવા, ઊભા રહેવાની જગ્યા ઉપર પહેલાં પાણી છાંટવા લાગી. ગુરુણી દ્વારા આ સર્વ પ્રવૃત્તિનો નિષેધ કરવા છતાં તેની અવગણના કરી, એકલી રહીને પોતાની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરતી, અનેક પ્રકારે તપ–સંયમની પાલના કરીને, અંત સમયે સંયમદોષોની આલોચના પ્રતિક્રમણ આદિ ન કરવાથી વિરાધક થઈ, પ્રથમ દેવલોકના 'શ્રી અવતંસક' વિમાનમાં 'શ્રીદેવી' રૂપે ઉત્પન્ન થઈ. તે દેવી ત્યાંની એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
અધ્યયન– ૨ થી ૧૦ :– શેષ નવ અધ્યયનમાં નવ દેવીઓનું સંક્ષિપ્ત વર્ણન છે. તે સર્વે દેવીઓ પૂર્વભવમાં ભૂતાની જેમ સંયમગ્રહણ કરીને, પછી શરીર બાકુશી બનીને પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ છે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
܀܀܀܀܀