Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 197
________________ ૧૯૨ સમ્યગ્દર્શનની રીત (૭) બંધ અધિકાર - જ્ઞાનીને એકમાત્ર સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મામાં જ “હુંપણું' હોતા અને તેનો જ અનુભવ કરતાં હોવાથી અને તે ભાવમાં બંધનો સદંતર અભાવ હોવાથી, જ્ઞાનીને બંધ નથી એમ કહેવાય છે. બીજું, જ્ઞાનીને વિવેક જાગ્રત થયો હોવાથી, વૈદ્ય જેમ ઝેર ખાવા છતાં મરતો નથી, તેમ જ્ઞાની પણ વિવેકપૂર્વક પોતાના બળની ખામીને લીધે અર્થાત્ પોતાની નબળાઈને લીધે ભોગ ભોગવતો હોવા છતાં પણ, તેને ઘણો જ અલ્પ બંધ હોવાથી તેને બંધ નથી તેમ કહેવાય છે અર્થાત્ જ્ઞાનીને રાગમાં અને બંધનાં અન્ય કારણોમાં હુંપણું નથી હોતું અને પોતે બંધરૂપ પણ સ્વેચ્છાએ પરિણમતો નથી તેથી, તે બંને અપેક્ષાએ, તેને બંધ નથી એમ કહેવાય છે. ત્રીજું, ભેદજ્ઞાન કરાવવા અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા એકમાત્ર શુદ્ધાત્માનું જ શરણ લેવાનું હોવાથી કે જે સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્મામાં બંધનો સદંતર અભાવ જ છે, તે જ આ અધિકારનો સાર છે. ગાથા ૨૭૮-૨૭૯ : ગાથાર્થ :- “જેમ સ્ફટિક મણિ શુદ્ધ હોવાથી (અર્થાત્ જ્ઞાની જેમાં હુંપણું કરે છે તે શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી) રાગાદિરૂપે રતાશ આદિરૂપે) પોતાની મેળે પરિણમતો નથી (અર્થાત્ જ્ઞાની સ્વેચ્છાએ રાગરૂપ પરિણમતો નથી અર્થાત્ ઈચ્છાપૂર્વક રાગ કરતો નથી, પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત (-રાતો) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત્ (શુદ્ધાત્મામાં જ હુંપણું કરતો) આત્મા શુદ્ધ હોવાથી (અર્થાત્ શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી) રાગાદિપે પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે (અર્થાત્ તેને યોગ્ય એવા કર્મના ઉદયના નિમિત્તે કારણે) તે રાગી આદિ કરાય છે (અર્થાત્ તે પોતાની નબળાઈને કારણે રાગદ્વેષી થાય છે અર્થાત્ રાગદ્વેષ રૂપે પરિણમે છે).” શ્લોક ૧૭૫ :- “સૂર્યકાંત મણિની માફ્ટ (અર્થાત્ સૂર્યકાંત મણિ જેમ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી (અર્થાત્ શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી, રાગાદિપે પોતાની મેળે કદી પરિણમતો નથી), તેમાં નિમિત્ત પરસંગ જ (પરદ્રવ્યનો સંગ જ) છે. - આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી).” અર્થાત્ આપણે પૂર્વે જે “નિમિત્ત-ઉપાદાન''ની ચર્ચામાં જોયું કે વિવેકી મુમુક્ષ નબળા નિમિત્તોને તજે છે અર્થાત્ તેનાથી દૂર જ રહે છે. કારણ કે તે જાણે છે કે વસ્તુનો આવો જ સ્વભાવ છે કે ખરાબ નિમિત્તથી તેનું પતન થઈ શકે છે; આવો છે અનેકાંતવાદ જૈન સિદ્ધાંતનો. અર્થાત્ કોઈ નિમિત્તને એકાંતે અકર્તા માને અને તેમ જ પ્રરૂપણા કરે તો તે જિનમત બાહ્ય જ છે અર્થાત્ તે પોતાના અને અન્ય અનેકોના પતનનું કારણ છે, તે જ વાત આ શ્લોકમાં પણ જણાવેલ છે કે, શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી, રાગાદિરૂપે પોતાની મેળે કદી પરિણમતો નથી, પરંતુ તેમાં નિમિત્ત પરસંગ જ છે આવી વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220