Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 251
________________ પરિશિષ્ટ ૨ ૨૧૧ મારું અને મારી આ પેઢીના સૌનું સદ્ભાગ્ય હતું કે રાષ્ટ્રના સ્વપ્નને, સ્વાધીનતાના સ્વપ્નને સિદ્ધ થતું અમો નજરોનજર નિહાળવા ભાગ્યશાળી બન્યા. આ બહુ મોટી ઘટના છે. લાગે છે કે એક અદ્ભુત પ્રસંગ છે. આ જૂનાં વીતેલાં વર્ષોને યાદ કરું છું અને નજીકનાં વર્ષોનો વિચાર કરું છું ત્યારે ખિન્નતા અનુભવું છું. તાજેતરનાં વર્ષોમાં આવું બધું આ દેશમાં કેમ બન્યું, કેવી રીતે બની શકયું એમ પૂછવાનું મન થઈ આવે છે. પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે હવે કદીય આ દેશમાં આવું ન-બને. પણ માત્ર પ્રાર્થનાથી જ કાર્ય પૂરું થતું નથી. આ દેશમાં કોઈ કારમી કમનસીબી કદીય ઊતરી ન પડે એવું ખરેખર ઇચ્છતા હોઈએ તો આપણે સહુએ કાંઈક કરવું પડશે. અત્યારની પરિસ્થિતિમાંથી આગળ આવવું હોય, પાર ઊતરવું હોય તો સહુએ સાથે મળીને કામ કરવું પડશે. જીવનના અનુભવમાંથી શીખ્યો છું કે સર્વના સહકારથી અને સમજાવટથી જ સારું પરિણામ આવે છે. અમદાવાદમાં —ગુજરાતમાં તો મહાજનની—વ્યાપારી મહાજનની અને મજૂર મહાજનની— પરંપરા છે, અને ટકી રહી છે. મહાજન એટલે જ સહકાર અને સમજાવટ. આપણે સહકાર સમજાવટની આપણી પરંપરા બરાબર જાળવીએ. સમગ્ર દેશ આગળ તેનો નમૂનો મૂકીએ જેનાથી પ્રેરણા મળે. આમ થશે તો મને લાગે છે કે ઊજળા દિવસો ઊગી નીકળશે. સમાજમાં અને જીવનમાં, રાજકારણમાં અને ઉદ્યોગમાં, વ્યાપારમાં અને વ્યવહારમાં આજે સહકાર અને સમજાવટની જરૂર છે. રાજપુરુષો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, કામદારો અને ગ્રાહકો સૌનાં હિત સામસામાં નથી. સામસામાં અથડાવામાં પણ નથી. સૌનાં હિત સૌના સહકારમાં જ છે, સૌની સમજાવટમાં છે. આપણે આ ભાવના સમજવાની છે, સાકાર કરી બતાવવાની છે. જીવનમાં લાંબાં વર્ષો જીવ્યા પછી અને સુખદુ:ખના અનેક પ્રસંગોમાંથી પસાર થયા પછી મારી આ અનુભવની વાણી છે. આશા રાખું છું કે મારા ધર્મનાં, સમાજનાં, રાજ્યનાં અને દેશનાં સહુ ભાઈબહેનો અને સ્વજનો આ સાંભળે, સમજે અને આચરણમાં મૂકે. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાંથી તમે સૌ આવ્યા છો. તમે મને સાંભળ્યો અને મારા પ્રત્યે જે સદ્ભાવ બતાવ્યો છે તે બદલ હું તમારા સર્વનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257