________________
કામરાથના કે ચીતરી ચડે એવી ચીજોને કળાને નામે ખપાવવામાં આવે છે. આ વાર્તા, આજના કેટલાક નવલકથાકારોની માફક, લોકોને કેવળ મનોરંજન પૂરું પાડી કમાણી કરવા ડિકન્સે નથી લખી; પરંતુ પોતાના સમાજની વિવિધ ઊણપો ખુલ્લી કરી બતાવી, તેમની સામે લોકમત કેળવવા લખી હતી. અને સાચા કળાકારોની કળા સર્વ દેશ-કાળ માટે ઉપયોગી હોય છે, એ ન્યાયે, આપણે પણ તે વાંચી શકીએ છીએ અને રસના ઘૂંટડા ભરી શકીએ છીએ.
આ કથામાં વિવિધ પાત્રોનો મેળો જામ્યો છે. સ્કિવયર્સ જેવાં પાત્રો આજના ધંધેદારી કેળવણીકારોની યાદ તાજી કરાવે છે, તથા નિકોલસ જેવા યુવાનો આપણને તેમની દિલેરી, વફાદારી અને બહાદુરીથી મંત્રમુગ્ધ કરે છે. અનેક પાત્રોનું સફળ આલેખન કરીને ડિકન્સે પોતાની કલમની જાદુઈ શક્તિનું આ કથામાં આપણને ભાન કરાવ્યું છે. વાર્તાના વહેણમાં આગળ તણાતાં જ એ સમર્થ વાર્તાકારની શક્તિનો અચ્છો પરિચય આપણને થાય છે, અને એ વાર્તા મનને જે આહલાદ અને આનંદ આપતી જાય છે, તેથી હૃદ નાચી ઊઠે છે.
આજે જ્યારે આપણે રાષ્ટ્રનું નવનિર્માણ કરવા બહાર પડ્યા છીએ, ત્યારે આવી વિશ્વકથાઓના સંક્ષેપો ખાસ જરૂરી બને છે. આપણે ત્યાં ગુજરાતમાં મહાત્માજી અને સરદાર સાહેબ જેવાની વિચક્ષણ દૃષ્ટિ અને પ્રેરણાથી ગુજરાતી ભાષા ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારાઈ હતી. પરંતુ ગુજરાતની ધનિકશાહીએ નહેરુયુગની પ્રત્યાઘાતી નીતિના માર્મિક ટેકાથી, કોર્ટ કચેરીઓનો આશરો લઈ, ગુજરાતમાં જ્ઞાન-વિજ્ઞાન અને યંત્રવિદ્યાને માતૃભાષામાં પહોંચતાં અટકાવી દેવા માટેનો ઉધામો કર્યો છે. અલબત્ત, ધનિકશાહી, નોકરશાહી અને તેમના સાગરીતોનો એ પ્રયત્ન ગુજરાતનાં જ્ઞાનવિજ્ઞાનની પ્રગતિના હિતમાં નહોતો; કેવળ પોતાનો સ્થાપિત હિતવાદ