Book Title: Shraddhadhan Sudarshan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 6
________________ શ્રદ્ધાધન સુદર્શન ૦ ૨૪૧ માળીના મનનો વિચાર-રવૈયો એના હૃદયમાં જોરથી ફરવા લાગ્યો. હાથમાંથી મોગરી ક્યારે સરી ગઈ તેનું તેને ભાન ન રહ્યું. કાંઈક નરમ પડેલો, કાંઈક ભોંઠો પડેલો માળી થંભ્યો. સુદર્શનની સામે ફાટે ડોળે જોવા લાગ્યો, વારંવાર જોવા લાગ્યો. ઊંચે જોયું, નીચે જોયું, ત્યારે પાસ જોયું અને એમ કેટલીક પળો જોયા જ કર્યું. પછી વળી ઘૂમરી ખાતો તે બબડવા લાગ્યો : “અરે ઓ નવલોહિયા જુવાન ! ભગવાન, દેવ, દર્શન, પૂજા બધું ઢોંગ છે. માણસ માણસનો શત્રુ છે. મેં ઘણી પૂજા કરી. એનું ફળ આ મળ્યું.” સુદર્શન બોલ્યો : “ના ભાઈ ! આ પૂજા આવી નહીં. આ પૂજાનો અર્થ ટીલાટપકાં કરવાં તે નહીં, પણ આદર, સદૂભાવ, સમભાવ. એટલે જે તમામ પ્રાણીઓ તરફ આદર રાખતો હોય, સદૂભાવથી વર્તતો હોય. સમભાવે તમામ ભણી નજર રાખતો હોય, કોઈને પણ કોઈ પણ રીતે દૂભવતો ન હોય એટલે મનથી, વચનથી અને કાયાથી કોઈ પણ પ્રાણીને જે દુઃખી ન કરતો હોય; એટલું જ નહીં, પોતાના સ્વાર્થને કાજે કે પોતાના શરીરને માટે પણ કોઈને લેશમાત્ર ત્રાસ ન આપતો હોય, અને વખત આવ્યું બીજાના બચાવ માટે, રક્ષણ માટે પોતાના પ્રાણોની પણ આહુતિ આપતો હોય તે અરિહંત કહેવાય. એવા અરિહંતોમાં આ મહાવીર શ્રમણ જીવંત અરિહંત છે ને તે મારા પરમગુરુ છે; તેમનાં દર્શને જવા સારુ હું આ રસ્તે આવી નીકળ્યો છું.” માળી વધારે શાંત થયો. તેના હૃદયમાં કાંઈક અજવાળું થયું. તે બોલ્યો : “ભાઈ ! તારો એ પરમગુરુ મારો આ સંતાપ ટાળી શકશે ખરો ?” સુદર્શન બોલ્યો : “ભાઈ માળી ! તારો આ સંતાપ તે જરૂર ટાળી શકશે. મને એનો પૂરો અનુભવ છે ને પાકો વિશ્વાસ છે.” માળી જરાક મરક્યો અને બોલ્યો : “શું હું તારી સાથે ચાલી શકું ?” સુદર્શન બોલ્યો : “હા ભાઈ જરૂર, આપણે બન્ને સાથે જ જઈએ. તું એમ કર ભાઈ, આ પાસેની પુષ્કરિણીમાં નિર્મળ શીતળ જળ ભરેલું છે; તેમાં સ્નાન કરી લે. દર્શને પછી આપણે બન્ને સાથે જ ઊપડીએ.” અર્જુન પાસેની મનોહર કમળભરેલી પુષ્કરિણીમાં નાહીને તાજો થઈને આવી પહોંચ્યો. કપડાં ઠીકઠાક કર્યા અને એ બન્ને જાણે ઘણા કાળના સ્નેહી હોય એમ પોતપોતાના હાથના આંકડા ભીડી ઝપાટાબંધ ગુણશીલ ચૈત્ય ભણી ચાલવા માંડ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7