Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 118
________________ 28 અર્પણ જલતી ભઠ્ઠી પર શેકાતા માનવીથીય વધુ ભયાનક વેદના ! ધરતીકંપના આંચકા ને લાવાનો પ્રચંડ તાપ એમાં હતો ! જ્ઞાનતંતુઓથી જ માનવી વેદના પિછાણે છે ને ! એના પર જ સીધેસીધો અત્યાચાર ! આ વેદનાનું એકમાત્ર પરિણામ-મૃત્યુ ! મૃત્યુ ! એક પોતાના આદર્શને અણિશુદ્ધ રાખવા પાછળ મૃત્યુ ! અરે, મૃત્યુ આટલું પ્રિય બનીને ક્યારે આવે છે ? આ તો જીવનસાફલ્યની સુંદર ઘડી ! આજે તો જીવનમાં બધાં સરવાળાબાદબાકી અહીં જ થઈ જવાનાં ! ધન્ય ઘડી ! મુનિરાજ ધીરે ધીરે વધતી જતી વેદનાને વીસરતા જતા હતા. એમની વિચારશ્રેણી અંદર ને અંદર ઊતરતી જતી. તેઓને જ્ઞાતપુત્રે આપેલું એક દૃષ્ટાંત યાદ આવી રહ્યું હતું. સાતપુત્રે કહેલું : “હે શિષ્યો, આ શરીર વિજય ચોરના જેવું છે, ને આત્મા ધન્ય સાર્થવાહ સમો છે. તેની વાત નીચે પ્રમાણે છે : વિજય નામનો એક ભયંકર ચોર હતો. એણે એક વાર ધન્ય સાર્થવાહના એકના એક પુત્રને હણી નાખ્યો ને તેના અલંકારો લૂંટી લીધા. સાર્થવાહે રાજદરબારમાં ફરિયાદ કરી. કુશળ રાજસેવકોએ વિજય ચોરને પકડીને કારાગૃહમાં પૂર્યો. “ભાગ્યયોગે થોડા દિવસો વીત્યા બાદ ધન્ય શેઠ પર કંઈ આરોપ આવ્યો. ને તેમને પણ રાજાએ વિજય ચોરની સાથે એક જ હેડમાં બાંધી કારાગૃહમાં પૂરવાનો હુકમ આપ્યો. અહીં ધન્ય સાર્થવાહ માટે સારાં સારાં ખાઘ આવતાં. વિજય ચોરને સૂકોલૂખો રોટલો મળતો. પોતાના પુત્રનો આ હત્યારો છે, એમ કલ્પીને સાર્થવાહ એને કંઈ ન આપતાં બધું પોતે જ ખાતો, અથવા ખાતાં જે વધતું તે ફેંકી દેતો.” ભોજન બાદ ધન્ય સાર્થવાહને શૌચાદિ જવા માટે ઇચ્છા થઈ. છતાં તે એકલો હાલી-ચાલી શકે તેમ નહોતો. તેમ કરવા જતાં તેને અત્યંત વેદના થતી. આખરે તેણે વિજય ચોરને પોતાની અનુકૂળતા માટે સાથે સાથે ચાલવા કહ્યું. તેણે કહ્યું : “મારું માન રાખે તો તારું માન રાખું. તારા ભોજનમાં મને ભાગ આપ. આહાર વગર રહી શકાય, નિહાર વગર કેમ ચાલે ?” આખરે શેઠે ચોરની શરતો કબૂલ કરી. એને પોતાના માટે આવતા ભોજનમાંથી અડધું ખાવાનું આપવાનું વચન આપીને રાજી કર્યો.” પોતાના પ્રાણપ્રિય પુત્રના ઘાતકને પોતાનો જ પતિ રોજ ખાવા આપે એ વાત ધન્ય સાર્થવાહની પત્નીને ન રુચી, ધન્ય સાર્થવાહ છૂટીને ઘેર આવ્યો ત્યારે પત્નીએ એ બાબત ફરિયાદ કરી : “હે નાથ ! આપણા પુત્રના ઘાતક વિજય ચોરને તમે ખવરાવતા તેથી મને ખોટું લાગ્યું છે.' શેઠે ખુલાસો કરતાં કહ્યું : “હે પ્રિયે, હું અને તે એક જ હેડમાં બંધાયેલા હોવાથી મેં જો તેને ખાવા ન આપ્યું હોત તો મારું શરીર ન સચવાત, હું જીવતો ઘેર પણ ન આવત.'' આ પ્રમાણે દૃષ્ટાંત આપીને જ્ઞાતપુત્રે કહેલું : “વિજય ચોર તે શરીર અને ધન્ય સાર્થવાહ તે આત્મા, વિજય ચોર ધન્ય સાર્થવાહનો કાર્યસાધક હતો, તે માટે તેને ખવરાવેલું. આ પ્રમાણે આ શરીર સંયમ, અહિંસા, સત્ય, ત્યાગ ને તપ વગેરેની સાધના માટે અનિવાર્ય કારણભૂત છે, માટે જ તેને સાચવવું - જાળવવું. જો તેમ ન થતું હોય તો પછી સાચવ્યાનો કંઈ અર્થ નથી. મહામુનિ મેતારજ વિચારી રહ્યા હતા : આજે એ સાધના માટે જ આ શરીર છૂટે છે. પછી શા માટે મોહ રાખવો ? મોતની આ સુંદર ઘડી શા માટે જવા દેવી ? મસ્તકની પીડા વધવા લાગી. એક એક માસનું અપવાસી શરીર ઝાઝી ટક્કર ઝીલી શકે તેમ નહોતું : પણ અંદર વસેલો મહાન આત્મા સ્થિર હતો - એ વેદનાની એકે કિકિયારી ન પાડતો. સુવર્ણકાર ગુનેગારની મજા જોઈ રહ્યો હતો. એને ભાવી પરિણામની કલ્પના ન હતી. એ કલ્પી રહ્યો હતો. કે ધુતારો ઘડી બે ઘડીમાં વેદનાથી ત્રાસીને પગે પડી ગુનો કબૂલ કરી લેશે. એને જાણ નહોતી કે ગુનો કબૂલનાર તો અંતરીક્ષની કોઈ સૃષ્ટિમાં સરતો જતો હતો; દેહની અનિત્યતા, વાસનાની સંતપ્તતા, સર્વ જીવસમભાવ, કરુણા - અર્પણ D 219 0 લાકડાનાં બે પાટિયાં : જેમાં ગુનેગારના હાથપગને નાખી બાંધવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122