Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 41
________________ પૂજ્ય જ્યોતિબાનો દેહવિલય | [૨] આધ્યાત્મિક સાધનાની જીવંત મૂર્તિ સમા અને અનેક સગુણોની સુવાસથી જેઓનું જીવન ધબકતું તેવા પૂજ્ય જ્યોતિર્બાળા કલ્યાણભાઈ શાહનું તા. ૧૬-૧૨-૨૦૧૦ ના દિવસે ૮૨ વર્ષની વયે દેહાવસાન થયું છે. પિતા લાલભાઈ અને માતા માણેકબેનના લાડકવાયા એક માત્ર સંતાન એવા પૂજ્ય જ્યોતિબાનો જન્મ તા. ૨૮-૮-૧૯૨૮ ના દિવસે થયો હતો. ગર્ભશ્રીમંત પરિવાર અને માતા-પિતાના એક માત્ર સંતાન હોવાથી તેમનો ખૂબ લાડકોડમાં ઉછેર થયો હતો. નાનપણથી જ તેઓ ભણવામાં ખૂબ હોંશિયાર અને નિયમિત હતા. સિવણકામ, ભરતગૂંથણ ને રંગોળી તેમના શોખ હતા. પ્રભુભક્તિ, દેવદર્શન, જપ, તપ - આ બધું તો બાળપણથી જ તેમના જીવનમાં વણાઈ ગયું હતું. તેઓના પિતાશ્રી પ્રસંગોપાત પોળના દરેક મકાનમાં સ્લેટ-પેન, નોટ-પેન્સિલ અને જન્મદિવસે ખાંડના પેકેટ વહેંચતા - તેનો વહીવટ પૂજય જ્યોતિબા આનંદપૂર્વક કરતા. સમભાવ, પ્રેમ, વાત્સલ્ય જેવા ગુણો બાળપણથી જ તેઓશ્રીમાં દૃષ્ટિગોચર થતા. પંડિતજી તથા સાધ્વીભગવંતો પાસેથી તેઓએ ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. માતા-પિતાની પણ તેઓએ સારી સેવા કરી હતી. પ્રબળ પુણ્યોદયે પૂજ્ય જ્યોતિબાના લગ્ન સુખી અને ધાર્મિક પૂજ્ય ભાઈશ્રીના પરિવારમાં થયા. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી સાથેનો કોઈ ભવનો ઋણાનુબંધ જાગૃત થયો. તેઓના જીવનની દિશા જ બદલાઈ ગઈ, વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલા સિદ્ધાંતો તથા વચનામૃતનું ચિંતન-મનન-નિદિધ્યાસન અને પ્રયોગ એ તેમના જીવનનું લક્ષ્ય બની ગયું. સદેવ-ગુરુ-ધર્મના રંગથી તેઓનું જીવન રંગાઈ ગયું. જ્યોતિબા એટલે સાક્ષાત જ્યોતિસ્વરૂપ, બધાના પ્રેમાળ ભગિની, વાત્સલ્યની મૂર્તિ, શ્રદ્ધાની જ્યોત, અણિશુદ્ધ આચરણના પ્રતીક, માનવસેવાના ભેખધારી તેમજ તપ-નિયમ-સંયમના અનુરાગી. તેઓનું જયણા (યત્ના) પૂર્વકનું જીવન, જીવદયાની ભાવના, સમાજસેવા તથા રાષ્ટ્રસેવા યુક્ત જીવન આપણને પ્રેરણાદાયી છે. વ્યવહાર અને અધ્યાત્મનો સુભગ સમન્વય તેઓના જીવનમાં દૃષ્ટિગોચર થતો. સૌ સાથે પ્રેમભર્યો અને નમ્રતાભર્યો તેઓનો વ્યવહાર ખરે જ સરાહનીય છે. સફાઈકામ કરવા આવતી બાઈ હોય કે રખડતા કૂતરા હોય - સૌ સાથે તેમનો વાત્સલ્યપૂર્ણ વ્યવહાર હતો. સાધુસાધ્વીની સેવા અને સુપાત્રદાન એ ઉડીને આંખે વળગતી તેમની વિશિષ્ટતા હતી. તેમના લખેલા પત્રો સરળ ભાષામાં તત્ત્વજ્ઞાનને પ્રસ્તુત કરતાં સુંદર હસ્તાક્ષરમાં અને છેકછાક વગરના જોવા મળે. જેવો પ્રસંગ કે સમસ્યા હોય તેનો વ્યવહાર અને ધર્મ અનુસાર ઉકેલ આપતા. ફળસ્વરૂપે ઘણા લોકોનાં જીવનને ઊર્ધ્વગામી બનાવવામાં તેઓ નિમિત્ત બન્યા હતા. તેઓના અંગત જીવનમાં સાદગી વણાઈ ગઈ હતી. ગાંધીવિચારસરણીને અનુરૂપ તેઓએ ખાદીને અપનાવી હતી. તેઓ રેંટિયો ચલાવતા અને ખાદીના કપડાં સીવી સ્વઉપયોગમાં લેતા. | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ ૩૮.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45