Book Title: Chaityavandanmahabhashyam Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 9
________________ ઉદિ મૂર્તિપૂજાનું મહત્ત્વ છે પ્રશ્ન :- સાક્ષાત્ ભગવાન તો મોક્ષમાં છે. ભગવાનની મૂર્તિ તો પથ્થર રૂપ છે. આથી ભગવાનની મૂર્તિની પૂજાથી શો લાભ? ઉત્તર :- આના સમાધાન માટે પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે સાક્ષાત્ ભગવાનની પૂજા શા માટે કરવાની છે? સાક્ષાત્ ભગવાનની પૂજા શા માટે કરવાની છે એ સમજાઈ જાય તો ભગવાનની મૂર્તિની પૂજાથી શો લાભ એ પ્રશ્ન જ ન રહે. . (૧) ભગવાનની પૂજામાં એક હેતુ એ છે કે ભગવાન ઉપકારી હોવાથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવી જોઈએ અને બહુમાનભાવ વ્યક્ત કરવો જોઈએ. તો જેમ સાક્ષાત્ ભગવાનની પૂજાથી કૃતજ્ઞતા પ્રદર્શિત થાય છે અને બહુમાન વ્યક્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિની પણ પૂજાથી કૃતજ્ઞતા પ્રદર્શિત થાય છે અને બહુમાન વ્યક્ત થાય છે. જેમ માણસના પેટમાં ખોરાક જાય અને પાચન થઈને તેનું લોહી થાય એ માટે મુખ દ્વારા પેટમાં ખોરાક નાખે છે. પણ કેન્સરના દર્દીનું ગળું બંધ થાય છે તો પેટમાં કાણું પાડીને એ કાણા દ્વારા પેટમાં ખોરાક નાખીને પણ એ કાર્ય સિદ્ધ કરાય છે. જેને વિટામિનવાળો ખોરાક મળતો નથી, તે વિટામિનની ટીકડીઓ વાપરીને પણ વિટામિનોની પૂરતી કરીને શક્તિ મેળવી શકે છે. તેવી રીતે સાક્ષાત્ ભગવાન ન હોય ત્યારે ભગવાનની મૂર્તિની પૂજાથી પણ કૃતજ્ઞતા પ્રદર્શિત કરી શકાય છે, અને બહુમાન ભાવ વ્યક્ત કરી શકાય છે. 'આથી જ દેશનેતા વગેરેના ફોટાઓ ઉપર લોકો ફુલમાળા વગેરે પહેરાવે છે. સ્વર્ગસ્થ માતા-પિતા વગેરેની મૃત્યુતિથિએ માતા-પિતા વગેરેના ફોટાઓ ઉપર ફૂલમાળા પહેરાવીને ધૂપ વગેરે કરે છે. છાપામાં ફોટો છાપીને શ્રદ્ધાંજલિ આપે છે. વડાપ્રધાન રાજીવગાંધી તેમની માતાના મૃત્યુના દિવસે તેમની સમાધિના સ્થાને ફૂલો મૂકતાં હતાં. દ્રોણાચાર્યે એકલવ્યને ધનુર્વિદ્યા શિખવાડવાની ના પાડી તો એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને તેની પૂજા દ્વારા ગુરુઉપર બહુમાન વ્યક્ત કરીને ધનુર્વિદ્યા શીખી ગયો. જે કાર્ય સાક્ષાત્ ગુરુથી થાય તે જ કાર્ય તેણે ગુરુની મૂર્તિથી સિદ્ધ કરી લીધું. (૨) ભગવાનની પૂજાનો બીજો હેતુ એ છે કે ભગવાનની ઓળખાણ થાય. જેમ કોઈનો છોકરો ગુમ થાય તો છાપામાં તેનો ફોટો આપે છે, પોલીસોને ખબર આપીને પોલીસોને પણ ફોટાઓ આપે છે. કારણ કે આનાથી બીજાઓ તેને ઓળખી શકે. તેવી રીતે સરકારનો ગુનો કરીને નાશતા-ભાગતાઓને પકડવા સરકાર છાપાઓમાં તેમના ફોટા આપીને લોકોને એ માણસો દેખાય તો ખબર આપવાનું કહે છે. એટલે જેમ ફોટાઓ અસલ વસ્તુને ઓળખવાનું સાધન છે, તેમ મૂર્તિ પણ ભગવાનને ઓળખવાનું જાણવાનું સાધન છે. ભગવાનની મૂર્તિ દ્વારા ભગવાનની ઓળખાણ થાય છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 452