Book Title: Tarangvati
Author(s): H C Bhayani
Publisher: Image Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 143
________________ તરંગલોલા થઇને, ધર્મ પ્રત્યેના અનુરાગથી રંગાઈને, જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. સુવ્રતા ગણિનીનું આગમન : તરંગવતીની સોંપણી એ વેળા શ્રમણલક્ષ્મીથી યુક્ત, મૂર્તિમાન ક્ષમા સમી, એક ગુણવાન ગણિની તે શ્રમણને વંદવા આવી. તપ, નિયમ અને જ્ઞાનથી પરિપૂર્ણ તે ગણિની આર્યા ચંદનાની શિષ્યા હતી. તેણે તે સુવિહિત શ્રમણ અને તેના પરિવારને વંદન કર્યાં. શાસ્ત્રવિધિ જાણનાર તે શ્રમણે તે ગણિનીને કહ્યું, ‘હે પાપશમની શ્રમણી ! આ તારી શિષ્યા થાઓ.' ૧૨૬ એટલે તેણે માર્દવ ગુણના આચારણરૂપ, શ્રમણપણાના ઉપકારરૂપ વિનયાચાર કરીને પોતાની સંમતિ દર્શાવી. પછી શ્રમણે મને કહ્યું, ‘પાંચ મહાવ્રત ધારણ કરવાના દૃઢ વ્રતવાળી આ સુવ્રતા ગણિની તારી પ્રવર્તિની આર્યા છે, તો તેને વંદન કર.' એટલે મસ્તક પર હાથ જોડી, વિનયથી મસ્તક નમાવી, નિર્વાણ પહોંચવાને આતુર બનેલી એવી હું તેના પગમાં પડી. મનથી દરેક વિષયનું સ્પષ્ટ ગ્રહણ કરતી એવી તે પ્રશસ્ત શ્રમણીએ મને આશિષ દીધી : ‘આ ઉત્તમ, પણ કઠિન આચરણવાળા શ્રમણજીવનને તું સફળતાથી પાર કર. અમે તો કેવળ તારા ધર્મમાર્ગના ઉપદેશક છીએ. તું જો તે પ્રમાણે આચરીશ, તો મોક્ષમાર્ગે લઈ જનારું કલ્યાણ તું પામીશ.' એટલે મેં તે પ્રશસ્ત શ્રમણીને કહ્યું, ‘જન્મમરણની પરંપરાના કારણરૂપ સંસારવાસથી હું ભયભીત બનેલી હોવાથી તમારું કહ્યું અવશ્ય કરીશ.' ગણિનીની સાથે નગરપ્રવેશ : શાસ્ત્રાધ્યયન અને તપશ્ચર્યા . તે પછી ઉત્તમ તપ અને સંયમથી સમૃદ્ધ, પ્રજ્વલિત અગ્નિ સમા તેજસ્વી, અને તપ અને સંયમના માર્ગદર્શક તે શ્રમણને વિનયથી સંકુચિત બનીને મેં વંદન કર્યાં. પછી કામવૃત્તિથી મુક્ત બનેલા તે સાર્થવાહપુત્રને વંદન કરીને મેં શ્રમણીની સાથે નગરીમાં પ્રવેશ કર્યો.

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146