________________
ઊભી થવા દેવી ન હોય તો મનને સ્વાધ્યાયમાં પરોવી દેવું જોઇએ. સ્વાધ્યાય નામનો તપ જ એવો છે કે જીવને કલાકો-દિવસો-મહીનાઓ ને વર્ષો સુધી સતત શુભ ભાવોમાં જ રમતો રાખે. માટે જ “સ્વાધ્યાય જેવો તપ નથી” એમ કહેવાય છે.
આ સ્વાધ્યાયમાં પણ અનેકાંતવાદની સિદ્ધિ કરતા તાર્કિક અને તાત્વિક ગ્રંથો એટલા માટે શિરમોર ગણાય કે એ સમ્યકત્વની શુદ્ધિ માટે ફટકડીનું કામ કરે છે. ધર્મધ્યાન માટેનો માર્ગ બને છે. આપણને તત્ત્વબોધ કરાવી બાલ, મધ્યમની ભૂમિકાથી ઉપર પંડિતની ભૂમિકા પર લઇ જાય છે.
દરેક વસ્તુ અનંત ધર્મમય છે, દરેક વસ્તુ જગતની બીજી તમામ વસ્તુઓ સાથે અસ્તિ-નાસ્તિ ધર્મ-સંબંધથી સંકળાયેલી છે ને તેથી જ એક પણ વસ્તુના સર્વધર્માત્મકરૂપે જ્ઞાનથી સર્વ વસ્તુઓ સર્વધર્માત્મકરૂપે જ્ઞાત થાય છે, ઇત્યાદિ વાતોને સિદ્ધ કરતા સ્યાદ્વાદના મહિમાને વર્ણવવા શબ્દો ટુંકા પડે !
| સર્વ પદાર્થોના સર્વ પર્યાયોના પ્રત્યેક સમયે સ્પષ્ટ જ્ઞાતા તીર્થંકર પરમાત્મા સિવાય આ પ્રરૂપણા બીજો કોણ કરી શકે ? નિશ્ચયથી અનેકાન્ત દર્શન કેવલી ભગવંતોએ પ્રરૂપેલ છે, છતાં વ્યવહારથી કહી શકાય કે વિચારોના ઔદાર્યની ઉપજ છે. ધર્મસિદ્ધિનું પ્રથમ લક્ષણ ઓદાર્ય-ઉદારતા છે. સારાંશ - અનેકાંતદર્શનની સુવાસ એ જ સમ્યગ્દર્શન છે અને સમ્યગ્દર્શન એ જ ચિત્તની સ્વસ્થતાનું યાવત્ મુક્તિનું બીજ છે.
તેથી જ દેવચન્દ્રજી પ્રભુ પાસે માંગે છે – ભાવસ્યાદ્વાદતા શુદ્ધ ભાસે.
હકીકતમાં તો અનેકાંતની બીજા એકાંતવાદો સાથે તુલના, સરખામણી પણ સિંધુને બિંદુ સાથે સરખાવવા સમાન હાસ્યાસ્પદ છે. ચમચી સમુદ્રના પાણીનો તાગ કાઢવા સમર્થ નથી, એકાંતવાદથી ગ્રસ્ત થયેલી મતિવાળાઓ અનેકાંતની અમાપતાને કેવી રીતે સમજી શકે ? પોતાના ગામની ટેકરીને મેરુ કરતા ઉંચી ગણનારાઓની દયા જ ખવાય ! પોતાના કુવાની વિશાળતા આગળ સાગરને સાંકડો માનનારા દેડકા સાથે ચર્ચામાં ઉતારવામાં પણ મૂરખમાં ખપવાનું આવે ! અનેકાંતવાદને એકાંતવાદીઓ આગળ સાચો ઠેરવવા તર્કો લગાડવા પડે, એ કલિકાલની બલિહારી છે. અનેકાંત તો સૈકાલિક સત્ય સિદ્ધાંત છે, અદ્ભુત છે અનેકાંતવાદ ! અદ્ભુત છે જૈનશાસન !
- અનેકાંતવાદ