________________
વૈરાગ્ય પામી, સંયમ સ્વીકારી, ગુરુની સેવાભક્તિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી, શુદ્ધ સ્વભાવમાં સ્થિરતારૂપ ચારિત્રની અનુક્રમે વિશુદ્ધિ સાધી, ક્ષપક શ્રેણિ ઉપર ચઢી, ઘાતી કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે.
સર્વજ્ઞ-સર્વદર્શી એક સમયમાં ત્રણે કાળના ભાવોને પ્રત્યક્ષ જાણતાં-જોતાં ભવ્ય જીવોને ધમપદેશ આપી, પરમ ઉપકાર કરી, અંતે અઘાતી કર્મોનો પણ ક્ષય કરી, અનંત અક્ષય, અવ્યાબાધ, શાશ્વત-સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. સાદિ-અનંત સ્થિતિએ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઇ શુદ્ધ સ્વભાવમાં જ રમણતા કરી, અનંત સુખોનો ભોક્તા બને છે.
આ પ્રમાણે સમાધિમરણનો મહિમા જાણી સર્વ મુમુક્ષુ આત્માઓ સમાધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનો એ જ એક શુભાભિલાષા. • સર્વ જીવો સાથે ક્ષમાપના :
હું મહાન પુણ્યશાળી છું, કારણ કે અનાદિ-અનંતકાળથી આ અપાર ભવસાગરમાં ભ્રમણ કરતા મને આજે ચિંતામણિરત્નસમાન ‘જિનધર્મ'ની પ્રાપ્તિ થઇ છે.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક ગતિરૂપ ભવચક્રમાં રઝળતા મેં મોહવશ બની કોઇપણ જીવને વેદના-પીડા ઉપજાવી હોય તેને હું મન, વચન અને કાયાથી ખમાવું છું. (૧) નરક ગતિ : સાતે નારકીઓમાં નારકપણે ઉત્પન્ન થઇને ત્યાં રહેલા બીજા કોઇપણ નારક જીવને મેં દુ:ખ દીધું હોય કે એ જીવોને પરસ્પર ઘસવા દ્વારા, એમના અંગછેદ કરવા દ્વારા કે તાડન-તર્જન કરવા દ્વારા જે કોઇ પ્રકારે ત્રાસ ઉપજાવ્યો હોય તેને ખમાવું .
નિર્દય પરમાધામીના અવતારમાં મૂઢ અને અજ્ઞાની એવા મારા જીવે નારકીના જીવોને જે કાંઇ દુઃખ દીધું હોય તેને પણ ખમાવું છું.
અહા... હા...! એ પરમાધામીના ભવમાં મૂઢ એવા મારા જીવે ક્રીડાવશ બની કરવત, તલવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન, મારણ કે યંત્ર-પીલણ, વૈતરણીતારણ, કુંભીપાચન વગેરે ઘણાં દુઃખો નારકી જીવોને દીધાં હશે, જેની મને ખબર પણ નહીં હોય ! તથા તામસભાવમાં આવીને મેં જે કાંઇ વેદના ઉપજાવી હોય તેને હું ત્રિવિધ ખમાવું છું. (૨) તિર્યંચ ગતિ : તિર્યંચગતિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભવોમાં મેં સ્વ-પર અને પરસ્પર શસ્ત્રાદિથી પૃથ્વીકાયાદિક જીવોનો વિનાશ કર્યો હોય તેને હું ખમાવું છું.
શંખ વગેરે બેઇન્દ્રિય, જૂ વગેરે તે ઇન્દ્રિય, માખી વગેરે ચઉરિન્દ્રિયના ભવોમાં મેં જે જે જીવોનું ભક્ષણ કર્યું હોય એને દુ:ખ દીધું હોય તેને હું ખમાવું છું.
ગર્ભજ, સમૂચ્છિમ, જલચર પંચેન્દ્રિયના ભાવોમાં મચ્છ, કાચબા, સુસુમાર આદિ અનેક પ્રકારના રૂપને ધારણ કરી મેં આહાર માટે જે જીવોનો વિનાશ કર્યો હોય તેને હું ખમાવું છું તથા અનેક પ્રકારના જીવોને જોઇને ઘણીવાર મેં તેમના છેદન-ભેદન કર્યા હશે, તે સર્વેને હું ખમાવું .
ગર્ભજ, સમૂચ્છિમ સર્પ વગેરે ઉરપરિસર્પ, ઘો, વાનર વગેરે ભૂજપરિસર્ષ; કૂતરા, બિલાડા વગેરે સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચના ભવોમાં મેં જે કોઈ જીવોને છેદન-ભેદન કરી દુ:ખી કર્યા હોય કે તેમનું ભક્ષણ કર્યું હોય તેને હું ખમાવું છું.
હિંસા, મહારંભાદિ અશુભકર્મના ઉદયથી સિંહ, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક શ્વાપદ જાતિમાં ઉત્પન્ન થઇને મારા જીવે જે કોઈ જીવોની કતલ કરી હોય, સંતાપ ઉપજાવ્યા હોય તેને હું ખમાવું છું.
સહજ સમાધિ • ૧૪૮
સહજ સમાધિ • ૧૪૯