Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 56
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કયે માર્ગે ગયો હોય ? સહુ સહુના કર્મના હિસાબે ગતિ થવાની. કોઈ જાનવરમાં જાય ને કોઈ મનુષ્યમાં જાય, કોઈ દેવગતિમાં જાય. એમાં સતિ કહેશે કે હું તમારી જોડે મરી જાઉં તો તમારી જોડે મારો જન્મ થાય. પણ એવું કશું બને નહીં. આ તો બધી ઘેલછા છે. આ ધણી-બૈરી એવું કશું છે નહીં. આ તો બુદ્ધિશાળી લોકોએ ગોઠવણી કરી છે. (૪૯૭) પ્રશ્નકર્તા : ભઈ કહે છે કે જો કોઈ જાતની તકરાર ના થાય, તો આવતા જન્મ પાછું સાથે રહેવાય ખરું ? દાદાશ્રી : આ જન્મમાં જ રહેવાનું નહીં. આ જન્મમાં જ ડાયવોર્સ (છૂટાછેડા) થઈ જાય છે તે વળી આવતા ભવની શી વાત કરો છો ? એવો પ્રેમ જ ના હોય ને ! આવતા જન્મના પ્રેમવાળામાં તો કકળાટ જ ના હોય. એ તો ઇઝી લાઇફ (સરળ જિંદગી) હોય. બહુ પ્રેમની જિંદગી હોય. ભૂલ જ ના દેખાય. ભૂલ કરે તો ય ના દેખાય એવો પ્રેમ હોય. પ્રશ્નકર્તા: તો એ પ્રેમવાળી જિંદગી હોય તો પછી આવતા ભવમાં પાછાં એના એ ભેગા થાય કે ના થાય ? દાદાશ્રી : હા થાયને, કોઈ એવી જિંદગી હોય તો થાય. આખી જિંદગી કકળાટ ન થયો હોય તો થાય. (૪૯૯) (૨૫) આદર્શ વ્યવહાર જીવનમાં દાદાશ્રી : જિંદગીને સુધારવાની શી રીતે ? પ્રશ્નકર્તા : સાચા માર્ગે જવાથી. દાદાશ્રી : કેટલા વર્ષ સુધી સુધારવાની ? આખી જિંદગી કેટલા વર્ષ, કેટલા દિવસ, કેટલા કલાક શી રીતે સુધરે એ બધું ? પ્રશ્નકર્તા : ખબર નહીં મને. દાદાશ્રી : હં, તેથી સુધરતું નથી ને ! અને ખરી રીતે બે જ દિવસ સુધારવાના છે. એક વર્કિંગ ડે (કામ પર જવાનો દિવસ) અને એક છે તે રજાનો દિવસ, હોલી ડે (રજાનો દિવસ). બે જ દિવસ સુધારવાના સવારથી સાંજ સુધી. બે ફેરફાર કરે એટલે બધા ય ફેરફાર થઈ જાય. બેની ગોઠવણી પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરી દીધી કે બધા એ પ્રમાણે ચાલે પછી. અને એ પ્રમાણે ચાલીએ એટલે આ બધું રાગે પડી જાય. ફેરફાર લાંબો કરવાનો જ નથી. આ બધાય કંઈ રોજના ફેરફાર નથી કરતાં. આ બેની ગોઠવણી જ કરી દેવાની છે. બે દિવસની ગોઠવણી કરેને એટલે બધા દિવસ આવી ગયા. પ્રશ્નકર્તા : એ ગોઠવણી કેવી રીતે કરવાની ? દાદાશ્રી : કેમ ? સવારમાં ઊઠીએ, એટલે ઊઠ્યા એટલે પહેલાં છે તે ભગવાનનું સ્મરણ જે કરવું હોય તે કરી લેવું. એક તો સવારમાં વહેલું ઊઠવાનું રિવાજ રાખવો જોઈએ. કારણ કે લગભગ પાંચ વાગ્યાથી ઊઠવું જોઈએ માણસે. તે અડધો કલાક છે તે પોતાની એકાગ્રતાનું સેવન કરવું જોઈએ. કોઈ ઇષ્ટદેવ કે ગમે તે હોય એની પણ ભક્તિ કંઈ એકાદ અડધો કલાક એવી ગોઠવણી કરવાની. એવું રોજ ચાલ્યા કરે પછી. પછી છે તે ઊઠીને પછી બ્રશ ને એ બધું કરી લેવાનું. બ્રશમાં ય સિસ્ટમ ગોઠવી દેવાની. આપણે જાતે જ બ્રશ લેવું ને જાતે એ કરવું. કોઈને એ નહીં કહેવું જોઈએ. પછી માંદા-સાજા હોય ત્યારે જુદી વસ્તુ છે. પછી ચા-પાણી આવે. તો કકળાટ નહીં માંડવાનો ને જે કંઈ આવે એ પી લેવાનું. જરા કાલથી વધારે નાખજો, કહીએ. ચેતવણી આપવી આપણે. કકળાટ ના માંડવો. ચા પીધા પછી નાસ્તો-બાસ્તો જે કરવાનો હોય તે કંઈ કરી લીધો અને પછી જમીને જોબ પર જવાનું થાય તે જમીને જોબ પર ગયા એટલે જોબ પર આપણે ત્યાંની ફરજ બજાવવાની. અહીં ઘેરથી કકળાટ કર્યા વગર નીકળવાનું અને પછી જોબ કરીને પાછાં આવ્યા એટલે જોબમાં છે તે બોસ જોડે ભાંજગડ થઈ હોય તે પછી રસ્તામાં શાંત કરી દેવી. આ બ્રેઈનને (મગજની) ચેક નટ દબાવી દેવી. એ રેઈઝ થઈ ગઈ હોય તો. અને શાંત થઈને ઘરમાં પેસી જવું, એટલે કકળાટ કશો ઘરમાં નહીં કરવાનો. બોસ જોડે લઢે છે, તેમાં બૈરીનો શો દોષ બિચારીનો ? તારે બોસ જોડે ઝઘડો થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : થાય ને ! દાદાશ્રી : તો સ્ત્રીનો શો દોષ ? ત્યાં લઢીને આવ્યો હોય તો સ્ત્રી સમજી જાય કે આજ મૂડમાં નથી મૂઓ. મૂડમાં ના હોય ને ?

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61