________________
૨૭૪
પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ સાંભળતા હો, ટી.વી. જોતાં હો અને ટી.વી. સામે બેઠાં બેઠાં ડોલતા હો અને લાઈટ જાય તો હાય ! લાઈટ ગઈ. અને તમારું સુખ પણ ગયું. સંગીતની મઝા પણ ગઈ. જે કાયમ નહિ, તે પોતાનું સુખ નહિ, એ સુખ પારકું. જગતમાં એક જ અવસ્થા એવી છે કે જ્યાં પોતાનો આનંદ સ્વતંત્રપણે અને કાયમ અનુભવી શકાય છે. કંઈ ખ્યાલ આવે છે? કંઈ પીક્યર સ્પષ્ટ થાય છે? મોક્ષમાં સુખ નથી, મોક્ષમાં દુઃખ નથી. મોક્ષમાં પરમ આનંદ છે અને એ પરમ આનંદ ઉછીનો નહિ, પારકો નહિ પણ પોતામાંથી જ પ્રાપ્ત થયેલો છે. ઠીક લાગે છે આ અવસ્થા ? આ એવી અવસ્થા છે જ્યાં કોઈને રાજી કરવા પડે નહિ, જ્યાં કોઈ નારાજ થાય નહિ, જ્યાં કોઈના મોઢા જોવા પડે નહિ, જ્યાં કોઈ સુખ ઝૂંટવી લે તેવો અનુભવ ન કરવો પડે. જ્યાં દુઃખ આવે જ નહિ, જ્યાં કોઈની પરતંત્રતા નહીં. તમે તો કેટલાંને રાજી રાખો ત્યારે સુખ મળે. ઘરમાં ફર્નિચર છે તેને પણ ઠીક રાખવા ઝાપટ મારવી પડે. ધૂળ ખંખેરવી પડે. ઓછી ઉપાધિ છે? વાસણોને પણ ઉજળા કરવા ઘસ ઘસ કરવા પડે. આ તો કંઈ જીવન છે? મોક્ષમાં કોઈ ઉપાધિ કે મુશ્કેલી આવતી જ નથી.
“નિજ અનંત સુખભોગ', અદ્ભુત શબ્દો છે. નિજ એટલે પોતાનું. એમ થાય કે ભાડાનું મકાન ગમે તેટલું મોટું અને સારું હોય પણ એ તો ભાડાનું, પોતાનું નહીં, અને નાનકડી ઝૂંપડી હોય પણ તે ઘરની છે. ત્યાં કંઈ ઉપાધિ નથી. કન્યા માટે મૂરતિયો શોધવા જાવ ત્યારે પૂછો છો ને કે ઘરનું ઘર છે કે ભાડાનું? કે રખડતો રામ છે? આપણને આપણું ઘરનું ઘર નથી. સ્વર્ગમાં વૈમાનિક દેવની ઋદ્ધિ હોય તો પણ તે ઘરનું ઘર નથી. મોક્ષ અવસ્થા એ ઘરનું ઘર અને આનંદ પણ પોતાનો. કર્મ રહિત મુક્ત આત્મા મોક્ષમાં વસે છે. શું કહ્યું? કર્મ રહિત મુક્ત આત્મા મોક્ષગતિમાં છે. શુભાશુભ કર્મને લઈને દેહની પ્રાપ્તિ છે. અને દેહના આધારે અનેક બાહ્ય સંયોગો મળે છે. હું ઘૂંટી ઘૂંટીને કહું છું કે દેહના આધારે અનેક બાહ્ય પદાર્થોનો સંયોગ થાય છે. આ સંયોગ એક વખત, એક કાળે નિશ્ચિત છુટવાનો, પણ તે નિમિત્તે રાગદ્વેષ થાય છે, અને રાગદ્વેષ થવાથી કર્મ બંધાય છે. તેને ભોગવવા સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. હવે અવસ્થા બદલાઈ ગઈ. દેહાદિ સર્વ પરદ્રવ્યથી આત્મા મુક્ત થાય છે, કારણ કે મોક્ષ થયો. ફરી પાછો દેહાદિકનો સંયોગ ન થાય તેમ, કાયમ માટે દેહ સાથે આપણો સંબંધ છૂટી જાય છે. દેહ સાથે છૂટાછેડા થયા. આપણે મરીએ છીએ અને દેહ છોડીએ છીએ, પરંતુ કાયમ માટે વિયોગ થતો નથી.
સર્વ કર્મનો ક્ષય થતાં, શાશ્વત પદ પ્રાપ્ત થયા પછી, આત્મા સહજ આત્મસુખનો અનુભવ કરે છે અને એવા અનુભવમાં જે આનંદ મળે છે તેવી અવસ્થાને જ્ઞાની પુરુષ મોક્ષ કહે છે. આ કોઈ ચમત્કારિક અવસ્થા, પેલી પાર, પેલી પાર એવી કોઈ જગ્યા તેની વાત જ નથી. સીધી અને સ્પષ્ટ વાત છે. અંદરમાંથી દેહાદિકનો એક વખત વિયોગ થયા પછી ક્યારે પણ ફરી સંયોગ ન થાય તેવી તમારી કાયમ માટેની અવસ્થા, તેને મુક્ત અવસ્થા-મોક્ષ કહે છે. આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org