SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બોધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરીશાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. 11. પ્ર0- પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું ? ઉ0- પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો. કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્યહેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદનયોગ્ય નથી. 12. પ્ર0- જે ધર્મ ઉત્તમ છે, એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે ? ઉ૦- પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. 13. પ્ર0- ખ્રિસ્તીધર્મ વિષે આપ કાંઈ જાણો છો ? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. ઉ0- ખ્રિસ્તીધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તીધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશો તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે. 14. પ્ર0- તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે, ને હતો. ઉ0- એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે; નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તો પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે. 15. પ્ર0- જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે.
SR No.330651
Book Title0530 Vachanamrut Y Answer to Gandhiji
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy