________________
चतुर्थ: प्रस्तावः ) // સત્ત્વોપવેશ
त्यक्त्वा रजस्तमोभावौ, सत्त्वे चित्तं स्थिरीकुरु । न हि धर्माधिकारोऽस्ति, हीनसत्त्वस्य देहिनः ॥ १ ॥
ગાથાર્થ - રજસ સ્વભાવ અને તામસી સ્વભાવ ત્યજી દઈને હે જીવ ! સત્ત્વ સ્વભાવમાં ચિત્તને તું સ્થિર કર, કારણ કે સત્ત્વહીન જીવને ધર્મની પ્રાપ્તિનો અધિકાર સંભવતો નથી. ।।૧।।
–
વિવેચન - ચિત્તવૃત્તિ રજસ સ્વભાવવાળી પણ હોઈ શકે છે, તામસી સ્વભાવવાળી પણ હોઈ શકે છે અને સત્ત્વ સ્વભાવવાળી પણ હોઈ શકે છે. પરંતુ તેમાંની પ્રથમની બે પ્રકારની ચિત્તવૃત્તિ કર્મબંધનો જ હેતુ હોવાથી ધર્મપ્રાપ્તિ માટે અયોગ્ય છે. માટે હે જીવ ! તું સત્ત્વ સ્વભાવમાં ચિત્તને સ્થિર કર. પ્રથમની બે પ્રકારની ચિત્તની વૃત્તિનો ત્યાગ કરવાથી ચિત્ત સત્ત્વ સ્વભાવમાં સ્થિર બની શકે છે.
સત્ત્વ સ્વભાવની પ્રધાનતાવાળા જ જીવો ધર્મના અધિકારી બની શકે છે. યોગની સાધના, ધર્મધ્યાનાદિ ઉત્તમ ધ્યાનની પ્રક્રિયા, વિશિષ્ટ ચારિત્રપાલન, સમતાભાવમાં વર્તન તથા સમતાભાવમાં રહેવાનો ઉપદેશ ઇત્યાદિ ઉચ્ચતમ માર્ગોનું આસેવન સત્ત્વશાળી પુરુષો જ કરી શકે છે. જે જીવ સત્ત્વહીન હોય છે, તે ક્યારેય પણ વિશિષ્ટ ધર્મનું આચરણ અને પાલન કરી શકતો નથી, વિશિષ્ટ આચરણમાં અને પાલનમાં તે જીવ થાકી જાય છે, હારી જાય છે. પરાભવ પામીને પાછો ચાલ્યો જાય છે.