________________
સાધુ શું ? સાધુને શું ચીજ કલ્પે અને શું ચીજ ન કલ્પ એનાથી અજાણ હતું. ભગવાનને લોકો રાજા માને, દાદા તરીકે ઓળખે એટલે પોતાની કિમંતીમાં કિંમતી ચીજો ભગવાન આગળ ધરતા, પરન્તુ સાધુને માટે એ બધી ચીજો અકલ્પનીય હોવાથી ભગવાન પાછા ફરતા અને પાછા સાત પ્રહર સુધી ધ્યાનમાં ઊભા રહેતા. ભગવાને જે રીતે આરાધના કરી છે તે અંગે જ્ઞાનીઓ જણાવે છે કે, આવી આરાધના શ્રી અરિહંત પરમાત્માના આત્માઓ જ કરી શકે.
આપણે એ તપના અનુકરણ નિમિત્તે જે તપ કરીએ છીએ, તે શુદ્ધ કોટિનો ક્યારે બને, તેના માટે અનંતજ્ઞાનીઓએ ચાર વાતો કહી છે. સૌથો પ્રથમ જે જીવને તપ કરવો હોય, તેને પહેલા તો શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને સમર્પિત થવું પડે. એ તારકની આજ્ઞાને સમર્પિત થવા માટે શ્રી અરિહંત પરમાત્માને ઓળખવા પડે. શ્રી અરિહંત પરમાત્માને ઓળખનારો, શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને સમજનારો વાસ્તવિક રીતે આ તપ કરી શકે.
આ તપ કરનાર જીવના હૈયામાં સંસાર પ્રત્યે અભાવ હોવો જોઇએ, મોક્ષની તીવ્ર લાલસા જન્મી હોવી જોઇએ. તેને થવું જોઇએ કે, ભગવાન જેવી શક્તિ મારામાં છે નહિ પણ મારે મારી શક્તિ ગોપવ્યા વિના, આજ્ઞા મુજબ તપ કરવો જોઇએ, કેમકે મારા ભગવાન અમારા માટે મોક્ષમાર્ગ મૂકી મોક્ષમાં ગયા અને અમને સૌને કહીને ગયા કે, ‘આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષે જ જવા જેવું છે. આ સંસારમાં ભટકાવનાર ભૌતિક સુખ છે, તેને લઇને જીવ પાપ આચરે છે અને એના પરિણામે દુઃખી થાય છે.’ આ વાત જેના હૈયામાં જચે તે જ આ તપનું સુંદરમાં સુંદર આરાધન કરી શકે. તેવી રીતે આરાધવાનો હેતુ પેદા થાય તોય જીવને જીવતાં આવડે, પછી તેને માટે દુર્ગતિના દ્વાર બંધ થાય, સદ્ગતિના દ્વાર ખુલ્લા થાય. ધર્મના સંસ્કાર સુંદર રીતે આત્મામાં પડ્યા હોય એટલે સદ્ગતિમાં ભૌતિક સુખ મળે તોય તે આત્માને મૂંઝવી કે ફ્સાવી ન શકે. સુખ ભૂંડુ જ છે એ વાત તેના હૈયામાં બરાબર બેઠી હોય એટલે કર્મયોગે સુખ ભોગવવું પડે તોય તેમાં રાગથી રંગાય નહિ અને તાકાત આવે તો તેનો ત્યાગ કરે અને પાપના યોગે આવતા દુઃખને મઝેથી ભોગવે એમ કરતાં કરતાં સઘળાં ય કર્મ ખપાવી ત્રીજે-પાંચમે કે સાતમે ભવે મોક્ષે પણ ચાલ્યો જાય.
જે આ તપના આરાધક ભાઇ-બહેનો છે તે બધા ભગવાનની આજ્ઞાને સમર્પિત છે એમ માનીને આ વાત ચાલે છે. તે બધાને આ સંસાર ાવતો નથી, ઝટ મોક્ષે જ જવું છે એ વાત માનવામાં હરકત ખરી ? તેમને આજ્ઞા પાળવી છે માટે આ તપ કરે છે ને ? ચાલુ તપમાં તે બ્રહ્મચારી જ હોય, શ્રી જિનેશ્વર ભગવંતોની સુંદરમાં સુંદર ભક્તિ કરનારો હોય, આજ્ઞાનું આરાધન એ જ શ્રી જિનની ખરી ભક્તિ છે. જેને ભગવાનની આજ્ઞા ગમે તેને ભગવાનની ભક્તિ કરવાનું ગમે. ભક્તિમાં તેનો રંગ અપૂર્વકોટિનો હોય. પછી તો જેમ જેમ ભક્તિમાં, તપસ્યામાં આગળ વધતો જાય તેમ તેમ તેના કષાયોનો નાશ થતો જાય.
તમે જાણો છે કે કષાયો ચાર પ્રકારના છે ક્રોધ, માન, માયા અને લોભ. તે ચારના પણ ચાર પ્રકાર છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનના ભેદથી. જ્યાં સુધી અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ નબળા ન પડે ત્યાં સુધી ભગવાન ગમે નહિ, ભગવાનની આજ્ઞા ગમે નહિ, તપાદિ પણ ગમે નહિ. તેવો જીવ તપાદિ કરતો હોય તો એટલા માટે કે, તેને પાપ કરવા છતાં દુઃખ ન આવે અને સુખ મળ્યા કરે. તેવો જીવ તપાદિ કરવા છતાં સંસાર વધારે છે.
Page 10 of 77