SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર-પૂર્વાર્ધ (૭) કષાય, આત્મગુણોને બાળવામાં અગ્નિ સમાન છે, તેથી ગુસ્સો, ઘમંડ, ચાલાકી અને ઇચ્છાઓને શ્રત, સદાચાર, તપ દ્વારા શાંત કરવામાં પ્રયત્નશીલ બનવું. (૮) મન લગામ વિનાના ઉદંડ ઘોડા સમાન છે. તેને ધર્મ શિક્ષાથી એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, આત્મ સ્વરૂપ ચિંતન, કર્મ સ્વરૂપ ચિંતનથી વશમાં રાખવું જોઇએ. શ્રુતરૂપ દોરીની લગામ તેનો નિગ્રહ કરવામાં સર્વશ્રેષ્ઠ સાધન છે. તેથી સાધુએ સદા કૃત અધ્યયન, પુનરાવર્તન, અનુપ્રેક્ષા આદિમાં લીન રહી મનની સ્વચ્છંદતા અને ઉદંડતાને નષ્ટ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ. ૯) વીતરાગ, સર્વજ્ઞ-દર્શિત સ્યાદ્વાદ ધર્મ જ ન્યાય યુક્ત છે. આ ઉત્તમ માર્ગની આરાધનાથી જીવ સંસાર બ્રમણથી મુક્ત થાય છે (૧૦) સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ધર્મજ ત્રાણભૂત–શરણભૂત છે. (૧૧) મનુષ્યનું શરીર નૌકા છે, જીવ નાવિક છે; જેની ક્ષમતા સંયમ–તપ આરાધનાની નથી, તે શરીર છિદ્રવાળી નાવની સમાન છે. એવી અસહાયક શરીરરૂપી નૌકાથી સમુદ્ર પાર થઈ શકતો નથી. તેનાથી ઉલટું જે શરીર સંયમ– તપની વૃદ્ધિમાં સહાયક છે, તે છિદ્રરહિત નૌકા સમાન છે. તેનાથી જીવ રૂપી નાવિક સંસાર સમુદ્ર પાર કરી મુક્ત થઈ શકે છે. (૧૨) આ જગતના ભાવ અંધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ ફેલાવનારા સૂર્ય “તીર્થકર પ્રભુ' છે. તે સમસ્ત પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપે છે. (૧૩) સિદ્ધ શિલાથી ઉપર લોકાગ્રમાં ક્ષેમકારી, કલ્યાણકારી ધ્રુવ સ્થાન છે. જ્યાં વ્યાધિ, વેદના અને જન્મ-મરણ નથી. શારીરિક-માનસિક દુઃખ નથી. તે સ્થાનને પ્રાપ્ત કરનારા મુનિ ભવભ્રમણના સંક્લેશથી સદાને માટે મુક્ત થઈ જાય છે. ચોવીસમું અધ્યયન : સમિતિ–ગુપ્તિ (૧) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમનો પ્રાણ છે. દ્વાદશાંગીનો એટલે– સંપૂર્ણ જિન પ્રવચનનો તેમાં સમાવેશ થાય છે. અર્થાત્ પ્રવચનનું મુખ્ય લક્ષ્ય છે મોક્ષ. મોક્ષનું પ્રધાન સાધન છે સંયમ અને સંયમમાં પ્રમુખ સ્થાન છે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું. તેથી તેને અષ્ટ પ્રવચન માતા' કહેવામાં આવે છે. (૨) સાધુ દિવસ દરમ્યાન જ ગમનાગમન કરી શકે છે. સંયમ, શરીર તથા સેવાના પ્રયોજને ચાલતાં, યુગમાત્ર ભૂમિનું પ્રતિલેખન કરતાં, એકાગ્રચિત્તે, છકાયના જીવોની રક્ષા કરતાં, મૌનપૂર્વક ચાલવું. તે ઉપરાંત સૂવું, બેસવું, ઊઠવું વગેરે પ્રવૃતિઓ ઉપયોગ રાખીને યતનાપૂર્વક કરવી એ ઈર્યાસમિતિ છે. પ્રયોજન વિના ગમનાગમન ન કરવું. (૩) કષાયોથી રહિત અને અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાષા બોલવી જોઇએ. ક્રોધ, માન, માયા, લોભયુક્ત ભાષા; હાસ્ય, ભય, વાચાલતા અને વિકથા પ્રેરિત ભાષા; કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મકારી, સાવધ, નિશ્ચયકારી, અસત્ય અને મિશ્રભાષા ન બોલવી પરંતુ વારંવાર વિચારીને હિતકારી,પ્રિયકારી,સત્ય અને વ્યવહાર ભાષા બોલવી જોઇએ; આ ભાષા સમિતિ છે (૪) આહારાદિની નિષ્પત્તિમાં સાધુનું નિમિત્ત હોય એવા ઉદ્ગમ સંબંધી દોષયુક્ત આહારાદિ ન લેવા, આહારાદિની પ્રાપ્તિ માટે કોઈ સંસારીવૃત્તિ કે પ્રવૃતિ અથવા દીનવૃત્તિ ન કરવી, આહારાદિ ગ્રહણ કરતી વખતે પણ કિંચિત્ત જીવ વિરાધના ન થાય તેવું લક્ષ્ય રાખવું,પરિભોગેષણાના પાંચ મુખ્ય અતિચાર તથા અન્ય અનેક દોષોનો પરિત્યાગ કરી આહારાદિ વાપરવા; આ એષણા સમિતિ છે (૫) આવશ્યક ઉપધિ અને પરિસ્થિતિક ઉપધિ-વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પુસ્તક, દંડ આદિ ઉપરથી ન પડે તેમ ભૂમિને અડાડીને પછી મૂકવા; મૂકતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન કરવું; આ રીતે કોઈપણ વસ્તુ ગ્રહણ કરતાં કે મૂકતાં ઉપયોગ રાખવો તે આયાણ ભંડમત્ત નિકુખેવણા સમિતિ છે. (૬) મળમૂત્ર આદિ પરઠવાના પદાર્થોને યતના પૂર્વક પરઠવા. જીવરહિત અચેત સ્થાને પરઠવા. કોઈને પીડાકારી ન થાય તેવો વિવેક રાખવો; તે પરિઠાવણિયા સમિતિ છે. (૭) સંયમ જીવનના અને શરીરના આવશ્યક કાર્યોને યત્નાથી કરવાનું તેનું નામ સમિતિ છે તથા મન,વચન અને કાયાની અશુભ પ્રવૃતિઓ ઉત્તરોત્તર સીમિત કરવી; તેને ગુપ્તિ કહેવાય. - અધ્યયનમાં છેલ્લે દર્શાવ્યું છે કે સંપૂર્ણ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ તે ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સમ્યક આરાધન કરનારા પંડિત પુરુષ સંસાર સાગરને શીઘ્રતાથી તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. પચીસમું અધ્યયનઃ જયઘોષ-વિજયઘોષ પ્રાસંગિક - જયઘોષ અને વિજયઘોષ બે ભાઈ હતા. જયઘોષ દીક્ષા ગ્રહણ ક્ય બાદ એક વખત ભિક્ષા અર્થે પોતાના સંસારી ભાઈ વિજયઘોષ બ્રાહ્મણની યજ્ઞશાળામાં આવ્યા. ત્યાં બન્ને ભાઈઓ વચ્ચે વાર્તાલાપ થયો. છેલ્લે વિજયઘોષે પણ સંયમ ગ્રહણ ક્ય. સંયમ અને તપ દ્વારા કર્મક્ષય કરી બન્ને ભાઈ મોક્ષગામી થયા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી. (૧) યજ્ઞના નિયમ અનુસાર જે વેદજ્ઞ યજ્ઞાર્થી તથા જ્યોતિષ અને બ્રાહ્મણધર્મના પારગામી હોય, સ્વ-પરનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય; તેને તે યજ્ઞનો આહાર આપી શકાય છે, અન્યને નહીં. (જવાબમાં મુનિએ યજ્ઞનો અર્થ સમજાવ્યો.) (૨) તપ અને ધ્યાનરૂપી અગ્નિમાં કર્મોની આહુતિ આપવી, એજ સાચો અગ્નિહોત્ર છે; એવો ભાવયજ્ઞ કરનાર યજ્ઞાર્થી જ વેદમાં એટલે આત્મજ્ઞાનમાં પ્રમુખ કહેવાય છે. જેમ જ્યોતિષ મંડળમાં ચન્દ્ર શ્રેષ્ઠ છે તેમ ધર્મમાં તીર્થંકર પ્રભુ શ્રેષ્ઠ છે. (૩) જે સાધક કોઈપણ વ્યક્તિમાં સ્નેહ કે આસક્તિ નથી રાખતો પરંતુ સંયમમાં (જિનાજ્ઞામાં) રમણ કરે છે; નિર્મલ હૃદયી થઈ રાગ-દ્વેષ અને ભયથી દૂર રહે છે; કષાયો અને શરીરને કૃશ કરે છે; હિંસા, જૂઠ, અદત્ત અને કુશીલનો સર્વથા ત્યાગ કરે છે; કમળની સમાન ભોગોથી અલિપ્ત રહે છે, તે બ્રાહ્મણ છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy