________________
આગમચાર-પૂર્વાર્ધ
ચોથું અધ્યયન કર્મફળ અને ધર્મપ્રેરણા (૧) જીવન સાંધી શકાતું નથી અર્થાત્ ક્ષણભર પણ આયુષ્યની વૃદ્ધિ કોઈ કરી શકતું નથી, તેથી વૃદ્ધત્વની પ્રતીક્ષા ન કરતાં અવસર પ્રાપ્ત થયે અપ્રમત્ત ભાવથી તપ-સંયમ, વ્રત-નિયમનું આચરણ કરી લેવું જોઇએ. (૨) પ્રાણી કુમતિ કે અજ્ઞાનને કારણે અનેક પાપ કૃત્યો દ્વારા ધનને અમૃત સમજીને તેનું ઉપાર્જન કરવામાં અનુરક્ત રહે છે પરંતુ મૃત્યુ સમયે નરકમાં જતાં તેણે ભેગું કરેલું ધન તેની રક્ષા કરી શકતું નથી. (૩) પરિવારને માટે કે અન્યને માટે જીવ જે પાપ ઉપાર્જન કરે છે, તેના ફળ ભોગવવાના સમયે કોઈ ભાગ પડાવતા નથી. કર્મોના ફળ આ ભવમાં કે પરભવમાં પોતાને જ ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. (૪) સ્વચ્છંદતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી ભગવદ્ આજ્ઞામાં જ સંપૂર્ણ અપ્રમત્ત ભાવથી રહેનારા શીઘે મોક્ષ પ્રાપ્ત કરે છે. (૫) પછી ધર્મ કરશું એમ કહેનાર પહેલાં કે પછી ક્યારેય ધર્મ કરી શકતો નથી; કારણ કે અચાનક મૃત્યુના આવવાથી અભ્યાસ વિના ધર્માચરણ દુ:શક્ય છે. (૬) સંયમ આરાધન કાળમાં લલચામણા પ્રસંગ અને પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થવા છતાં સદા સાવધાન રહેવું જોઈએ. અર્થાત્ ક્રોધ, માન ન કરવા તેમજ માયા, લોભ પણ ન કરવા જોઇએ. (૭) સમ્યક શ્રદ્ધાની સાથે સંયમ પાલન કરતા થકાં અંતિમ શ્વાસ સુધી ગુણોની આરાધના કરવી જોઈએ.
પાંચમું અધ્યયન : બાલ-પંડિત મરણ જન્મની સાથે જ મૃત્યુ સંકળાયેલું છે. જીવન જીવવું એક કળા છે તો સમાધિ મૃત્યુને વરવું તે પણ ઓછી કળા નથી ! આ અધ્યયનમાં મરણના બે પ્રકાર વર્ણવ્યા છે– બાલ મરણ(અકામ મરણ) અને પંડિત મરણ(સકામ મરણ). (૧) બાળ એટલે અજ્ઞાની જીવોનું વારંવાર અકામ મરણ થાય છે, જ્યારે પંડિત પુરુષોનું ઉત્કૃષ્ટ સકામ મરણ એક જ વખત થાય છે; અર્થાત્ જઘન્ય, મધ્યમ આરાધનામાં અધિકતમ સાત-આઠ ભવ થાય છે અને ઉત્કૃષ્ટ આરાધનામાં જીવ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. (ર) વિષય આસક્ત બાળ જીવ અનેક જૂર કર્મ કરે છે. કેટલાક તો પરલોકનો જ સ્વીકાર કરતા નથી. “બધા પ્રાણીઓના જે હાલ થશે તે અમારા થશે”. એવું વિચારીને કેટલાક જીવો હિંસા, જૂઠ, છળ-કપટ, ધૂર્તતા આદિ કરે છે, સુરા અને માંસનું સેવન કરે છે તેમજ ધન અને સ્ત્રીઓમાં વૃદ્ધ બને છે. (૩) એવા લોકો અળસિયાની સમાન મુખ અને શરીરથી માટી ગ્રહણ કરવાની જેમ રાગ અને દ્વેષ બંનેથી કર્મ બંધ કરે છે. (૪) ઉક્ત અજ્ઞાની પ્રાણી મૃત્યુથી ક્લાંત થવાના સમયે નરકગતિ આદિ દુઃખોનું ભાન થતાં શોક કરે છે. જેવી રીતે અટવી(જંગલ)માં ગાડાની ધૂરા તૂટી જવાથી ગાડીવાન શોક કરે છે. (૫) તેમ જ ધર્માચરણ રહિત અજ્ઞાની જીવ હારેલા જુગારીની સમાન મૃત્યુ સમયે આર્તધ્યાન કરે છે. (૬) પંડિત મરણ પણ ગૃહસ્થજીવનની વિભિન્નતા અને શ્રમણજીવનની વિષમતાના કારણે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. (૭) કેટલાક ગૃહસ્થોની ધર્મસાધના સાધુઓથી પણ ઉચ્ચ હોય છે. પરંતુ સુસાધુઓના સંયમ તો સર્વગૃહસ્થોથી ઉત્કૃષ્ટ જ હોય છે. (૮) ભિક્ષાજવી કેટલાક સંન્યાસીઓના આચરણ અને શ્રદ્ધા શુદ્ધ હોતા નથી. તેથી તેમના જટાધારણ, મુંડન, નગ્નત્વ, ચર્મ, વસ્ત્ર, વિભિન્ન વેષભૂષા અને અન્ય ઉપકરણ ધારણ કરવા આદિ તેમને દુર્ગતિથી મુક્ત કરી શકતા નથી. તેથી ભિક્ષુ હોય યા ગૃહસ્થ, જો તે સુવ્રતી અને સુશીલ હોય તો જ દિવ્યગતિને પ્રાપ્ત કરી શકે છે. (૯) જે પૌષધ, વ્રત, નિયમ અને સદાચારનું પાલન કરતાં થકાં ગૃહસ્થ અવસ્થામાં રહે છે અથવા ઇન્દ્રિયના વિષયોથી તેમજ સંપૂર્ણ પાપોથી નિવૃત થઈ ભિક્ષા જીવનથી ધર્મ આરાધના કરે છે એવા શ્રમણોપાસક અને શ્રમણ મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પરંતુ પંડિત મરણને વરે છે. તેમાંથી કોઈ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો કોઈ એક ભવ દેવનો કરી પુનઃ મનુષ્ય થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. (૧૦) આ અકામ–સકામ બંને મરણોના ફળની તુલના કરીને મુમુક્ષુઓએ દયાધર્મનો સ્વીકાર કરવો જોઇએ અને દેહ મમત્વનો ત્યાગ કરી અંતિમ સમયે ભક્તપ્રત્યાખ્યાન આદિ કોઈપણ પ્રકારના પંડિતમરણ (અનશન)નો સ્વીકાર કરવો જોઈએ.
છઠું અધ્યયન: જ્ઞાન-ક્રિયા (૧) અજ્ઞાની જીવો દુ:ખોની વૃદ્ધિ કરતા રહે છે, તેથી મુમુક્ષુઓએ જીવાદિ નવ તત્વોને જાણીને સત્યની ગવેષણા કરતા થકા બધા પ્રાણીઓ સાથે મૈત્રીનો વ્યવહાર કરવો જોઇએ અને પરિવારના સભ્યોમાં પણ અસંરક્ષણનો ભાવ જાણીને સ્નેહરહિત બને તથા ધન-સંપત્તિને ચંચળ સમજી તેનો ત્યાગ કરે. (૨) જ્ઞાનયુક્ત આચરણને હૃદયંગમ કરી, પરિગ્રહને નરકનું મુખ્ય કારણ સમજી તેનો ત્યાગ કરે અને સર્વ જીવોને આત્મવત્ સમજીને સાવધ આચરણનો સર્વથા ત્યાગ કરે. (૩) સાવધકર્મ, ધન અને પરિગ્રહના ત્યાગી મુનિ ગૃહસ્થ દ્વારા અપાયેલ, એષણા સમિતિની વિધિથી પ્રાપ્ત આહારથી સંયમ નિર્વાહ કરે. પક્ષીની જેમ સંગ્રહવૃત્તિથી મુક્ત રહે. (૪) માત્ર જ્ઞાનથી મુક્તિ માનનારા અને કંઈપણ આચરણ(પાપ ત્યાગ) ન કરનારા સ્વેચ્છાએ વચન વીર્યથી મુક્તિની કલ્પના કરી શકે છે પરંતુ તેઓને વાસ્તવિક આત્મોન્નતિની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પાપાચરણ અને આસક્તિથી દુર્ગતિ પ્રાપ્ત કરતા સમયે તે જ્ઞાન અને વચનવીર્ય તેનું આંશિક પણ રક્ષણ કરી શકતા નથી.