SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયની બહાર કુદરત કોઈ દહાડો ગઈ નથી. પછી વાવાઝોડા બે લાવે કે એક લાવે, પણ ન્યાયમાં જ હોય છે. પ્રશ્નકર્તા : આપની દ્રષ્ટિએ વિનાશ થતાં દ્રશ્યો જે દેખાય છે, એ આપણાં માટે શ્રેય જ છે ને ? દાદાશ્રી : વિનાશ થતું દેખાય, એને શ્રેય શી રીતે કહેવાય ? પણ વિનાશ થાય છે એ પદ્ધતિસર સાચું જ છે. કુદરત પણે વિનાશ કરે છે તે ય બરોબર છે અને કુદરત જેને પોષે છે તે ય બરોબર છે. બધું રેગ્યુલર કરે છે, ઓન ધી સ્ટેજ ! આ તો પોતાના સ્વાર્થને લઈને લોકો બૂમો પાડે છે કે મારાં કપાસ બળી ગયા. ત્યારે પેલા નાના કપાસવાળા કહે છે, અમે ફાવ્યા. એટલે લોક તો પોતપોતાના સ્વાર્થને જ ગાય છે. પ્રશ્નકર્તા : આપ કહો છો કે કુદરત ન્યાયી છે, તો પછી ધરતીકંપો થાય છે, વાવાઝોડા થાય છે, વરસાદ ખૂબ પડે છે. એ શા માટે ? દાદાશ્રી : એ બધું ન્યાય કરે છે. વરસાદ વરસે છે, બધું અનાજ પકવે છે. આ બધું ન્યાય થઈ રહ્યું છે. ધરતીકંપ થાય છે એ ય ન્યાય થઈ રહ્યો છે. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? દાદાશ્રી : જેટલાં ગુનેગાર હોય એટલાંને જ પકડે. બીજાને નહીં. ગુનેગારને જ પકડે છે આ બધું ! આ જગત બિલકુલ ડિસ્ટર્બ થયેલું નથી. એક સેકન્ડ પણ ન્યાયની બહાર કશું ગયું નથી. જગતમાં જરૂર ચો-સાપતી ! ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોરલોકો શું કરવા આવ્યા હશે ? એ બધા ગજવા કાપનારાની શી જરૂર છે ? ભગવાને શું કામ આમને જન્મ આપ્યો હશે ? અલ્યા, એ ના હોય તો તમારા ગજવા કોણ ખાલી કરી આપે ? ભગવાન જાતે આવે ? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય ? તમારું ધન ખોટું હોય તો કોણ લઈ જાય ? એ નિમિત્ત છે બિચારા. એટલે આ બધાની જરૂર છે. પ્રશ્નકર્તા: કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે. દાદાશ્રી : એ તો આ ભવની પરસેવાની કમાણી પણ પહેલાંનો બધો હિસાબ છે ને ! ચોપડા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કશું લે નહીં. કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ લેવું એ તો આપણો કંઈક આગળ-પાછળનો હિસાબ છે. આ દુનિયામાં કોઈ જન્મ્યો નથી કે જે કશું કોઈનું કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે. બહુ નિયમવાળું જગત છે. સાપ પણ અડે નહીં. આટલું આ ચોગાન સાપથી ભરાયું હોય, પણ અડે નહીં. એટલું નિયમવાળું જગત છે. બહુ હિસાબવાળું જગત છે. આ જગત બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે, પણ છતાં લોકોને ન સમજાય. જડે કારણ, પરિણામ પરથી ! આ બધું રીઝલ્ટ છે. જેમ પરીક્ષામાં રીઝલ્ટ આવે ને, આ મેથેમેટિક્સ(ગણિત)માં સો માર્કમાંથી પંચાણું માર્ક આવે અને ઈગ્લિશમાં સો માર્કમાંથી પચ્ચીસ માર્ક આવે. તે આપણને ખબર ના પડે કે આમાં ક્યાં આગળ ભૂલ રહે છે ? આ પરિણામ ઉપરથી, શું શું કારણથી ભૂલ થઈ એ આપણને ખબર પડે ને ? એવાં આ બધાં પરિણામ આવે છે. આ સંયોગો જે બધાં ભેગાં થાય છે, એ બધાં પરિણામ છે. અને એ પરિણામ ઉપરથી શું કાઁઝ હતું, તે આપણને જડે. અહીં રસ્તામાં બધાં ય માણસો આવતાં-જતાં હોય અને બાવળની શુળ આમ ઊભી પડેલી હોય. લોક એટલું આવતું-જતું હોય, પણ શૂળ એમની એમ જ પડેલી હોય. અને આપણે કોઈ દહાડો બૂટ-ચપ્પલ વગર નીકળીએ નહીં, પણ તે દહાડે કોઈકને ત્યાં ગયા હોય ને ત્યાં બૂમ પડે કે એય ચોર આવ્યો, ચોર આવ્યો. તે આપણે ઊઘાડે પગે નાઠાં. તે શૂળ આપણને પગે વાગે. તે હિસાબ આપણો ! પાછી આમ આરપાર નીકળી જાય એવું લાગે ! હવે આ સંયોગ કોણ ભેગું કરી આપે છે ? આ ‘વ્યવસ્થિત’ ભેગું કરી આપે છે.
SR No.008843
Book TitleBanyu Tej Nyaya
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages17
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size313 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy