________________
જ્ઞાની પુરુષની જ્ઞાનવાણી મૂળ આત્માને સ્પર્શનિ નીકળેલી છે, જે અમુલ્ય રત્ન સમાન છે. જુદા જુદા રત્નો ભેગા થઈ અને એક એક સિદ્ધાંતની માળા થઈ જાય. આપણે તો પ્રત્યેક વાતને સમજી સમજીને દાદાશ્રીનાં દર્શનમાં જેવું દેખાયું તેવું જ દેખાય, તેવી ભાવના સાથે વાંચતા જઈશું અને રત્નો જાળવીને ભેગા કરતાં રહીશું તો છેવટે સિદ્ધાંતની માળા થઈને ઊભી રહેશે. તે સિદ્ધાંત કાયમને માટે હૃદયગત થઈને અનુભવમાં આવી જશે.
૧૪મી આપ્તવાણી પીએચ.ડી. લેવલની છે. જે તત્ત્વજ્ઞાનનાં ફોડ પાડે છે ! તેથી બેઝીક વાતો અહીં વિગતવાર નહીં મળે અથવા તો બિલકુલેય નહીં મળે. સાધક ૧૩ આપ્તવાણીઓનો તેમજ દાદાશ્રીના સર્વે મહાન ગ્રંથોનો ફૂલ સ્ટડી કરીને, સમજીને ચૌદમી આપ્તવાણી વાંચશે તો જ સમજાશે. અને નમ્ર વિનંતી છે કે બધું સમજમાં ઉતર્યા પછી જ ચૌદમી આપ્તવાણીનો સ્ટડી કરશો.
દરેક નવા મથાળાવાળું મેટર નવી વ્યક્તિ સાથેનું છે એમ સમજવું. તેથી ફરી પાછો પ્રશ્ન પૂછે છે તેમ લાગશે. પણ ઊંડા ફોડ મળતા હોવાને કારણે તેને સંકલનમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
એનાટોમીમાં (શરીર વિજ્ઞાનમાં) દસમા, બારમા ધોરણમાં, મેડિકલમાં વર્ણન છે. એની એ જ બેઝિક વાત આગળ જતાં ઊંડાણમાં જાય છે તેથી તે કંઈ એનું એ જ બધા ધોરણમાં ભણવાનું છે એવું ના કહેવાય.
તમામ શાસ્ત્રોના સાર રૂપ જ્ઞાનીની વાણી હોય છે અને તે વાણી સંકલિત થાય ત્યારે સ્વયં શાસ્ત્ર બની જાય છે. તેમ આ આપ્તવાણી મોક્ષમાર્ગી માટે આત્માનુભવીના કથનના વચનોનું શાસ્ત્ર છે, જે મોક્ષાર્થીઓને મોક્ષમાર્ગે આંતરિક દશાની સ્થિતિ માટે માઈલ સ્ટોન સમ કામ લાગશે.
શાસ્ત્રોમાં સો મણ સૂતરમાં એક વાલ જેટલું સોનું વણાયેલું હોય છે, જે સાધકે સ્વયં ખોળીને પ્રાપ્ત કરવાનું રહે છે. આપ્તવાણીમાં પ્રગટ જ્ઞાનીએ સો ટકા શુદ્ધ સોનું જ આપ્યું છે.
અત્રે સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીથી વહેલા જુદા જુદા દાખલાઓ ગુહ્યતમ તત્ત્વને સમજવા પ્રસ્તુત થયા છે. અનુભવગમ્ય
અવિનાશી તત્ત્વને સમજવા વિનાશી દાખલાઓ હંમેશાં મર્યાદિત જ હોય છે. છતાં જુદા જુદા એંગલથી સમજાવવા તથા જુદા જુદા ગુણને સમજવા જુદા જુદા દાખલાઓ ખૂબ ઉપયોગી થઈ પડે એવા છે. ક્યાંક વિરોધાભાસ જેવું લાગે પણ તે અપેક્ષિત છે, માટે અવિરોધાભાસી હોય છે. સિદ્ધાંતને ક્યારેય છેદતું હોતું નથી.
પરમ પૂજ્ય દાદાશ્રીની વાતો અજ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીની છે. પ્રસ્તાવનામાં કે ઉપોદ્ધાતમાં સંપાદકની ક્ષતિઓ હોઈ શકે. તેમ જ આજના ઊઘાડ પ્રમાણે આજે આ જણાવાયું હોય, પણ જ્ઞાની કૃપાથી આગળ વિશેષ ઊઘાડ થઈ જાય તો એ જ વાત જુદી ભાસે. પણ ખરેખર તો તે આગળના ફોડ હોય. યથાર્થ જ્ઞાનની સમજ તો કેવળીગમ્ય જ હોઈ શકે ! તેથી ભૂલચૂક લાગે તો ક્ષમા પ્રાર્થીએ છીએ. જ્ઞાની પુરુષની જ્ઞાનવાણી વાંચ વાંચ કરીને એની મેળે મૂળ વાતને સમજવા દો. જ્ઞાની પુરુષની વાણી સ્વયં ક્રિયાકારી છે, જરૂર સ્વયં ઊગી નીકળશે જ.
પોતાની સમજણને ફૂલ પોઈન્ટ (સ્ટોપ) મૂકવા જેવો નથી. હંમેશા કોમાં રાખીને જ આગળ વધીશું. જ્ઞાનીની વાણીનું નિત્ય આરાધન થયા કરશે તો નવા નવા ઊઘાડ થશે અને સમજ વર્ધમાન થઈ જ્ઞાન દશાની શ્રેણીઓ ચઢવાને માટે વિજ્ઞાન સ્પષ્ટ અનુભવમાં આવતું જશે.
અતિ અતિ સૂક્ષ્મ વાતો, વિભાવ કે પર્યાય જેવી, યદિ વાંચતા સાધકને ગૂંચવાડામાં મૂકે તો તેથી મૂંઝાવાની જરૂર નથી. આ ના સમજાય તેથી શું મોક્ષ અટકી જશે ? જરાય નહીં. મોક્ષ તો જ્ઞાનીની પાંચ આજ્ઞામાં રહેવાથી જ સહજ પ્રાપ્ય છે, તાર્કિક અર્થ ને પંડિતાઈથી નહીં. આજ્ઞામાં રહે તો જ્ઞાનીની કૃપા જ સર્વ ક્ષતિઓથી મુક્ત કરાવે છે. માટે સર્વ તત્ત્વોના સાર એવા મોક્ષ માટે તો જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ જ સાર છે.
સમય, સ્થળ, સંજોગ અને અનેક નિમિત્તોના આધીન નીકળેલી અદ્ભૂત જ્ઞાનવાણીને સંકલન દ્વારા પુસ્તકમાં રૂપાંતર થતા ભાસિત ક્ષતિઓને ક્ષમ્ય ગણી વિભાવ અને દ્રવ્ય-ગુણ-પર્યાયના આવા અદ્ભૂત વિજ્ઞાનને સૂક્ષ્મતાએ સમજી, પામી, મુક્તિ અનુભવીએ એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
• ડૉ. નીરુબહેન અમીત