________________
પ્રતિભા દર્શન
જે ૪૩
યુગમૂર્તિ સાહિત્યકારો : આરાધક કવિઓઃ
ગુજરાતમાં સાહિત્યનું સમારાધાન પણ બહુમુખી અને પૂર્વકાલીન પરંપરાવાળું જણાય છે. ગુજરાતી ભાષા સાહિત્યનો સૂત્રપાત છેક બારમી સદીથી તો નિઃસંશય ગણી શકાય છે. આ ભૂમિને વિદ્યાવ્યાસંગનો ભવ્ય વારસો સહજ સંસ્કારરૂપે જ સાંપડ્યો છે અને તેથી જ વિવિધ સાહિત્યસૃષ્ટિનું નિર્માણ થયું. પાણિનિ પછી ગુજરાતમાં મહાન વિયાકરણી કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી થઈ ગયા. તેમણે સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી. પરમ ભટ્ટારક સિદ્ધરાજે તે ગ્રંથને હાથીની અંબાડી ઉપર પધરાવી નગરયાત્રા કાઢેલી. આ હેમચંદ્રાચાર્યજીની સ્મૃતિ પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડવામાં આવી રહી છે. રાજ્ય સરકાર તરફથી લેવાયેલો આ એક સ્તુત્ય નિર્ણય માતા સરસ્વતીજીના સન્માનરૂપ ગણાઈ રહ્યો છે. કાળાન્તરે તે પછી અનેક જૈન મુનિઓએ ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારનું વિશાળ સર્જન કરીને ભારે મોટું યોગદાન આપ્યું છે.
પંદરમાં શતકના બે મહાન કવિઓ પદ્મનાભ અને ભાલણને યાદ કરવા સાથે એ જ શતકથી શરૂ થયેલી ગુજરાતી કાવ્યગંગાની ગંગોત્રી છે નરસિંહ મહેતા.
તળાજામાં જન્મેલા આદિ કવિનાં શ્રેષ્ઠ સન્માનથી વિભૂષિત નરસિંહ મહેતાનાં સર્જનોમાં તેમના પ્રભાતિયાં ગુજરાતી ભાષાના “થાવતચંદ્ર દિવાકરી અમર અલંકારો” છે. “મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે.” જેવાં પદોના રચયિતા કેશવદાસનો ભક્તિરસ પણ અનન્ય છે.
ચિતોડની મહારાણી મીરાંબાઈ પાસે દોમદોમ સાહ્યબી, વૈભવ, સન્માન બધું જ હતું, પણ એ બધું તેમને તકલાદી લાગ્યું. છેક રાજસ્થાનથી આવીને ગુજરાતને પોતાની પ્રિયભૂમિ બનાવનાર આ મીરાંબાઈ દરેક અગ્નિપરીક્ષામાંથી પાર ઊતરી, પોતાને સોનું સાબિત કરી શકી. તેનાં લલિત, મધુર, પ્રેમલક્ષણા ભક્તિનાં પદો આજે પણ ગુજરાતનાં વાતાવરણમાં ગૂંજે છે. મીરાંના પદો ખરેખરતો ગુજરાતની મોંઘી મિરાત છે.
સોળમા સૈકાનો ઉત્તરાર્ધ અને સત્તરમાં સૈકાની શરૂઆતનો એ સમય જ્ઞાનવૈરાગ્યની કવિતાનો સુંદર સમય હતો. સત્તરમા સૈકાના પ્રભાવશાળી પ્રતિભા ધરાવતા ત્રણ મહાન કવિઓ અખો, પ્રેમાનંદ, શામળ આ ત્રણે એ પોતાના આગવાં વ્યક્તિત્વનાં દર્શન કરાવ્યાં છે. અઢારમાં સૈકાના પ્રેમાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી વગેરેએ સુંદર મજાના ભક્તિપદો રચી ભક્તોના હૃદયને તૃપ્ત કર્યા હતા.
અમદાવાદમાં સોનીનો ધંધો કરતા અને સચ્ચાઈથી વર્તવા છતાં પણ અવિશ્વાસની ઝાળથી દાઝેલા અખાએ કુવામાં સાધનો પધરાવી દઈ વેદાંતી કવિતાનું વિપુલ સર્જન કર્યું. મહાકવિ પ્રેમાનંદે માણ ઉપર સ્વરચિત આખ્યાનો ગાયાં અને એ આર્ષવાણીએ જ ગુજરાતી ભાષાને ભારે મોટું ગૌરવ અપાવ્યું. શામળ ભટ્ટે સિંહાસન બત્રીશી અને મદનમોહના જેવી પદ્યવાર્તાઓ દ્વારા સંસ્કારી મનોરંજન સાથે બૌદ્ધિક સજાગતા આપી.
સંખ્યાબંધ ઉકષ્ટ કાફીઓની રચના કરનાર આત્મજ્ઞાની ધીરાભગત હંમેશા નિજાનંદમાં જ વિચરતા. તેઓમાં પૂર્ણ જ્ઞાની, અદ્વૈતવાદી અને સંસારી સમાજની પરિપકવતા દેખાતી, તેમના ગહન તત્વજ્ઞાનનાં પદો ગુજરાતી સાહિત્યમાં સદાકાળ અમર રહેશે.
જૈન કવિઓમાં પણ મહાત્મા આનંદઘનજી, જ્ઞાનાનંદજી, વિનયવિજયજી, યશોવિજયજી, કિશનદાસજી વગેરે અગ્રસ્થાને રહ્યા છે. ઇસુની સત્તરમી સદીની આપણી ગુજરાતી કવિતા ઉપાધ્યાય કવિ યશોવિજયજીનાં પ્રદાને જરૂર સમૃદ્ધ થઈ છે. ઉત્તર ગુજરાતના ગામ કનોડામાં જન્મેલા અને અનશન વડે પ્રાણત્યાગ કરીને મધ્ય ગુજરાતના ડભોઈ ગામમાં પોઢેલા આ કવિ ન્યાયાચાર્યની ગુજરાતી કાવ્યરચનાઓ હંમેશાં આદરથી સંભારી શકાય તેમ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org