________________
૩૨
ભાવવિભોર બની જાઉં છું, કારણ માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ વિશેષ છે.
શત્રુંજ્ય અને તાલધ્વજગિરિની તળેટીમાં વિતાવેલા બાલ્યકાળના એ સોનેરી દિવસોમાં સાહિત્ય સરવાણીનાં જ્યાં પાન પીધાં, જ્યાંથી ધર્મસંસ્કૃતિના ઉમદા વિચારોથી પત્રકારત્વની મારી રુચિને બળ મળ્યું ત્યાંથી જ ભાતીગળ અસ્મિતાની આ ચિનગારી પ્રગટી. ભીષણ ગરીબીમાં ભલે અમારો ઉછેર થયો પણ અમે ધન્યભાગી કે સાધુસંતોનો પુણ્ય સંસર્ગ અને સંપર્ક બહુ નજીકથી અને તે પણ વારંવાર થતો રહ્યો. વાત્સલ્યના સાગર સમા અનેક પૂજ્યશ્રીઓએ અમારા ઉપર વરસાવેલા કરુણાના ધોધ અને અનુગ્રહના મંગલમેઘથી મારી દુનિયા અને મારા જીવનરંગો ક્રમે ક્રમે બદલાતા રહ્યા, જીવનની તડકી છાંયડી વચ્ચે પણ નવા નવા સંપર્કો થતા રહ્યા. વિશેષ કરીને મારી જીવનમાંડણીમાં રાષ્ટ્રીય વિચારધારા સાથે લાગણીના તંતુ બંધાયા એમાંથી જ પ્રેરક બળ સાંપડ્યું.
બૃહદ્ ગુજરાત
પ્રારબ્ધની રંગોળીમાં સેવા, સમર્પણના નિર્દોષ ભાવો ઘુંટાઈ ઘુંટાઈને ઘેરા બનતા હતા. સ્વરાજના ડંકા નિશાન વાગ્યા અને આઝાદીની ઉષા ઊગી ત્યારની આ બધી વાતો થઈ. પછી તો નવું નવું જાણવાસમજવા સંજોગોએ યારી આપી, દેશભરમાં ઘણાં સ્થળોનું પરિભ્રમણ કર્યું. દિલ્હીમાં ભારતસેવકસમાજના રાષ્ટ્રિય સેમિનારોમાંથી પણ એક નવી તાજગી મળી. સંઘર્ષમય જીવનમાં થયેલો વિશાળકાય અનુભવ આ આયોજનમાં ભરપેટે કામ લાગ્યો. જગતમાં સફળ થયેલી વિભૂતિઓ પણ સંઘર્ષમય જીવનની વિશેષ હિમાયત કરે છે.
જેમનાં શરણમાં અને ચરણમાં શીશ નમાવવાનું મન થાય તેવી યશપુણ્ય પ્રતિભાઓના સ્મૃતિ અને સાંનિધ્ય જીવનઢાંચાને બદલાવી શકે છે એ વાત મારા મનમાં દૃઢ થતી ગઈ છે.
ઇતિહાસની તેજ કિરણાવલી :
સંસ્કૃતિ શિલાલેખઃ
ઇતિહાસ તો એક અરીસો છે. ભૂતકાળમાં બનેલા પ્રસંગોનું આબેહૂબ પ્રતિબિંબ એમાં ઝીલાતું હોય છે. કાળબળથી હંમેશાં ઇતિહાસનું સર્જન થાય છે, તેમાં તે સમયની જરૂરિયાતો પૂરી પાડનાર, દીર્ઘદૃષ્ટિથી ઇતિહાસનાં પરિબળોને પિછાણનાર, માનવસમાજ સમૃદ્ધિના ઉત્કૃષ્ટ સ્તર પર આવે તેવી મહેચ્છા ધરાવનાર વ્યક્તિઓનું જીવન ઘડતર થાય છે. ઇતિહાસ માત્ર રણસંગ્રામ કે યુદ્ધનો જ નથી હોતો, પણ સાહિત્ય, કળા, સ્થાપત્ય અને સર્જનશીલ પ્રવૃત્તિઓની પણ તવારીખ હોય છે. જ્ઞાન-વિજ્ઞાનથી મળેલી સિદ્ધિઓ કે પ્રગતિની હરણફાળ એ યુદ્ધો કરતાં પણ ઉચ્ચ કોટીની માનવીય સાધના કહી શકાય.
ગુજરાતે મુત્સદ્દીઓ, આધ્યાત્મિક ચિંતકો, ધર્મધુરંધરો અને સંસ્કારસ્વામીઓ આપ્યા તેમાં, ઇતિહાસ તો માત્ર પ્રેરણા અને ગૌરવનું કારણ તથા નિમિત્ત બની રહે છે. ઇસ્લામના ઉદય પછી ભારતના ઇતિહાસ સાથે ગુર્જર તવારીખે પણ કરવટ બદલી. ચોથી ફેબ્રુઆરી ઇ.સ. ૧૪૧૩ને શનિવારે સંવત ૧૪૬૯ના ફાગણ શુદ ચોથના દિવસે ખટુ ગંજબક્ષ નામના સરખેજના એક મુસ્લિમ ઓલિયાની પ્રેરણાથી અમહમદશાના હાથે અમદાવાદની ભૂમિનો શિલાન્યાસ થયો. અમદાવાદ ગુજરાતનું પાટનગર બન્યું. તે પછી આ ભૂમિએ ઘણા બધા ચઢાવ-ઉતાર જોયા.
સોલંકીયુગનું એ વખતનું ગુર્જર રાષ્ટ્ર એક સમયે પ્રથમ પંક્તિનું આદર્શ, સુખી અને સમૃદ્ધ રાષ્ટ્ર ગણાતું. પાટણ એનું પ્રમુખ વિદ્યાધામ હતું. પૂર્વવર્તી એવું એ આપણું ગુજરાત અનુપમ,અવનવા અને આગવા સંસ્કારોથી વિભૂષિત હતું. એ સમયમાં મહારાજા કુમારપાળે સાતસો જેટલા લહિયાઓ રાખેલા જેઓ સતત હેમચંદ્રાચાર્યજીના ગ્રંથોની પ્રતિલિપિઓ કર્યા કરતા. ભારતવર્ષના આ મહાન જૈનાચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યજી અંગે પં. સુખલાલજીએ નોંધ્યું છે કે “દક્ષિણના પાંડિત્યરૂપ પૂર્વ-ઉત્તર મીમાંસાનો પહેલવહેલો ગંભીર આભાસ ગુજરાતને હેમચંદ્રાચાર્યજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org