________________
૨૬ જે
બૃહદ્ ગુજરાત
‘દરિયાલાલ'ની યે છે ! ગુજરાતનો સોળ સો કિલોમીટરનો સાગરકિનારો તેની સમૃદ્ધિનું તેમ તેનાં સાહસ-પરાક્રમોનું ઊગમસ્થાન તો બન્યો જ; તે સાથે તે અનેક વિદેશી પ્રજાઓને ભારત પ્રતિ આકર્ષવાનું નિમિત્ત પણ બની રહ્યો. લંકાની લાડીએ ઘોઘાના વરનું આકર્ષણ અનુભવેલું !
આ ગુજરાતના માનસમાં જ વિવેક-બૃહસ્પતિપણું, હિત-અહિત, સારું-નરસું બધું પેલામાં પરખી લે. તેની કોઠાસૂઝ પણ ગજબ. સમજણ દ્વારા સુખી થવાનો કીમિયો એને માનસવગો. ચતુરાઈ એની ચાલમાં, ઉદ્યમ અને કરકસર એના કામમાં, તેના ચારિત્ર્યબળનો આંક સારો એવો ઊંચો. ખડ્રગ ક્યારે ખેંચવું ને ઢાલ ક્યારે આડી ધરવી તેનો પાકો અંદાજ, એ રીતે શિર સાટેય નાકની નોક સાચવવામાં એ માને. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના સિદ્ધહૈમમાં ટાંકેલા દુહાઓ સાંભળીએ કે કચ્છ ને સૌરાષ્ટ્રની કસુંબલ રંગની રસધારાઓ ઝીલીએ કે તુરત જ ગુર્જરવીરનાં પોત અને પાણીનો તાગ મળી જાય છે. મામલો હોય વેપારવણજનો કે લડાઈનો – બેયમાં ગુજરાતી સીધો પાર ઊતરવાનો, કોઠાસૂઝ ને કૌવતના બળે; મહાજનીતિની કાર્યપ્રણાલી ને સંઘ-સખાવતના બળે, ધર્મવીરતા, દયાવીરતા, દાનવીરતા ને ક્ષમાવીરતા - એ ચાર પાયા પર ગુર્જરવીરતા અડોલ અને અડીખમ રહી છે.
| ગુજરાતની ભૂમિ પર અનેક પ્રજાઓ આવીને વસી છે અને આ ભૂમિ પર વસતી પ્રજાએ ઘર્ષણ-સમન્વયની પ્રક્રિયા પણ અનુભવી છે. ગુજરાતની પ્રજાનાં બંધારણમાં અમુક મૂલ્યો વિશેષ જણાઈ આવે છે અને એને લીધે ગુજરાતની સંસ્કૃતિના પટ પર અહિંસા, જીવદયા અને સર્વધર્મ-સમભાવની ભાવનાની ભાત વિશેષ ઊપસી આવી છે. ગુજરાતને આ સંસ્કારોની ગળથુથી ઇ. સ. પૂર્વે ત્રીજા સૈકાથી મળેલી છે; એની પહેલાંથી આ સંસ્કારો મળ્યા હોવાનો સંભવ છે. અત્યારના પ્રજાજીવનમાં એકરસ બની ગયેલી દેખાતી આ કરુણાગામી સુકુમાર ભાવનાઓ સૈકાઓ પહેલાં આ પ્રદેશની વસતીના જીવનમાં ઓતપ્રોત બનીને સ્થિર થઈ ગઈ છે.
અહિંસાની ભાવનાનો એક વિશિષ્ટ અને વ્યવહારુ આવિષ્કાર જ જીવદયા કે કરુણા છે. પોતાના નિમિત્તે ન કોઈને હણવું કે દુઃખ પહોંચાડવું એ અહિંસા; અને બીજાના ભલા ખાતર પોતાની જાત કે સર્વસ્વને ઘસી નાખવામાં આનંદ માનવો તે કરુણા : આમ અહિંસા અને કરુણા એકજ સિક્કાની બે બાજુ બની જાય છે. આથી આ બંને ભાવનાને સાથે જોવી એ જ યોગ્ય લેખાશે. ઇ. સ. પૂર્વે ૨૭૪-૨૩૭ના કાળમાં થયેલા દેવાનાપ્રિય પ્રિયદર્શી મહારાજ અશોકની ચૌદ આજ્ઞાઓ ગિરનારના “શૈલકણ” પર આલેખાયેલી છે.
આ શિલાલેખ એ ગુજરાતના ઇતિહાસની પહેલી ખીંટી છે, તો ગુજરાતનાં સંસ્કારબળોનો પ્રથમ આલેખ છે. આમાં પ્રાણીવધની મનાઈ ઉપરાંત પ્રાણી ધન જાળવવાની દરકાર પણ ઘણી બતાવાઈ છે. એક આજ્ઞામાં લખ્યું છે : ‘જ્યાં જ્યાં મનુષ્યોપયોગી અને પશુઉપયોગી ઔષધો ન હતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળ અને ફળ નહોતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. પશુ અને માણસના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કૂવાઓ ખોદવવામાં આવ્યા.” આમાં માનવીની સાથે મૂગાં પ્રાણીઓની પણ કેટલી બધી ખેવના રખાઈ છે? ગુજરાતે અહિંસા અને જીવદયાની ભાવના જીવનમાં અનુભવેલી, ઉતારેલી અને જીવી જાણેલી છે. પશુઓની માવજત કરવાની અને ખાસ કરીને ખોડાં ઢોરને સાચવવાની પ્રથાનાં મૂળ અહીં જણાય છે. અત્યારની પાંજરાપોળની સંસ્થાનાં મૂળ પણ ગુજરાતમાં જ છે ને !
પણ આ તો બેએક હજાર વર્ષ પહેલાનાં, પ્રમાણમાં નજીકના ઇતિહાસયુગની વાત થઈ. ગુર્જરભૂમિને મળેલ અહિંસા, જીવદયા અને પ્રાણીરક્ષાની ઉત્કટ તેમજ સુભગ ભાવનાના ચીલા તો, ઇતિહાસયુગને વટાવીને ઇતિહાસયુગના છેક આરંભકાળ સુધી અથવા તો પ્રાગૈતિહાસિક સમયના છેલ્લા તબક્કારૂપ મહાભારતના યુદ્ધકાળ સુધી પહોંચે છે. જૈનધર્મના બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા. પોતાનાં લગ્ન નિમિત્તે વધ માટે ભેગાં કરેલાં મૂંગાં પ્રાણીઓનો આર્તનાદ સાંભળીને નેમિકુમારે લગ્નનાં લીલા તોરણેથી પોતાનો રથ પાછો વાળી લઈને ગિરનારની ગહન ગુફાઓ અને ભયંકર અટવીઓમાં તપ, ત્યાગ, સંયમ અને તિતિક્ષાના માર્ગે વૈરાગ્યની સાધના કરવાનું મંજૂર રાખ્યું હતું. શ્રીકૃષ્ણનો પશુપ્રેમ પણ એટલો જ જાણીતો છે.
મહારાજા કુમારપાળની “અમારિ ઘોષણા” એ એક મોટી સાંસ્કૃતિક ઘોષણા છે. આમાં એ અશોક કરતાં એક ડગલું આગળ વધે છે. આ વિશે શ્રી હેમચંદ્રાચાર્ય એમના ‘‘જ્યાશ્રય” કાવ્યમાં નોંધે છે : “એણે કસાઈઓથી થતી તથા શિકારીઓ દ્વારા થતી હિંસા બંધ કરી, દેવતાઓને મળતા બકરાઓનાં બલિ પણ બંધ કર્યા અને માંસાદિના વેચાણથી જેમની આજિવિકા ચાલતી હતી તેમની આજિવિકા બંધ થતાં તેઓને રાજાએ ત્રણ વર્ષનું ધાન્ય આપ્યું.” ગુજરાતની પ્રજામાં દરેક અનાચાર પ્રત્યે સામાન્ય રીતે જોવા મળતી તિરસ્કારવૃત્તિ માટે આપણે આ રાજવીને શ્રી સહજાનંદ સ્વામી સાથે સંભારવો પડે.
આ અહિંસા અને જીવદયાની ભાવના ગુજરાતની પ્રજાના હૃદયમાં સૈકાઓ સુધી ઘૂંટાતી રહેલી છે એટલું જ નહીં, વ્યવહારમાં પણ ઊતરી છે. આ પ્રદેશની એક વિભૂતિ ગાંધીજીએ તો અહિંસાની ભૂમિકા પર જ સ્વાતંત્ર્યનું આંદોલન જગાવ્યું. અહિંસા અને વીરતા
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org