________________
પ્રતિભા દર્શન
સર્ટીફિકેટ કોર્સ કે જેને કારણે વિદ્યાર્થીઓ સ્વાવલંબી બની શકે તેવા કોર્સનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી થાય તેવું ત્રિમાસિક ‘સમુદ્ગાર’ સંસ્થાએ શરૂ (૧૯૯૪) કરેલ છે, આ ઉપરાંત ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરી શરૂ કરેલ છે. જ્ઞાનગોષ્ઠિ, વાંચનશિબિર અને લેખકમિલન જેવી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. ઉષાબહેન પોતાના જીવનમાં બાળકોના શિક્ષણ અને મહિલા ઉત્થાન વિશે સતત કાર્યશીલ રહેવાની ઇચ્છા ધરાવે છે અને તેમની ઇચ્છા પરિપૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
સાહિત્યતા ઉપાસક - સર્વોદય કાર્યકર
મીરાબેન ભટ્ટ
૧૯૩૨માં રેંટિયા બારસના દિવસે કડીમાં જન્મેલા મીરાબહેને કાયદાની સ્નાતકની પદવી મેળવી વકીલાત તથા શિક્ષણ કાર્યની કારકિર્દી એક વર્ષમાં સંકેલી લીધી. તેઓને વિનોબાજી સાથેનો સંપર્ક આંધ્રપ્રદેશમાં થયો. ત્યારથી વિનોબાજીની સાથે ભૂદાન આંદોલનમાં જોડાયા. જ્યાં પત્રકારિત્વનો અનાયાસ અનુભવ થયો.
સર્વોદય કાર્યકર અરુણભાઈ ભટ્ટ સાથે લગ્ન કર્યાં બાદ, ગુજરાત તેમનું કાર્યક્ષેત્ર બન્યું. ગુજરાત સર્વોદય મંડળના મંત્રી-અધ્યક્ષ તરીકે જવાબદારી નીભાવી. ગુજરાતીહિન્દી સર્વોદય પત્રિકા ‘ભૂમિપુત્ર’ તથા ‘મૈત્રી’ ના સંપાદક મંડળમાં રહીને લેખનકાર્ય સાથે જોડાયેલાં રહ્યાં. વિનોબા સાહિત્યનાં સંકલન-સંપાદન, અનુવાદ ઉપરાંત અન્ય મૌલિક સાહિત્ય સર્જન તથા અનુવાદો પણ કર્યા છે.
શ્રી રીચાર્ડ બાકની ‘જોનાથન લિવિંગ્સ્ટન સીંગલ' ના મુક્ત સારાનુવાદ ‘સાગર પંખી' ને ગુજરાતના વાચકોએ વહાલપૂર્વક વધાવ્યું છે. ‘જીવનસંધ્યાનું સ્વાગત' અને ‘સ્વયંસિદ્ધાના આરોહણ'ને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિક પ્રાપ્ત થયાં છે.
તેમના જીવનકાર્યનું પ્રેરણાબળ સર્વોદય વિચારધારા છે. મીરાબહેને અખિલ ભારતીય મહિલા સંમેલન અને આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા નિભાવી હતી. થાઈલેન્ડમાં વિમેન્સ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ સ્ત્રીજાગરણ અને યુવાજાગૃત્તિ
Jain Education International
> ૧૫૦
માટે હંમેશા કાર્યશીલ રહ્યાં છે. ગૌરક્ષા સત્યાગ્રહ અને લોકજાગૃતિ માટે પદયાત્રાઓમાં જોડાયાં છે. તેમની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓના ઋણ સ્વીકારવા બદલ નાગરદાસ દોશી પુરસ્કાર તેમને અર્પણ થયો છે.
મહિલા ઉત્થાનના કર્મશીલ ઇલાબહેન ભટ્ટ
‘સેવા’ ગુજરાતના લોકોને જીભે ચડેલું એક એવું નામ છે કે જે નામ લેતાં જ અનેકવિધ પ્રકારની મહિલા ઉત્થાનની પ્રવૃત્તિનો વ્યાપ આપણી સામે આવી જાય.
‘સેવા’ સાથે જેમનું નામ જોડાયેલું છે, એવાં ઇલાબહેન ભટ્ટ ગુજરાતની આગવી મહિલા પ્રતિભા છે. તેમનો જન્મ ૯, સપ્ટેમ્બર-૧૯૩૩માં અમદાવાદમાં થયો હતો. બાળપણ પણ અમદાવાદમાં વીત્યું, ૧૯૫૨માં અંગ્રેજી સાહિત્યમાં બી. એ. થયાં. કાયદાનો અભ્યાસ કર્યો. ૧૯૫૬માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશભાઈ ભટ્ટ (સુરત) સાથે લગ્ન કર્યાં. આ સમયગાળા દરમ્યાન અમદાવાદના મજૂર મહાજન સંઘ સાથે જોડાયાં અને પોતાની કાયદાકીય સેવા આપવાની શરૂઆત કરી. તેઓએ મજૂર મહાજનની મહિલા પાંખનું સંચાલન સંભાળ્યું. ૧૯૭૨માં તેમણે તેમના સહકાર્યકરો સાથે ‘સેવા’ ની સ્થાપના કરી. ઇલાબેને જે મહિલા સંગઠનની સ્થાપના કરી હતી તેને કાયદેસર સ્વરૂપ મળતાં સમય લાગ્યો.
‘સેવા’એટલે ‘સેલ્ફ એમ્પ્લોયઇડ વુમન્સ એસોસીયેસન' તેના પ્રમુખ અરવિંદ બુચ હતા અને મંત્રીપદે ઇલાબેન ભટ્ટની સેવા લેવામાં આવી. ‘સેવા' એ સ્વાશ્રયી સ્ત્રીઓનું એક મંડળ છે. ‘સેવા’ એક એવું કામદાર મંડળ છે જેની સભ્યસંખ્યા ભારતમાં બીજા કોઈપણ સંગઠન કરતાં વધારે એટલે કે બે લાખથી ઉપર છે. આ સંગઠન ગુજરાત, કેરાલા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ કાર્યરત છે. તેની શાખા - પ્રશાખા દ્વારા શ્રમજીવી મહિલાઓ સંગઠિત થઈ. તેમાંથી ૧૫ કરોડની અસ્કયામત વાળી ‘સેવા બેંક’ પણ ઊભી થઈ છે.
ઇલાબેન ‘સેવા’ને ‘બીજી આઝાદી’ તરીકે ઓળખાવે છે. તેઓના મંતવ્ય મુજબ ‘સેવા’ દ્વારા મહિલાઓને આર્થિક આઝાદી મળી છે. ઇલાબેનના સમગ્ર કાર્યક્ષેત્રમાં સ્થાપિત હિતો દ્વારા વારંવાર પરેશાન અને હેરાનગતી પણ કરવામાં આવતી હતી, પરંતુ ઇલાબેન કદાપિ હિંમત હાર્યાં નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org