________________
પ્રતિભા દર્શન
સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતાં નઈ.” ‘‘જગદંબા તમારી ભેર કરે.’
બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સૂબાની કચેરીમાં આવી પૂગ્યા.
કાગડોળે રાહ જોતા સૂબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી.
“આવો આવો કેસરિયા !'' બોલતાં બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સૂબો મારી ઠેકડી કરે છે કે શું ?
બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસારી સૂબો બોલ્યો : “કેસરિયા મને ઓળખ્યો ?’’
મનમાં થયું સૂબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશુંયે બોલ્યો નહિ.
મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારિફ માંડી સૂબો બોલ્યો : ‘‘વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખવાળ છો. તે દિવસે તે કચેથી વાંસળી છોડીને પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો ? હું રાઘોબા. આજ અમરેલીનો સૂબો છું. બોલ, તારી શું કદર કરું ?''
‘“મારી કદર! સારે મોઢે બોલાવો એટલે હાઉં.'' “અરે, હું શેર, શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફચ ક્યે. માગી લે કેસરિયા ! વડોદરા રાજ્યના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝિલાય છે.’’
અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાનાં બોલ આવ્યા નહિ.
‘‘એલા, ત્રાંબાનું પતરું લાવો.’' કચેરીના કબાટમાંથી ત્રાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેરિયાને યાવચંદ્ર દીવા કરો બક્ષીસ. તિથિ, તારીખ ને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો. કેસરિયાને માન-મરતબા સહિત ગરણી પૂગાડો.
આજે પણ વાલા કેસરિયાના વંશજો ગરણી ગામમાં વસે છે.
Jain Education International
→ 933
કચ્છનો કીર્તિકળશ : શેઠ નરશી નાથા
કચ્છના માંડવી ગામ ઉપર હોંશીલી કન્યાના હૈયા જેવું પરોઢ ઊઘડી રહ્યું હતું. સાગરની છાતી પર આળાટીને ઊઠતી પવનની લહેરે રચાતા તરંગોને તોડવા દરિયાનાં મોજાં ઊછળી રહ્યાં છે.
એવે વખતે ધર્મશાળાના વિશાળ ચોગાનમાં પચ્ચીસો ગાડાં છૂટ્યાં છે. આભલામઢી ઝૂલે અને એવા જ ખોળિયેશિંગડે શોભી રહેલા વઢિયારા બળદો. ગાડાની ઊધ સાથે બાંધેલા બળદો કડબના પૂળા ટટકાવી રહ્યા છે.
નરશી નાથા નામનો શેઠિયો ગાડાની ઓથ લઈને બેઠો બેઠો દાતણનો ડૂચો મોઢાના ગલોફામાં ફેરવી રહ્યો છે. ખંભે સોનાની સળીએ શોભતી કોરવાળો ખેસ પડ્યો છે આઠેય આંગળિયોને વેઢ અસબાબનો ઓપ આપી રહ્યા છે. ગળામાં હેમનો હાર અને કેડો રૂપાનો કંદોરો પડ્યો છે. બેઠી દડીના નરશી શા શેઠની અમી નજર પામવા મેતા-મુનીમો, નોકરચાકરો હડિયાપાટી કરી રહ્યા છે. શેઠનું સામૈયું કરવા આવેલા હેતુમિત્રો પણ શેઠની નજરમાં વસી જવા નરશી શાની ખાતર– બરદાસ્ત કરી રહ્યા છે. મુંબઈથી વ્હાણે ચઢીને વતનના ગામ જવા નીકળેલા નરશી શા માંડવી બંદરન ઊતરીને ધરમશાળામાં દાતણપાણી અને શીરામણ કરવા ઘડીક રોકાણા છે.
આ નરશી શા મૂળ તો નળિયા ગામના દશાઓશવાળ નાતના નાથા ભારમલનો પુત્ર. વાડી ખેતરનાં રખોપાં કરી બાળપણમાં બાપને ટેકો આપનારો કરમી પુત્ર. સોળ વરસની ઉંમરે આંબતાં તો નરશીની આંખ ઊઘડી ગઈ. વાડી ખેતરનાં રખોપાં કર્યો પેટનો ખાડો પૂરાશે પણ દળદર નહિ ફીટે. એની મીટ મુંબઈ ભણી મંડાણી. બાપને સમજાવી નરશી જખૌના બંદરેથી વહાણમાં બેસી મુંબઈને મારગે પડ્યો. મુંબઈ તે દિ' હજી તો ઊઘડતું બંદર. વેપારધંધાની શરૂઆત લેખાઈ. ગાંઠ્યમાં ગરથ તો મળે નહિ. સોળ વરસના ચપળ છોકરાએ વગર મૂડીએ ધંધો શોધી કાઢવા બુદ્ધિને કામે લગાડી. તે વખતે મુંબઈમાં પાણીની પારાવાર તંગી. વીસ-પચ્ચીસ કૂવા. પણ વસ્તી વધવા માંડી એમ કૂવાઓ પણ ડૂકવા લાગ્યા. તળાવો બંધાવા માંડ્યાં. ગોવાળિયા તળાવ, મુંમાદેવીનું તળાવ, ધોબી તળાવ અને ગીલ્ડર તળાવનાં પાણી ઉપર લોકોની ત્રાપટ બોલાવા લાગી. લોકો રાત આખી પાણી તાણે. દિવસે ધંધારોજગાર કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org