Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 284
________________ અતિભીષણ પંચમકાળમાં ચ મોક્ષમાર્ગની સુંદર આરાધના કરનાર મારા શ્રમણશ્રમણીઓ ! તમારી માનસભૂમિ ઉપર મારા આ પ્રેરણાશબ્દો કોતરી રાખશો કે મેં સ્થાપેલા જિનશાસન પ્રત્યેક પદાર્થોમાં અનેકાન્તવાદમય છે. દ્વાદશાંગીના પ્રત્યેક વાક્યો સ્યાદવાદગર્ભિત છે. કોઈને કોઈ અપેક્ષાઓથી એ વાક્યો લખાયેલા છે. જો એ વાક્યો પાછળની અપેક્ષાઓ નહિ સમજો તો દ્વાદશાંગીના અનેક વાક્યો તમને પરસ્પર વિરોધી લાગશે અને તમે મને, મારા ગણધરોને આવી વિરોધી વાતો કરનારા માની મોટો અન્યાય કરી બેસશો. આત્મા નિત્ય છે, કદિ ઉત્પન થતો નથી કે નાશ પામતો નથી” એમ કહેનાર હું જ છું તો “આત્મા અનિત્ય છે, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે” એમ કહેનાર પણ હું જ છું. “આત્મા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે અને પ્રત્યેક ક્ષણે કર્મ બાંધે છે. ?" એમ કહેનાર હું જ છું તો “આત્માએ ત્રણેય કાળમાં ક્યારેય કર્મ બાંધ્યા નથી, બાંધતો નથી કે 'બાંધવાનો ય નથી?” એમ કહેનાર પણ હું જ છું. આવી તો અનેકાનેક વિરોધી જેવી લાગતી બાબતો મારી દ્વાદશાંગીમાં તમને દેખાશે. જો એ શબ્દો પાછળની મારી અપેક્ષા, મારા નયોનો તમને ખ્યાલ હશે તો તમે પોકારી ઉઠશો કે “આ બધી વાતો અક્ષરશ: સાચી છે. એમાં લેશ પણ વિરોધ નથી.” પણ જો તમે એ નય, એ અપેક્ષા નહિ સમજો, તો આવા વિરોધો ઉભા કરી ઘણાનું અહિત કરનારા બની રહેશો. . જુઓ - મારી દ્વાદશાંગીના જ તે તે વાક્યોને એકાંતે પકડી લઈને બૌધ્ધદર્શન, સાંખ્યદર્શન વગેરે દર્શનો ઉભા થયા છે અને તમે સૌ જાણો છો કે આ એકાંતવાદને લીધે જ તેઓ દ્વાદશાંગીમાંથી જ જન્મ્યા હોવા છતાં મિથ્યાદર્શન કહેવાયા, પારમાર્થિક મોક્ષમાર્ગથી વિમુખ બનનારા થયા. | તમે તો સૌ સમજુ છો, મારા પ્રત્યે અતિશય બહુમાનવાળા છો. મારા પ્રત્યેક વચનોને નિઃશંક બનીને સ્વીકારનારા છો. માટે જ કહું છું કે તમે સ્યાદવાદનો સમ્યગ બોધ પામો. એ માટે ઉપરછલ્લો નહિ, પણ ઊંડાણપૂર્વકનો ઠોસ શાસ્ત્રાભ્યાસ કરો. ગીતાર્થ શ્રમણો પાસે 45 આગમો અને બીજા ય અનેક ઉત્તમ ગ્રન્થોનો સખત પુરષાર્થ સાથે અભ્યાસ કરો. ભલે એમાં 10 - 15 - 20 વર્ષ લાગે. જો આ રીતે તમે સાચા અર્થમાં અનેકાન્તજ્ઞાતા બનશો, તો સ્વ અને પરનું ખૂબ જ ઝડપી આત્મહિત સાધનારા બની શકશો. લિ. શ્રમણ ભગવાન મહાવીર શું આપણે સૌ પ્રભુની પ્રેરણાને સાકાર કરવા, સાચા ગીતાર્થ શ્રમણ-શ્રમણી બનવા સખત પ્રયત્ન કરશું ? બહિર્મુખતા છોડી કમસે કમ 15-20 વર્ષ માટે શાસ્ત્રસમુદ્રમાં ડુબી જનારા બનશું ?

Loading...

Page Navigation
1 ... 282 283 284