________________
૦૯:
નંદ મણિયાર !
રાજગૃહીમાં પધારેલા પ્રભુ વીરનાં વચનો સાંભળવા તમે સમવસરણમાં પહોંચી તો ગયા છો પરંતુ એ તારકની દેશના સાંભળીને તમે અત્યંત દુર્લભ એવા સમ્યક્દર્શનના ગુણને સ્પર્શી પણ ગયા છો. જીવ-અજીવાદિ તત્ત્વોની જાણકારી તમે મેળવી લીધી અને તમારા જીવનને તમે શુભ આચારોમાં ઢાળવાનું શરૂ પણ કરી દીધું છે.
પણ,
ગટરની સોબતે ગંગાનું નિર્મળ પણ જળ જેમ પોતાની નિર્મળતા ગુમાવી બેસે છે, કાગડાની સોબતે વિવેકી એવો પણ હંસ જેમ પોતાની લોકપ્રિયતાને ગુમાવી બેસે છે, એક જ સડેલી કેરીની સોબતે બાકીની સારી પણ કેરીઓ જેમ પોતાનું સારાપણું ગુમાવી બેસે છે તેમ બન્યું છે એવું કે મિથ્યાત્વી વ્યક્તિના ગાઢ સહવાસમાં અને પરિચયમાં આવેલા તમે તમારું સમ્યકત્વરત્ન ગુમાવી બેઠા છો. અંતઃકરણ તમારું મિથ્યાત્વથી વાસિત બની ગયું છે.
અલબત્ત,
આમ છતાં જીવનમાં તમે ધર્મના બાહ્ય આચારો પકડી જ રાખ્યા છે. અવારનવાર તપશ્ચર્યા કરતા રહેવી, પૌષધ વગેરે વ્રતોમાં ઝુકાવી દેવું, સામાયિકાદિ કરતા રહેવું આ બધું તમે ચાલુ જ રાખ્યું છે.
એક દિવસ,
ગ્રીષ્મની સખત ગરમીમાં તમે અમનો તપ તો ઝુકાવ્યો જ છે પરંતુ એ તપશ્ચર્યા સાથે પૌષધવ્રત પણ તમે અંગીકાર કર્યું છે. અને એમાં રાતના સમયે તમને લાગી છે પાણીની સખત તરસ. અકળામણનો તમને પાર નથી. ધર્મક્રિયામાં તમારું મન લાગતું નથી. નિદ્રા તમારી વેરણ બની ગઈ છે. અને આ સ્થિતિમાં તમારું મન ચડી ગયું છે દુર્ગાનમાં.
ઘરમાં બેઠા બેઠા લાગી ગયેલ પાણીની તરસ જો મને આટલી બધી અકળાવી રહી છે તો જે મુસાફરો ધૂમતાપમાં રસ્તા પર ફરી રહ્યા હશે એમની હાલત તો પાણીના અભાવમાં કેવી કફોડી બની જતી હશે?
ધન્ય છે એ મહાપુરુષોને કે જેઓ વાવ-કૂવા ખોદાવીને પોતાનું નામ અમર કરીને સદ્ગતિમાં પધારી ગયા છે. એમનાં માતા-પિતાને પણ ધન્ય છે અને જીવતર પણ એમનું સફળ બની ગયું છે.
પૌષધ પારીને હું પણ પહોંચી જાઉં મહારાજા શ્રેણિક પાસે અને એમની સંમતિ લઈને હું પણ રાજગૃહીમાં કોક સરસ જગાએ બનાવી દઉં મસ્ત વાવડી અને કરી દઉં મારું નામ પણ અમર.'
નંદ મણિયાર,
આ વિચારો સાથે તમે પસાર કર્યો છે પૌષધનો સમય, અને એ પૂર્ણ થતાં જ પૌષધ પારીને તમે પહોંચ્યા છો રાજા શ્રેણિકની પાસે. નજરાણું ધરીને તમે એમની પાસે માગી છે વાવ નિર્માણની અનુમતિ અને અનુમતિ મળતાંની સાથે જ તમે સરસ જગા પસંદ કરીને વાવનિર્માણનું શરૂ કરી દીધું છે કાર્ય.
ચાર દિશામાં ચાર વાવડી. એક એક વાવડીમાં ચાર ચાર શિલા. એક એક શિલા પર અલગ અલગ વ્યવસ્થા.
૯૪