________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાવારસાની રખેવાળી
પ્રિયબાળા શાહ* આપણા પુરાતત્ત્વીય અવશેષો ક્યાંક ક્યાંક વેરણછેરણ પડ્યા હોય છે. સામાન્ય પ્રજાને તે અંગેની સમજદારી બહુ ઓછી હોય છે. સરસ મજાની પથ્થરમાં કંડારેલી મૂર્તિ રસ્તાની એક બાજુએ પડેલી હતી. તેનો જો અભ્યાસ કરવામાં આવે તો તે મૂર્તિનો સમય, તેમાંની સ્ત્રી-આકૃતિનો પહેરવેશ, તેનો ઉપયોગ અર્થાત તે અંગેના રીતરિવાજ, સામાજિક પરિસ્થિતિ અથવા તેનો ધાર્મિક ઇતિહાસ વગેરેનો અભ્યાસ થઈ શકે. આ
સ્થળેથી થોડા દિવસ પછી પસાર થતાં ખ્યાલ આવ્યો કે અહીં રસ્તો બનાવવા માટે ખોદકામ કરાતું હતું અને તે ખોદકામમાં આ મૂર્તિને દાટી દેવામાં આવી. આવો જ બીજો દાખલો આબુ પહાડની તળેટીમાં આવેલું દેવાંગણ. તેમાં અનેક મૂર્તિઓ વેરણછેરણ પડી હતી. તેમાંની સુંદર મૂર્તિ તે ત્રિમૂર્તિની. તે આરસની હતી. કોઈ એક પૈસે ટકે સુખી અને શોખીન વ્યક્તિને તે લઈ જવાની ઇચ્છા થઈ. કેટલાક મજૂરોને તે માટે તેનું મહેનતાણું આપવામાં આવ્યું. પરંતુ ગામલોકોને આ બાબતની ખબર પડી એટલે તેમણે તે મૂર્તિને લઈ જતાં મજૂરોની સાથે ઝઘડો કરીને મૂર્તિને તે જ જગાએ પાછી મુકાવી. આવા તો કાંઈક શિલ્પાકૃતિઓના નમૂનાઓ સામાજિક વારસાને સમજવા માટે ઉપયોગી થઈ પડે છે. આવા તો કૈક અવશેષો ક્યાંક અને કેવી રીતે ઊપડી જાય છે તે આપણને આપણા ભારત કે ગુજરાતના ઇતિહાસને સમજવા માટે મુશ્કેલી ઊભી કરે છે. આ અસ્તવ્યસ્ત પડેલા પુરાતત્ત્વીય કે સાહિત્યકીય અવશેષોનો વ્યવસ્થિત અભ્યાસ જરૂરી બને છે. આપણા પ્રાચીન અવશેષો તે જ આપણો કલાવારસો. આ કલાવારસો આપણને આપણા દેશની કલાસમૃદ્ધિનો ખ્યાલ આપે છે. સાથે સાથે તે વખતનો પરિવેશ, વગેરેથી માંડીને આપણી કલાસમૃદ્ધિ તેમજ બીજી અનેક સમૃદ્ધિનો પરિચય કરાવે છે.
આજ સુધી આપણા કલાવારસા પ્રત્યે બેદરકારી રાખવામાં આવી છે, પણ હવે જાગૃતિ આવી છે. આપણા દેશની કલાનાં સ્થાપત્ય, શિલ્પ આદિ મહત્ત્વની કારીગરીના કેટલાયે નમૂનાઓ ઠેરઠેર વિખરાયેલા પડ્યા છે. તેને એકત્ર કરીને પ્રાચીન કલાનું સંગ્રહાલય બનાવાય તો તે પ્રાચીન કલાના અભ્યાસ માટે અનુકૂળ થાય. આવું સંગ્રહસ્થાન બને તો કલાના વર્તમાન ઉપાસકોને તેમજ ભવિષ્યની પ્રજાને તેમના કલાવારસાની જાણકારી ઉપલબ્ધ થાય તેમજ ઇતિહાસના અભ્યાસીઓ પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે.
સાંચી કે અમરાવતી સ્તૂપના પથ્થરોમાં કંડારેલી બૌદ્ધ કથાઓ આપણને તે તે કાળના સંસ્કારનું ચિત્ર પ્રત્યક્ષ કરી આપે છે. તેવી જ રીતે ઇલોરા કે એલિફન્ટાની ગુફાઓ તે કાળના શૈવધર્મનું સ્વરૂપ, તે કાળની સ્થાપત્ય તથા શિલ્પકલાનું હૃદયંગમ સ્વરૂપ, ધર્મપ્રસાર માટેની ઉત્કટ વાસના વગેરે તે કાળની સમાજની વિવિધ વાતોને આપણી નજર સમક્ષ તાદશ કરી આપે છે. ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર સૂર્યપૂજાના પ્રચારનો કે રુદ્રમહાલય અથવા સોમનાથ મંદિરના ભગ્નાવશેષો શિવપૂજાના પ્રચારનો જે ખ્યાલ આપી શકે છે તે બીજી કોઈ રીતે મળવાનો સંભવ નથી. આ તો સંપૂર્ણ શિલ્પમય પુસ્તક નજર આગળ દેખાય છે. કદાચ, પુસ્તકો પણ આવો તાદશ ચિતાર દર્શાવી શકે નહીં.
મંદિરો, કિલ્લાઓ, મસ્જિદો વગેરે સ્થાપત્યનો તે તે સમયનો ઇતિહાસ વગર મુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાંક સંગ્રહસ્થાનોમાં બૌદ્ધમૂર્તિઓના અભ્યાસ માટે હજારો નમૂનાઓ સંગૃહીત થયેલા છે અને તેનો વિશેષ અભ્યાસ પણ કરી શકાય છે. તેને માટે કોઈ પ્રશ્ન રહેતો નથી. ભારત દેશમાં આવા કેટલાયે શિલ્પવિષયક નમૂનાઓ વેરણછેરણ પડ્યા છે તેના વિશે કાંઈ વિચારાતું નથી અથવા તે વિચારવા માટે પૂરતો અવકાશ હોતો નથી. આવા તો કૈંક નમૂનાઓ ગુજરાત રાજયમાં આજે પણ મોજૂદ છે તે દાણચોરો મોં-માંગ્યા દામ લઈને શ્રીમંતોને પધરાવી દે છે. તેમને માટે તો તેમના બેઠક રૂમના શણગાર સિવાય તેનું બીજું કોઈ જ મહત્ત્વ હોતું નથી. * નિવૃત્ત આચાર્યા, માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજ, રાજકોટ
કલાવારસાની રખેવાળી [ ૬૭
For Private and Personal Use Only