________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘લૂંટારા’, ‘બહારવટીયા’ અને ‘ગુનેગારોનાં ટોળાં' તરીકે વર્ણવવામાં આવ્યાં છે. તેથી માત્ર આવા એકતરફી અહેવાલોને આધારે જ ગરીબોની ઊર્મિઓ, સ્પંદનો અને અનુભૂતિઓનો અણસાર પણ કેવી રીતે આવી શકે ? આવાં કારણોસર લોકગીતો, ભવાઈ, ઉખાણાં અને કહેવતો, ગામડાના મેળા અને બજારો તેમજ ‘હલકા’ ગણાયેલા ગરીબો અને પિડિતોમાં બોલાતી ભાષા અને તેમની જીવનશૈલી જેવી મૌખિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો તલસ્પર્શી અભ્યાસ તો ખૂબ મહત્ત્વનો બની રહે છે. આ અંગેનું ઐતિહાસિક સાહિત્ય તો ઉપલબ્ધ છે જ, પણ તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થયો નથી. વળી, આ બધું વર્ગ, વર્ણ, જ્ઞાતિ, સત્તા અને સંપત્તિના સંદર્ભમાં સમજવું પડે. સાહિત્ય તેમજ સામાજિકશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થતી સૂઝોનો ઉપયોગ કર્યા વગર ઇતિહાસકાર માત્ર તેના ‘ડેટા’ને આધારે જ આગળ વધી શકે નહીં.
શું કરવા જેવું છે તે અંગે કેટલાંક ઉદાહરણો અત્રે આપીશું. આપણે સૌ એટલું તો જાણીયે છીએ કે વડોદરા રાજયના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક પ્રગતિશીલ શાસક હતા, અને તેમણે દલિતો, આદિવાસીઓ અને સ્રીઓની સ્થિતિ સુધારવા માટે અનેક સ્તુત્ય પ્રયાસો કર્યા હતા. તે મુજબ તેમણે પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના વડોદરાના શિક્ષણ અધિકારીને આદિવાસીઓનો સર્વાંગી અભ્યાસ કરવાનો હુકમ કર્યો. તેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ વચ્ચે દોઢ વર્ષ રહ્યા અને તેમણે આદિવાસીઓનાં લોકગીતો, વાર્તાઓ, રમતગમતો, કહેવતો, ઉખાણાં વગેરેને અક્ષરશઃ કાગળમાં ઉતારી લીધાં. ચોધરી, દૂબળા, વસાવા અને ગામીતોની જીવનશૈલી, તેમની પ્રકૃતિ અને સમાજ પરત્વેની ચેતના, તેમનાં નૃત્યો તેમજ પીઠાવાળા પારસીઓ, પાટીદાર અને અનાવિલ જેવા જમીનદારો તથા વાણિયા જેવા શરાફો સાથેના સંબંધોને પણ તેમણે નોંધી લીધા. તેના પરિણામ સ્વરૂપ વડોદરા રાજ્યે ૧૯૦૧ માં ‘નવસારી પ્રાંતની કાળીપરજ' નામનો ખાસ્સો મોટો ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યારબાદ નાથજી મહેશ્વર પાઠક નામના શિક્ષકે ગુજરાત અને રાજસ્થાનની સરહદમાં આવેલા ડુંગરપુર અને વાંસવાડાના ભીલોનાં લોકગીતોનો સંગ્રહ કરીને ૧૯૧૫ માં એક ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ સંપાદકે ભીલોને વિશ્વાસમાં લઈને તેમની પાસે લોકગીતો ગવડાવ્યાં હતાં અને તેમની જ ભાષામાં અક્ષરશઃ કાગળમાં કંડારી લીધાં હતાં. લગભગ આ જ અરસામાં રણજિતરામ વાવાભાઈ મહેતાએ ગુજરાતી લોકગીતોનો સંગ્રહ કર્યો હતો. ત્યાર બાદ તો વ્યક્તિગત રીતે અને ગુજરાત વિદ્યાસભા, ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ અને ગુજરાત રિસર્ચ સોસાયટી જેવી સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થયું છે. ‘સરકારી ચાર્યા ભોરાં, હાદ દે મા જુવાન્યા’, ‘મારી જાન તાડીની તરસી છે', ‘બાણો ગાંડીને બાઉડા દુખ્યાં છાતીએ આવ્યા, ચુનીલાલ મોજણીવાળા', અને ‘ગુનો પૂછીને પછી મારજે સીપઇડા’ જેવાં ગાંધીયુગ પહેલાંનાં લોકગીતો તથા ‘ડૂબિયાં, ડૂબિયાં, ડૂબિયાં આપણે' તથા ‘આપણી ત્રણ જણાની જોડી, એને કોઈ શકે ન તોડી, શાહૂકાર, જમાદાર, દારૂ ગાળનાર' જેવાં ગાંધીયુગનાં લોકગીતો મુખ્યત્વે આદિવાસીઓ અને દલિતો જેવા કચડાયેલા વર્ગોની પોતાની ઊર્મિઓ અને સંવેદનાઓને વાચા આપે છે. શબ્દ, ભાષા, શૈલી અને લાલિત્યની બાબતમાં આ લોકગીતો અને કાવ્યો ઉમાશંકર અને સુંદરમ્ જેવા આપણા પ્રતિષ્ઠિત અને સંવેદનશીલ કવિઓનાં ગરીબોને લગતાં કાવ્યો કરતાં તદ્દન ભિન્ન રીતે તરી આવે છે. સર્વહારાઓની જીવનશૈલી અને તેમની ઊર્મિઓને વ્યક્ત કરતાં લોકગીતોની સંખ્યા ઘણી મોટી છે. તેથી અત્રે ઉદાહરણ તરીકે ઐતિહાસિક મહત્ત્વનું એક લોકગીત રજૂ કરીશું. ‘છપ્પનિયા’ (ઈ.સ. ૧૮૯૯૧૯૦૧) તરીકે ઓળખાતા દુકાળ વખતે અને ત્યારબાદ પણ આ લોકગીત ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ ગાતા હતા. અને જ્યારે અમે એપ્રિલ, ૨૦૦૪ માં તેમની મુલાકાત લીધી ત્યારે પણ ભીલ સ્ત્રીપુરુષોએ આ ગીત રાગડા તાણીને ગાઈ સંભળાવ્યું હતું. તેમની ‘ઓરલ ટ્રેડીશન’ અને ‘ક્લેક્ટીવ પોપ્યુલર મેમરી' કેવી સતેજ છે તેનો ખ્યાલ આ પરથી આવી શકશે. ખરેખર બનેલો પ્રસંગ એ છે કે દુકાળ દરમિયાન
પથિક : જાન્યુઆરી - જૂન, ૨૦૦૫ ૩૨૫
For Private and Personal Use Only