________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇતિહાસ-સંસ્કૃતિ અને પુરાતત્ત્વના નામાંકિત વિદ્વાનો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા
સ્વ. કનૈયાલાલ ભાઈશંકર દવે
પ્રાચીન પ્રસિદ્ધ નગરી પાટણ તાલુકાના રણુંજ ગામનાં મોઢ બ્રાહ્મણ કુટુંબમાં તા. ૨૫-૧-૧૯૦૭માં કનૈયાલાલનો જન્મ થયો હતો. છ ધોરણ (આજના ૧૦ ધો.) સુધીનો શાળાકીય અભ્યાસ. સંસ્કૃત પરીક્ષાઓ ઉપરાંત વડોદરાની ‘સ્માર્ત યાજ્ઞિક’ પદવી તથા શ્રી શંકરાચાર્ય (દ્વારકા) તરફથી ‘કર્મ-કાંડવિશારદ'ની પદવી પ્રાપ્ત કરેલી. તેઓ કર્મઠ વિદ્વાન બ્રાહ્મણ હતા. કર્મકાંડ અને પુરાણોના ઊંડા અભ્યાસી હતા. કર્મકાંડ તથા પ્રતિષ્ઠાનાં કાર્ય કરાવવા એમને અનેક સ્થળોએ જવાનું થતું તે સમયે દેવ પ્રતિમાઓનું સર્વાંગી નિરીક્ષણ કરવાની તક મળતી. યાજ્ઞિકીના વ્યવસાયમાં નિવૃત્તિ ગાળો મોટો હોય છે. તેઓએ તેનો લાભ લઇ પ્રતિમાવિધાન માટેના સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને મરાઠીમાં લખાયેલા પ્રાપ્ત ગ્રંથોનું અધ્યયન કર્યું.
ગુજરાત વિદ્યાસભાના વિદેહ સહાયક મંત્રી સ્વ. શ્રી હીરાલાલ પારેખની પ્રેરણા મળતાં ‘‘ગુજરાતનું મૂર્તિવિધાન’ નામનો ગ્રંથ લખવાની શરૂઆત કરી. આ ગ્રંથની રચના પાછળ તેઓએ ઘણાં જ પડકારો અને મુશ્કેલીઓ વેઠીને દસ વર્ષના સખત પરિશ્રમ પછી ગ્રંથ લેખનનું કાર્ય પૂર્ણ કર્યું. આ કાર્ય માટે અને અભ્યાસવૃત્તિ વધારવા માટે સ્વ. રામલાલ મોદી, સ્વ. પુણ્યવિજયજી મહારાજ, સ્વ. મંજુલાલ મજુમદાર, પ્રા. કે.કા. શાસ્ત્રી, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. ભોગીલાલ સાંડેસરાનો મોટો ફાળો હોવાનું એમણે નોંધ્યું છે. આ ઉપરાંત એમની અન્ય કૃતિઓમાં સિદ્ધસર સહસ્રલિંગનો ઇતિહાસ (૧૯૩૫), વડનગર (૧૯૩૭), સરસ્વતી પુરાણ (સંપા. અનુ. ૧૯૪૦), અંબિકા, કોટેશ્વર અને કુંભારિયાં (૧૯૬૩) વગેરે ગણાવી શકાય.
આ સર્વમાં ‘ગુજરાતનું મૂર્તિવિધાન' શિરમોર છે. જેમાં ગુજરાતમાં રહેલી પ્રાચીન મૂર્તિઓમાં વ્યક્ત થતાં ભારતીય મૂર્તિવિધાનનાં સામાન્ય લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંદુ, બૌદ્ધ, જૈન મૂર્તિઓના જે પ્રાચીન નમૂનાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે તેમાં રહેલાં ભિન્ન ભિન્ન ઉપાસ્ય સ્વરૂપોનાં શાસ્ત્રોક્ત લક્ષણોને આધારે પ્રાપ્ત મૂર્તિ-શિલ્પોનું નિરૂપણ કરેલું છે. આમાં શિલ્પ ગ્રંથોમાં નિરૂપેલાં મૂર્તિ સ્વરૂપો અને ઉપલબ્ધ મૂર્તિ શિલ્પો વચ્ચે જણાતા સંબંધોનું અનુસંધાન કર્યું છે. આ માટે ગુજરાતમાં ઠેકઠેકાણે મંદિરો, તીર્થસ્થાનો, મ્યુઝિયમો વગેરે સ્થળોએ જળવાયેલા વિવિધ શિલ્પોની માહિતી મેળવવી અને એનાં અંગ-ઉપાંગોનું અવલોકન કરી એનું વિગતવાર નિરૂપણ કરવાનું કામ અખૂટ ધીરજ અને અથાગ શ્રમ માગી લે છે.
આ ગ્રંથ ચાર ખંડમાં વહેંચાયેલો છે. ખંડ ૧ : ભારતીય મૂર્તિશાસ્ત્રને લગતાં કેટલાક સામાન્ય વિષયોનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ભારતીય મૂર્તિ વિધાનની કલાશૈલી, શાસ્ત્રગ્રંથો, સગુણ સ્વરૂપનાં પ્રતીકો, પ્રતિમા વિધાન, પરિભાષા, તાલમાન, અંગવિન્યાસ, અલંકારો, આયુધો, ઉપકરણો, મુદ્રાઓ આસનો વગેરેની માહિતી આપી છે જે મૂર્તિવિધાનનાં સામાન્ય લક્ષણો સમજવા ઘણી જ ઉપયોગી થાય તેમ છે.
ખંડ ૨ : હિંદુ મૂર્તિઓ અંગેનો સહુથી મોટો ખંડ છે. જેમાં હિંદુ દેવ-દેવીઓના વિવિધ સ્વરૂપોના મૂર્તિવિધાનનું નિરૂપણ કરેલું છે. ગણપતિ, વિષ્ણુ, શિવ, સંયુક્ત સ્વરૂપો તથા દેવીઓમાં નવદુર્ગા સ્વરૂપમાં અંબા, લક્ષ્મી, કાલી, ભદ્રકાલી, ઉપરાંત સપ્તમાતૃકાઓ, શીતલા, કુલદેવી અને ગોત્ર દેવીની પ્રતિમાઓનું વિગતે વર્ણન કરેલ છે. સાથે પ્રકીર્ણ પ્રતિમાઓમાં સૂર્ય, નવગ્રહ, દિક્પાલો વગેરેનો સમાવેશ કરેલ છે.
ખંડ ૩ : જૈન મૂર્તિઓ અંગેનો છે. જેમાં તીર્થંકરો, યક્ષો, શાસનદેવીઓ અને લાંછનોની માહિતી આપેલી છે. જે જૈનમૂર્તિઓના પરિચય માટે પાયા રૂપ છે.
પથિક ♦ ત્રૈમાસિક
- જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૩
For Private and Personal Use Only