________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. સરકારી સેવાના ભાગરૂપે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંના સંગ્રહસ્થાનને પ્રથમ હરોળની લોકસંસ્થા બનાવવા પ્રયત્નશીલ રહેલા. પ્રભાસપાટણ મ્યુઝિયમના નવા મકાન માટે જમીન સંપાદનમાં એમના પ્રયત્નો સરાહનીય હતા. અહીંના સંગ્રહસ્થાન વિષયક એમના બે નિબંધો 'પ્રભાસના કિલ્લા પર મહારાજા રાયસિંહ રાઠોડનું આધિપત્ય’ અને ‘પ્રભાસપાટણ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલ કેટલાક નવા શિલ્પખંડો’ ઉલ્લેખનીય છે.
જૂનાગઢ મ્યુઝીયમમાં નૂતન પ્રકારે ગોઠવણીનું કાર્ય અને દરબાર હોલ મ્યુઝિયમમાં સુધારા-વધારાનું કાર્ય કરાવ્યું. ‘જૂનાગઢ મ્યુઝીયમની નોંધણી પદ્ધતિનો અભ્યાસ' તથા ‘જૂનાગઢ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલું જલકન્યાનું શિલ્પ’ એમના નોંધનીય લેખો છે. ઇન્ટેક (જૂનાગઢ ચેપ્ટર)ના સહસંયોજક તરીકે જૂનાગઢને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા અને દૂરદર્શન પર ‘સુરભિ' દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચમકાવવા તેઓ પણ એક ભાગીદાર હતા, જેના પરિણામે જૂનાગઢમાં “પિરીયડ મ્યુઝિયમ સ્થાપવાની યોજનાને સરકારી મંજૂરી મળી.
ભૂજસ્થિત કચ્છ સંગ્રહાલયમાં એમના કાર્યકાળ દરમ્યાન સુધારા-વધારા, તેના સંગ્રહમાં નવતર ઉમેરા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા મ્યુઝિયમને લોકાભિમુખ કરેલું. હંગામી પ્રદર્શનો યોજી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરેલા. એમનો પ્રલંબ લેખ “કચ્છ મ્યુઝિયમમાં સંગૃહીત શિલ્પ સ્થાપત્ય' આજે પણ વાચનીય છે.
એક અચ્છા અભ્યાસુ તરીકે લખાયેલા એમના વિવિધ શોધલેખો “અતીતની અટારીએથી' પુસ્તક '(૧૯૯૨)માં સંપાદિત થયા છે. તેના આમુખમાં કે.કા.શાસ્ત્રી નોંધે છે તેમ “સંગ્રહાલય અધિકારી તરીકે જયાં જયાં રહેવાનું બન્યું ત્યાં આસપાસના વિસ્તારોના પ્રત્યક્ષ દર્શન પછીનો નિચોડ આ સંગ્રહમાં મૂર્ત થયો છે. આ લેખો એમની સૂકમ દૃષ્ટિના પરિચાયક હોવા સાથે સંગ્રહાલયોની વિકાસયાત્રાના દ્યોતક છે. ઇતિહાસની અટારીએ ક્ષિતિજ તરફ માત્ર નજર ન કરતાં જાત-અભ્યાસથી મેળવેલું આ ભાથું વિદ્યાર્થીઓ અને સહધર્મીઓ માટે જ્ઞાનવર્ધક છે.”
આ પુસ્તકમાં ‘વૈષ્ણવધર્મની પ્રાચીનતા તથા વિષ્ણુનું મૂર્તિવિધાન”, “સૌરાષ્ટ્રમાં શાક્તો અને શક્તિ ઉપાસના, “સોમનાથનું શિલ્યાંકન', “ગુજરાતમાં સૂર્યનું મૂર્તિવિધાન’ વગેરે લેખોમાં એમની રજૂઆતનું ઊંડાણ વર્તાય છે. એમની જોડે પરોક્ષ રીતે સંકળાયેલો એક બીજો પ્રસંગ ટાંકવા પણ મારું મન અતીતની સ્મૃતિમાં સરી પડે છે. સ્થાનિક અખબારમાં મારા સંશોધન લેખ બદલ પુષ્પકાન્તભાઈ તરફથી ઉક્ત પુસ્તક મને સપ્રેમ ભેટ મોકલાયું હતું !
૨૮ વર્ષ ક્યુરેટર તરીકેની લાંબી સેવા બદલ ૧૯૯૨માં એમને સંગ્રહાલય ખાતાના વડા (નિયામક) તરીકે બઢતી મળી અને ૧૯૯૮માં નિવૃત્તિ લગી આ જવાબદારી વહન કરી. એમનું નિધન થતાં ગુજરાત પોતાનો એક વિદ્વજન ગુમાવ્યો છે. સૌરાષ્ટ્રના સંશોધક અને અભ્યાસુને ભાવાંજલિ હો !
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૧
For Private and Personal Use Only