________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્નિષ્ઠ શિક્ષક, ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી સ્વ.શ્રી મણિભાઈ વોરા
વિદ્યાર્થીપ્રિય સન્નિષ્ઠ શિક્ષક, ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી શ્રી મણિભાઈ વોરાનું ૯૧ વર્ષની વયે તા. ૫મી ઑકટોબરના રોજ પોરબંદર મુકામે દેહાવસાન થયું. તેઓ પોરબંદરની ઇતિહાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના હાર્દરૂપ હતા. તેમણે પુરાતત્ત્વ સંશોધન મંડળ, પોરબંદરની સ્થાપના કરી હતી અને મધુસૂદન ઢાંકી, નરોત્તમ પલાણ, મોહનપુરી ઇત્યાદિ મિત્રોને માર્ગદર્શન આપી ઇતિહાસ-પુરાતત્ત્વનો રંગ લગાડ્યો હતો. તેમણે ઘૂમલી, જેઠવાઓનો રાજવંશ, ક્ષત્રપાલના અવશેષો, પ્રાગ-ચૌલુક્ય સમયનાં મંદિરોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
તેમનો જન્મ ઈ.સ. ૧૯૦૫ માં ૨૩, જાન્યુઆરીના રોજ થયો હતો. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પણ પોરબંદરમાં લીધું અને ઇતિહાસ વિષયમાં બી.એ.ની ડિગ્રી લઈને પોરબંદરમાં જ શિક્ષક તરીકે જોડાયા. ઇતિહાસ સાથે સંકળાયેલ પુરાતત્ત્વ, સમાજશાસ્ત્ર, ધર્મ અને દર્શનવિદ્યાનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો. સૌરાષ્ટ્રની સંતપરંપરા વિશે તેમની પાસે અઢળક માહિતી હતી. તેઓ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને લોકકલાના પણ ચાહક હતા.
ગુજરાત ઇતિહાસ પરિષદ સાથે તેઓ સંકળાયેલા હતા. તેમણે ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે ૧૯૮૦-૮૧ અને ૧૯૮૧-૮૨નાં બે વર્ષ માટે સેવાઓ આપી હતી અને સુરત મુકામે યોજાયેલા અગિયારમાં અધિવેશનમાં ‘માનવ સભ્યતા, ઇતિહાસ અને આપણે' વિશે માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું :‘ઇતિહાસનું ક્ષેત્ર વિશાળ છે. પૃથ્વીને ઇતિહાસ છે. પૃથ્વી પરની સર્વ પ્રવૃત્તિને ઇતિહાસ છે. માનવના જન્મથી તેના સંસાર પર્યંત તેમજ જીવાતના ઉદ્ભવથી અંત સુધીની બધી બાબતો જે માનવી જુએ છે તે બધી ઇતિહાસના ક્ષેત્રમાં આવે છે. ઇતિહાસનો કાચો માલ બની શકે છે.” તેમણે આ પ્રસંગે એમ પણ જણાવ્યું કે “માણસને પોતાનો ભૂતકાળ ગમે છે. ભૂતકાળને વાગોળવામાં એને મજા પડે છે. એમાંથી એ અભિમાન સંતોષ માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. પોતાના ભવ્ય ભૂતકાળને ઓળખતી પ્રજા વર્તમાનને વ્યવસ્થિત રાખી શકે અને ઊજળા ભવિષ્યની આશા રાખી શકે. ઇતિહાસ લખાતો ગયો, પુસ્તકો વિસ્તરણ પામ્યાં અને ઇતિહાસ અમુક સમૂહનો ન રહેતાં આખી પ્રજાનો બન્યો, પૃથ્વી પરના માનવકુળનો બન્યો.”
તેમણે પોરબંદરનો સર્વગ્રાહી ખ્યાલ આવે એવી પુસ્તિકા લખી છે જેની ત્રણ આવૃત્તિઓ થઈ છે. આ પુસ્તિકામાં તેમણે પોરબંદરનાં ભૂગોળ, ઇતિહાસ, પુરાતત્ત્વ, સ્થાપત્યકલા અને સંસ્કૃતિનો સર્વગ્રાહી પરિચય કરાવ્યો છે. તેમના દેહાવસાનથી પોરબંદરે પોતાનો ગુરુ ગુમાવ્યો છે. પરમ કૃપાળુ પરમેશ્વર તેમના આત્માને ચિરશાંતિ અર્પે.
For Private and Personal Use Only
– ડૉ. ચીનુભાઈ નાયક