________________
:
O
તા. ૧૬-૭-૯૪ અને તા.૧૬-૮-૯૪
એટલા માટે મિથ્યાદષ્ટિ જીવના અવધિજ્ઞાનને વિભંગજ્ઞાન કહેવામાં આવે છે. એટલે વિભંગજ્ઞાન એ અવધિજ્ઞાનનો જ એક પ્રકાર છે.
મનઃ પર્યવજ્ઞાનને ક્રમમાં અવધિજ્ઞાન પછી મૂકવામાં આવ્યું છે, કા૨ણ કે અધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે. અવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી પદાર્થોનો છે. એ દૃષ્ટિએ ચૌદ રાજલોકના સર્વ-પદાર્થો-દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય બને છે તથા શક્તિની દૃષ્ટિએ તો અલોક પણ અવધિજ્ઞાનીનો વિષય બની શકે છે. એ રીતે સમગ્ર લોકાલોક અવધિજ્ઞાનનો વિષય છે. મનઃ પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ પૂરતો છે. ચૌદ રાજલોકમાં મનોવર્ગણના પુદ્ગલ પરમાણુઓનું પ્રમાણ એટલું બધું અલ્પ છે કે સર્વવધિજ્ઞાનના અનંતમા ભાગ જેટલો વિષય મન:પર્યવજ્ઞાનનો છે. આમ વિષયની દૃષ્ટિએ અવધિજ્ઞાન મોટું છે, પરંતુ સ્વરૂપની દષ્ટિએ મનઃ પર્યવજ્ઞાન ચડિયાતું છે, કારણ કે મન:પર્યવજ્ઞાન પોતાના વિષયના અનેકગણા પર્યાયોને જાણે છે. આમ મન:પર્યાવજ્ઞાનનો વિષય ઘણો નાનો હોવા છતાં તે વધુ સૂક્ષ્મ છે અને વધુ શુદ્ધ છે. માટે મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે. વળી, વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષયની દૃષ્ટિએ પણ અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનમાં ભેદ છે.
પ્રબુદ્ધ જીવન
અવધિજ્ઞાન જન્મથી પણ હોઇ શકે છે, અર્થાત્ ભવપ્રત્યય કે યોનિપ્રત્યય પણ હોઇ શકે છે. દેવો, નરકના જીવો તથા તીર્થંકર ભગવાનને જન્મથી અવધિજ્ઞાન હોય છે. વળી અવધિજ્ઞાન સંયમની વિશુદ્ધિથી કે તેવા પ્રકારના પ્રબળ ક્ષયોપશમથી પણ પ્રગટ થાય છે. મન:પર્યવજ્ઞાન જન્મથી હોતું નથી. વિશિષ્ટ સંયમની આરાધનાથી અર્થાત્ સંયમની વિશુદ્ધિથી જ તે ઉત્પન્ન થાય છે. તીર્થંકર ભગવાનને પણ જન્મથી મન:પર્યવજ્ઞાન હોતું નથી. તેઓ જ્યારે દીક્ષિત થાય છે ત્યારે જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ દષ્ટિએ અવધિજ્ઞાન કરતાં મનઃપર્યવજ્ઞાન ચડિયાતું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કરતાં અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનને વિશેષ શકિતને કારણે ક્રમમાં ચડિયાતાં બતાવવામાં આવે છે, તો પણ એક અપેક્ષાએ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું જેટલું મહત્ત્વ છે તેટલું અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનનું મહત્ત્વ નથી. કેવળજ્ઞાન માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેટલી આવશ્યકતા છે, તેટલી અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની નથી. કોઇ જીવ ક્યારેય મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. કેવળજ્ઞાનની ઉત્પતિ પૂર્વવર્તી શ્રુતજ્ઞાનરૂપી કારણથી થાય છે એમ મનાય છે. કોઇક જીવોને અવધિજ્ઞાન કે મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા વિના સીધું જ કેવળજ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે. શાસ્ત્રોમાં એવાં કેટલાંયે ઉદાહરણો છે. આમ, મોક્ષમાર્ગમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની કોઇ અનિવાર્યતા નથી. અલબત્ત, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનથી જીવને પોતાના આત્માની વિશુદ્ધિની પ્રતીતિ થઇ શકે. અવધિજ્ઞાન અને વિશેષતઃ મનઃપર્યવજ્ઞાન આત્માની વિશુદ્ધતર સ્થિતિનાં દ્યોતક છે.
૫
દિગંબર ગ્રંથ મહાપુરાણમાં એવું વર્ણન આવે છે કે ભરત ચક્રવર્તિને પરિમંડળથી ઘેરાયેલો ચંદ્ર સ્વપ્રમાં દેખાય છે. તેનો અર્થ કરતાં ઋષભદેવ ભગવાન કહે છે કે પંચમ કાળમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન કોઇને નહિ થાય એમ તે સૂચવે છે . બીજી બાજુ ‘તિલોયપણતિ’ ગ્રંથમાં કહેવાયું છે કે દુષમકાળમાં અમુક હજાર વર્ષે જ્યારે જ્યારે સાધુઓની ગોચરી ઉપર કરવેરા નખાશે અને સાધુઓ ગોચરી વાપર્યા વિના તે પ્રદેશ છોડીને ચાલી નીકળશે ત્યારે તેમાંના કોઇ એક સાધુને અવધિજ્ઞાન થશે એટલે કે હજારો વર્ષે એકાદ જણને અવધિજ્ઞાન થાય તો થાય.
શું પંચમ કાળમાં અવધિજ્ઞાન ન થઇ શકે? આ વિશે કેટલુંક મતાન્તર છે. કેટલાકને મતે હાલ પણ અવધિજ્ઞાનની અત્યંત અલ્પ પ્રમાણમાં પણ શક્યતા છે. કેટલાકને મતે એવી કોઇ શક્યતા નથી. એટલું તો નક્કી છે કે આ કાળમાં આ ક્ષેત્રમાં કેવળજ્ઞાન નથી. જો તેમ છે તો પરમાધિ જ્ઞાન જે અંતે કેવળજ્ઞાનમાં જ પરિણમે છે તે ક્યાંથી હોઇ શકે? એટલે એટલું તો નિશ્ચિત જ છે કે આ કાળમાં ૫૨માધિ જ્ઞાન નથી, મન:પર્યવજ્ઞાનનો આ કાળમાં વિચ્છેદ થયો છે તે વિશે પણ શાસ્ત્રકારો સંમત છે, કારણ કે તે પ્રાપ્ત થવા માટે જોઇતી સંયમની તેટલી વિશુદ્ધિ અને આત્માની તેવી શક્તિ આ કાળમાં જણાતી નથી.
વર્તમાનમાં કોઇક મહાત્માઓને અવધિજ્ઞાન થયું છે એવી વાત સાંભળીએ છીએ, પરંતુ તે માની લેવાની ઉતાવળ ન કરવી જોઇએ. કેટલાક વચનસિદ્ધ મહાત્માઓનાં વચન સાચાં પડે છે, પરંતુ વચનસિદ્ધિ અને અવધિજ્ઞાનને એક માની લેવાની ભૂલ ન થવી જોઇએ. અવધિજ્ઞાનીનું તે જ્ઞાનના ઉપયોગ દ્વારા કહેલું વચન અવશ્ય સત્ય હોય છે, પરંતુ વચનસિદ્ધિ હોય ત્યાં અવધિજ્ઞાન હોય જ એમ માની ન લેવું જોઇએ. કેટલાક મહાત્માઓએ કરેલી આગાહી સાચી પડતી હોય છે. આવી કેટલીક આગાહી માત્ર અનુમાનથી જ કરેલી હોય છે. અનુમાન એ ચિત્તનો વ્યાપાર છે. કેટલાકની અનુમાનશક્તિ તીવ્ર અવલોકનશકિત તથા તર્ક વગેરેને કારણે એટલી બધી સરસ હોય છે કે તેઓ તેને આધારે જે કહે તે સાચું પડતું જણાય. તેવી રીતે કેટલીક વ્યક્તિઓ આંતરસ્ફૂરણા (Intution)ને આધારે આગાહી કરતી હોય છે અને એવી આગાહી પણ સાચી પડતી હોય છે. પરંતુ અનુમાનશક્તિને આધારે કે આંતરસ્ફુરણાને આધારે કરેલી આગાહીને અવધિજ્ઞાન માનવાની ભૂલ ન કરવી જોઇએ. કેટલીક વ્યક્તિઓ ભૂત; વર્તમાન કે ભવિષ્યમાં બનેલી, બનતી કે બનનારી ઘટનાને પોતાની કલ્પના વડે આંતરચક્ષુ સમક્ષ ખડી કરી શકે છે, તે પ્રમાણે વર્ણવે છે અને એ કેટલીકવાર સાચી ઠરે છે, પરંતુ એવી રીતે કરેલો માનસિક કલ્પનાવ્યાપાર ગમે તેટલો તાદ્રશ હોય તો પણ તે અવધિજ્ઞાન નથી. ’ અનુમાનશક્તિ, કલ્પનાવ્યાપાર ઇત્યાદિ મનની મદદથી થાય છે. મતિજ્ઞાનનો એ વિષય બને છે. એને અવધિજ્ઞાન માની ન શકાય. કેટલાક મહાત્માઓની ચમત્કારશકિતને ઉપસાવવા એમના શિષ્યો કે અનુયાયીઓ તરફથી, કયારેક તો ખુદ મહાત્માની જપ્રેરણાથી આવી કેટલીક ઘટનાઓને અવધિજ્ઞાન તરીકે ઠસાવવાનો હેતુપૂર્વક પ્રયાસ થતો હોય ત્યારે વિચારશીલ માણસે તેથી ભોળવાઇ જવું ન જોઇએ. આ કાળમાં અવધિજ્ઞાન જેને—તેને થઇ શકે એવું અવધિજ્ઞાનનું સ્વરૂપ નથી, કોઇ પોતાને અવધિજ્ઞાન થયું છે તેવો દાવો કરે અથવા બીજાને થયું છે એવો દાવો કરે તો પ્રત્યક્ષ કસોટી વિના તેવી વાત સ્વીકારવી ન જોઇએ. ગતાનુગતિક ચાલી આવતી વાતને પણ માનવાની ઉતાવળ ન કરવી જોઇએ. તત્ત્વમાં જેમને શ્રદ્ધા છે તેમને માટે આ બહુ જ જરૂરી છે. કોઇનો પણ અનાદર કર્યા વિના યથાતથ્ય પામવાની કોશિષ કરવી જોઇએ.
રમણલાલ ચી. શાહ
***
સંયુક્ત અંક
‘પ્રબુદ્ધ જીવન’નો જુલાઇ તથા ઓગસ્ટ ૧૯૯૪નો આ અંક સંયુક્ત અંક તરીકે પ્રકાશિત થાય છે તેની નોંધ લેવા વાચકોને વિનંતી છે.
-તંત્રી