________________ સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે; એમ મને લાગે છે. તમારા પત્રમાં 27 પ્રશ્નો છે તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું :1. પ્રશ્ન-(૧) આત્મા શું છે ? (2) તે કંઈ કરે છે ? (3) અને તેને કર્મ નડે છે કે નહીં ? ઉ0- (1) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસંગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યો સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુ:ખાદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે, અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. આ પ્રશ્ન તથા તમારાં બીજાં કેટલાંક પ્રશ્નો એવાં છે કે, જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ ‘ષદર્શનસમુચ્ચય’ ગ્રંથ તમને મોકલ્યો હતો કે જે વાંચવા, વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. કેમકે તે સંબંધી અનેક પ્રશ્નો ઊઠવા યોગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાયે સ્થિતિ છે. (2) જ્ઞાનદશામાં, પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામનો કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે, અને તે ભાવનાં ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કર્તા છે, અર્થાત ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે; તથા